Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

વંથલીના શાપુરમાં કથા સાંભળવા જતી વખતે રિક્ષામાંથી પડી જતાં પલ્લવીબેન દવેનું મોત

બ્રાહ્મણ મહિલાએ રાજકોટમાં દમ તોડ્યોઃ ત્રણ દિકરીઓ મા વિહોણી થતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૪: વંથલીના શાપુરમાં ચાલુ રિક્ષામાંથી ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં બ્રાહ્મણ મહિલાનું મોત નિપજ્યું છે. કુટુંબીજનો સાથે કથા સાંભળવા જતી વેળાએ આ અકસ્માત નડ્યો હતો.

જાણવા મળ્યા મુજબ શાપુરમાં રહેતાં પલ્લવીબેન વિનેશભાઇ દવે (ઉ.૩૮) નામના બ્રાહ્મણ મહિલા ૨૦મીએ પોતાના કુટુંબીજનો સાથે મામાધણીની જગ્યામાં કથાનું આયોજન થયું હોઇ ત્યાં કથા સાંભળવા પિયાગો રિક્ષામાં બેસીને જતાં હતાં. એ દરમિયાન ગામમાં રામાપીરના મંદિર પાસે રોદો આવતાં તેણી ચાલુ રિક્ષામાંથી પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં વંથલી, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાત્રે તેનું મોત નિપજતાં સ્વજનોમાં શોક વ્યાપી ગયો હતો.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા અને અક્ષય ડાંગરે કાગળો કરી વંથલી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર પલ્લવીબેનના પતિ વિનેશભાઇ દવે પ્રાઇવેટ નોકરી કરે છે. સંતાનમાં ત્રણ પુત્રી છે. જે મા વિહોણી થઇ જતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. 

(11:41 am IST)