Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ભાવનગરમાં સગીરાની હત્‍યા ? : મામાના ઘરેથી ગૂમ થયા બાદ તળાવમાંથી મૃતદેહ મળી આવ્‍યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૪ : ભાવનગરની ૧૬ વર્ષની સગીરા મામાના ઘરેથી ગૂમ થયા બાદ થોરડી ગામના તળાવમાંથી મૃતદેહ મળી આવતા સગીરાની હત્‍યા થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે.
મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના ચિત્રા વિસ્‍તારમાં રહેતા કિશોરભાઇ ધંધુકીયાની ૧૬ વર્ષની પુત્રી ભૂમિ ગત તા. ૧૬ના રોજ સીદસર ગામે તેના મામાના ઘરે ગઇ હતી અને ત્‍યાંથી આ સગીરા ગુમ થઇ હતી અને તેણીની પાસે રહેલ મોબાઇલ સ્‍વીચ ઓફ જોવા મળતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.
દરમિયાન થોરડી ગામના તળાવમાંથી ગૂમ થયેલ સગીરાનો મૃતદેહ કોહવાય ગયેલ હાલતમાં મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. મૃતક સગીરાની હત્‍યા થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે અને આ અંગે પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

 

(11:07 am IST)