Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

દ્વારકાથી ૪પ કિ.મી. દૂર આવેલા પીંડારા ગામે પાંડવો પોતાના ભાઇઓ અને વડિલોના પિંડ તરવવા અહીં આવ્યા હોવાની કથાઃ શ્રાદ્ધ પક્ષમાં જામે છે ભાવિકોની ભીડ

દ્વારકા :આમ તો તીર્થ સ્થાનોમાં સ્નાન અને દર્શનનું ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ શ્રાદ્ધમાં દિવસોમાં ભગવાન વિષ્ણુના પૂજા સ્થાનકોનું મહત્વ અનેકગણુ વધી જાય છે. હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે. જેમાં અનેક લોકો દ્વારકાધીશના ચરણોમાં આવે છે. ખાસ કરીને દ્વારકા પાસે આવેલ પિંડારા ગામનું મહત્વ મહાભારત કાળથી છે. અહીં પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે પૂજા કરી હતી.

ચારધામમાનું એક ધામ અને સાત પૂરી માંની એક પૂરી એટલે ભગવાન વિષ્ણુ એવા દ્વારકાધીશ ધામમાં દ્વારકાથી 45 કિલોમીટર દૂર પીંડારા ગામ આવ્યું છે. કહેવાય છે કે મહાભારતનાં યુદ્ધ બાદ ગુરુકુળમાં કોઈ બચ્યું ન હતું અને પાંડવો પોતાના ભાઈઓ અને વડીલોનાં પિંડ તારવવા અહી આવ્યા હતા. ભગવાન વિષ્ણુ એટલે કે કૃષ્ણની હાજરીમાં અહી લોખંડનાં પિંડ તારવ્યા હતા. 5000 વર્ષ પહેલાં અહીં પિંડ તારવ્યા હોઈ આ ગામ પિંડારા તરીકે ઓળખાય છે. પાપથી મુકત અને પિતૃઓનાં મોક્ષ માટે ભીમ દ્વારા લોખંડનું પિંડ અહી તરી ગયું હતું. ત્યારથી આ સ્થાનનો મહિમા ગુજરાત અને દેશભરમાં પ્રખ્યાત છે. શ્રાદ્ધ માટે પિંડારાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેઓનાં સ્વજનનાં અપમૃત્યુ થયા હોય તેવા પિતૃઓનાં મોક્ષ માત્ર આ ક્ષેત્રમાં સંભવ છે.

આમ તો જ્યાં જગતનો તાત બિરાજે તેવા દ્વારકા ધામનાં જગત મંદિરના 56 પગથિયે પવિત્ર ગોમતી નદી આવેલી છે. ખળખળ વહેતી અને સમુદ્ર સાથે સંગમ કરતા આ ગોમતી ઘાટ પર ગુજરાત અને દેશવિદેશથી લોકો અહી પોતાના સ્વજનનાં મૃત્યુ બાદ અસ્થી વિસર્જન કરવા અહી આવે છે. મૃતક સ્વજનના મોક્ષ પ્રાપ્તિ અર્થે અહીં આવે છે. તેમજ શ્રાદ્ધના માસમાં તેમજ બારેમાસ અહી પિંડદાન કરવા લોકો આવે છે.

બ્રાહ્મણ પાસે વિધિવિધાનથી પૂજા બાદ પિંડ દાન કરી લોકો પોતાના પિતૃઓને મોક્ષ મળે તે માટે તેઓ ગોમતીમાં સ્નાન કરી ભગવાન વિષ્ણુ એટલે કે દ્વારકાધીશનાં દર્શન કરે છે. મુક્તિ અને મોક્ષનું આ પરમ વિષ્ણુ ધામ દ્વારકામાં ભાદરવા માસમાં પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહી ગોમતી નદીના નારાયણ ઘાટ પર પિંડદાનનું મહત્વ રહેલું છે.

(5:42 pm IST)