Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

જલ શક્તિ અભિયાન - કેચ ધ રેઇન કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 88 અમૃત સરોવર બનાવાશે

અમૃત સરોવર બનાવવાની કામગીરી અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

 દેવભૂમિ દ્વારકા: ભારત સરકાર દ્વારા દરેક જિલ્લામાં જલ શક્તિ અભિયાન - કેચ ધ રેઇન - 2022 અંતર્ગત 75 અમૃત સરોવર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 88 અમૃત સરોવર બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે તેમ જિલ્લા કલેકટરશ્રી એમ.એ. પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જિલ્લા અમલીકરણની બેઠકમાં સિંચાઈ વિભાગના મદદનીશ ઈજનેર જયદીપ પટેલે જણાવ્યું હતું.

વધુમાં સિંચાઈ વિભાગના મદદનીશ ઈજનેરએ જણાવ્યું કે, જલ શક્તિ અભિયાન - 2022 અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 88 અમૃત સરોવર બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે જેમાં ખંભાળિયામાં -24, કલ્યાણપુરમાં - 21, દ્વારકામાં -23 અને ભાણવડમાં 20 તળાવનો સામેવશ કરવામાં આવનાર છે. જેમાં નવું તળાવ બનાવવું, તળાવનું રીનોવેશન, બ્યુટીફીકેશન કરવા સહિતના આયોજનો હાથ ધરાશે. આ ઉપરાંત વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. દર વર્ષના 15 ઓગસ્ટના દિવસે ધ્વજ વંદન પણ અમૃત સરોવર ખાતે કરવામાં આવશે.

આ કામગીરીની સમગ્ર દેખરેખ રાખવા અને સમગ્ર આયોજન અંગે 4 નાયબ ઇજનેરની નિમણુંક પણ કરવામાં આવી છે. 15 ઓગસ્ટ 2022 સુધીમાં 20 ટકા કામગીરી પૂર્ણ કરવાની રહેશે. તેમજ 15 ઓગસ્ટ, 2023 સુધીમાં અમૃત સરોવર બનાવવાની 100 ટકા કામગીરી પૂર્ણ કરવાની રહેશે તેમ વધુમાં જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક ભાવેશ ખેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીવાસ્તવ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.

(8:47 pm IST)