Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ઉધાર આપેલા સામાનનાં પૈસાની ઉઘરાણી કરતા જુનાગઢના વેપારી પર વાડલાના સરપંચનો હુમલો

સરપંચ સહિતના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

જુનાગઢ તા.ર૩ : ઉધાર આપેલા સામાનના પૈસાની ઉઘરાણી કરતા જુનાગઢના વેપારી પર વાડલાના સરપંચ સહિત બે શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી.

આ બનાવની વિગત એવી છે કે, જુનાગઢમાં મધુરમ બાયપાસ અશોકનગરમાં રહેતા વિનોદભાઇ લીલાભાઇ પાણખાણીયા (ઉ.વ.ર૯) વંથલી નજીકના વાડલા ગામે પ્લાયવુડ અને સનમાઇકાની દુકાન ધરાવે છે. આ વેપારી અને અન્ય એક વેપારીએ વાડલા ગામના સંજય કાન્તીભાઇ ચંદવાડીયાને તાજેતરમાં રૂ.૩૯,૪૪૦નો પ્લાયવુડ તથા સનમાઇકા અને ફીટીંગનો સામાન ઉધાર આપ્યો હતો. તા.ર૧ની રાત્રે વિનોદભાઇ અને અન્ય વેપારી સંજયભાઇ ચંદવાડીયા પાસે ઉઘરાણી કરવા ગયા હતા.

પરંતુ  આ શખ્સે પૈસા આપવાને બદલે ગાળો કાઢીને ઉગ્ર બોલાચાલી કરી હતી.

આ દરમ્યાન વાડલાના સરપંચ ભરતભાઇએ ઢીકાપાટુનો માર મારી અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં વેપારી વિનોદભાઇ પાણખાણીયાને ઇજા થઇ હતી.

આ બનાવ અંગે વંથલી પોલીસે વેપારીની ફરિયાદ લઇ સરપંચ સહિતના બે શખ્સો વિરૂધ્ધ કલમ ૩ર૬, ૩ર૩, ર૯૪(અ) ૧૧૪ અને ૧૩પ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ ઇન્ચાર્જ પીએસઆઇ એમ.કે.ઓડેદરા ચલાવી રહયા છે.

(3:43 pm IST)