Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

હળવદના સરા રોડ પર અજાણ્યા શખ્સોએ ત્રણ કેબીનમાં આગ લગાવી

કેબીન માલિકોને પરોઢીયે ઇરાદા પૂર્વક આગ લગાડયાનો આક્ષેપઃ સાયકલ સહિત સ્પેરપાર્ટ બળીને ખાખઃ લાખોનું નુકશાન

હળવદ,તા.૨૩: શહેરમાં સરા રોડ પર આવેલ વીરજી વાવની બાજુમાં સાયકલ રીપેરીંગ અને સાઇકલના સ્પેરપાર્ટનું વેચવાનું કામ કરતા યુવાનનું કોઈ અજાણ્યા શખ્સો દ્વારા વહેલી સવારે કેબિન સળગાવી દેવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જોકે આ કેબીન સળગાવ્યા બાદ બાજુમાં રહેલ બે કેબિનમાં પણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

આજુબાજુના લોકો અને દુકાનદારો દ્વારા આગ પર પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો છે હાલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ સરા રોડ પર આવેલી વિરજી વાવ પાસે વર્ષોથી સાયકલ રીપેરીંગ અને સાયકલોના સ્પેરપાર્ટનું વેચાણ કરતા અનિલભાઈ ગોસાઈના કેબીનને આજે વહેલી સવારે કોઇ અજાણ્યા શખ્સોએ આગ ચાપી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે આ કેબિનમાં આગ લાગવાને કારણે બાજુમાં આવેલ વિહાભાઈ રબારીનુ કેબિન અને અન્ય એક કેબીન સહિત ત્રણ કેબીન આગની ઝપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે

બનાવને પગલે આજુબાજુના દુકાનદારો અને લોકો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયત્ન કરાયો હતો આ બનાવને પગલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેબિન માલિક અનિલભાઈ ગોસાઈ હળવદ બજરંગ દળના સક્રિય કાર્યકર્તા હોય જેથી કોઇ શખ્સોએ ઇરાદાપૂર્વક તેઓના કેબીનને સળગાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ બહાર આવશે.

પોલીસે તાકીદે તપાસ હાથ ધરી જવાબદારોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(12:39 pm IST)