Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

કચ્છ-મોરબી મોદી સાથેઃ વિનોદ ચાવડાના વિક્રમી વિજયમાં કોંગ્રેસ કચડાઇ

તમામ વિસ્તારોમાં ભારે બહુમતી પ્રવિણ તોગડીયાની પાર્ટીના ઉમેદવારને મળ્યા માત્ર ૨૧૫૫ મત, કોંગ્રેસના ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ બંનેના મતવિસ્તારોમાં પણ ધોવાણ, કચ્છ ભાજપની આંતરિક જુથબંધી વચ્ચે વિનોદ ચાવડાએ યુવા ટીમ અને વરિષ્ઠ નેતાઓ સાથેના સંકલન દ્વારા મેળવી ઝળહળતી ફતેહ

ભુજ તા. ૨૪ : ૨૦૧૯ની આ લોકસભા ચૂંટણીએ ભારત સાથે ગુજરાત અને કચ્છમાં પણ સસ્પેન્સ સજર્યું હતું. કચ્છ ભાજપમાં ચાલતા આંતરકલહ, અનુસૂચિત જાતિના આંતરિક જાતિવાદ અને અબડાસામાં ભાજપના બે પૂર્વ ધારાસભ્યોની ગેરહાજરી વચ્ચે વિનોદ ચાવડા સામે કચ્છએ ભાજપનો ગઢ હોવા છતાંયે જીતનો પડકાર સર્જાયો હતો. વળી, મોરબી કચ્છ એ લોકસભા ક્ષેત્રમાં ૭ વિધાનસભા બેઠકો પૈકી ત્રણ ધારાસભ્ય તો કોંગ્રેસના હોઈ વિનોદ ચાવડા માટે કચ્છની સીટ ભાજપના પક્ષે જાળવી રાખવાનો પડકાર ધાર્યા કરતાં કપરો હતો. પણ, વિનોદ ચાવડાએ ભાજપની એક નવી યુવા ટીમ સાથે કચ્છ ભાજપના વરિષ્ઠ નેતાઓના સહયોગથી સ્ટ્રેટેજી બનાવીને મોરબી કચ્છ લોકસભા બેઠક ઉપર ફરી ભગવો લહેરાવ્યો એટલું જ નહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કચ્છી પ્રજા વતી એ સંદેશો આપ્યો કે, કચ્છ પણ આપની સાથે છે. વિનોદ ચાવડાની આ જીત એટલે પણ મહત્વની છે કે, આ વખતે ભાજપ સંગઠન નહીં પણ ઉમેદવાર એકલો ચૂંટણી લડતો હોય તેવો માહોલ હતો.

મોરબી કચ્છ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. ૨૩ મી એપ્રિલે કચ્છમાં ચૂંટણી પુરી થઈ અને એક મહિના પછી ૨૩ મી મે મતગણતરી હતી. આ એક મહિનાની ઇન્તેજારી દરમ્યાન એકઝીટ પોલ પણ ચર્ચામાં રહ્યા. જોકે, વિનોદ ચાવડા બેઠક જાળવી રાખશે એવું તો ભાજપના તેમના વિરોધીઓ પણ માનતા હતા પણ વિનોદ ચાવડા આટલી જંગી બહુમતી મેળવશે એવી કોઈને કલ્પના પણ નહોતી. ઇવીએમની મતગણતરી પૂર્ણ થયા બાદ સાંજે કચ્છના વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા લોકસભા ચૂંટણીના પરિણામોના આકડાઓએ વિનોદ ચાવડાથી નારાજ એવા ભાજપના નેતાઓને ભુજની એન્જીનયરિંગ કોલેજના મતગણતરી કેન્દ્ર સુધી દોડતા કરી દીધા હતા. ઇવીએમ ખુલ્યા તે સાથે જ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી ઉપર હાવી રહ્યા હતા. એક પણ વખત કોંગ્રેસ આગળ નીકળી શકી નહીં. એટલે સુધી કે, ખાવડા બન્ની પંથકમાં જયાં કોંગ્રેસે ગત વખતે ૨૯ હજાર મતની લીડ મેળવી હતી. ત્યાં ભાજપે ૫૫૦૦ મતની સરસાઈ મેળવી તો ભુજના લઘુમતી વિસ્તારોમાં પણ કોંગ્રેસની બહુમતી ખૂબ જ પાતળી માંડ માંડ ત્રણ આંકડામાં હતી. આમ, વિનોદ ચાવડાનું વિજયી રોડ રોલર એવું ફર્યું કે, અબડાસા લખપતમાં જયાં કોંગ્રેસ જીતી હતી ત્યાં ભાજપના બે પૂર્વ ધારાસભ્યોની ગેરહાજરી વચ્ચે વરિષ્ઠ આગેવાન તારાચંદભાઈ છેડાએ મોરચો સંભાળ્યો અને ભાજપનો ૨૭,૭૦૩ મતની સરસાઈ મળી. એજ રીતે રાપરમાં કોંગ્રેસ જીતી હોવા છતાંયે ભાજપે ૨૮,૨૬૫ મતોની સરસાઈ મેળવી, તો મોરબીમાં પણ વિધાનસભામાં કોંગ્રેસ જીતી હોવા છતાંયે ભાજપે અહીં ૪૬,૪૫૩ મતની સરસાઈ મેળવી. હવે જોઈએ આંકડાકીય વિશ્લેષણ..

નોટાને પણ મળ્યા વિક્રમી મત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જે રીતે ભાજપે ફરી એકલે હાથે બહુમત મેળવીને જેમ દેશમાં રાજકીય ઇતિહાસ સજર્યો તેમ કચ્છમાં પણ વિનોદ ચાવડાએ સતત બીજી વખત પોતાનો જ રેકર્ડ તોડીને ત્રણ લાખ જેટલા મતથી વિજય મેળવ્યો એ વિજય પણ કચ્છના રાજકીય રીતે ઐતિહાસિક છે. આંકડાકીય રીતે વાત કરીએ તો આ વખતે કુલ ૫૮.૨૨ ટકા મતદાન થયું જેમાં ૧૦ લાખ ૧૫ હજાર ૧૯૯ મતદારોએ મતદાન કર્યું હતું. આ તમામ મતોની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જોકે, સૌથી તમામ ૮ અપક્ષ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઈ ગઈ છે. હિન્દુ સમાજના નેતા ડો. પ્રવિણ તોગડીયાની પાર્ટી હિન્દુસ્તાન નવનિર્માણ દળના ઉમેદવાર પ્રવિણ ચનાભાઈ ચાવડાને માત્ર ૨૧૫૫ મત જ મળ્યા હતા. જયારે નોટા માં ૧૮,૭૬૧ મત પડ્યા હતા, જે અપક્ષ ઉમેદવારોને મળેલા મત કરતા પણ વધુ છે. જે કદાચ કચ્છ બેઠકમાં એક વિક્રમ છે.જેમાં વિનોદ ચાવડાને ૬,૩૭,૦૩૪ મત મળ્યા, જયારે કોંગ્રેસના નરેશ મહેશ્વરીને ૩,૩૧,૫૨૪ મત મળ્યા. આમ, ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા ૩ લાખ ૫ હજાર ૪૭૧ મતથી જીતી ગયા છે. હવે મોરબી કચ્છના વિધાનસભા ક્ષેત્ર દીઠ જીતના આંકડા જાણીએ,

(૧) અબડાસા- વિનોદ ચાવડાઙ્ગ ૭૭,૨૨૬ મત, નરેશ મહેશ્વરી ૪૯,૯૧૯ મત, વિનોદ ચાવડાને ૨૭,૩૦૭ મતની લીડ

(૨) માંડવી- વિનોદ ચાવડા ૯૩,૪૧૪ મત, નરેશ મહેશ્વરી ૫૨,૧૯૮ મત, વિનોદ ચાવડાને ૪૧,૨૧૬ મતની લીડ(૩) ભુજ- વિનોદ ચાવડા ૯૮,૭૦૪ મત, નરેશ મહેશ્વરી ૪૯,૧૪૫ મત વિનોદ ચાવડા ૪૯,૧૪૫ મતથી આગળ

(૪) અંજાર- વિનોદ ચાવડા ૯૬,૦૮૪ મત, નરેશ મહેશ્વરી ૪૦,૯૭૪ મત *વિનોદ ચાવડા ૫૫,૧૧૦ મતથી આગળ

(૫) ગાંધીધામ- વિનોદ ચાવડા ૯૬,૦૮૪ મત, નરેશ મહેશ્વરી ૪૫,૯૨૩ મત, વિનોદ ચાવડા ૫૨,૬૭૧ મતથી આગળ

(૬) અંજાર- વિનોદ ચાવડા ૬૧,૩૧૩ મત, નરેશ મહેશ્વરી ૩૩,૧૦૮ મત, વિનોદ ચાવડા ૨૮,૨૬૫ મતથી આગળ

(૭) મોરબી- વિનોદ ચાવડા ૧,૦૨,૨૪૯ મત, નરેશ મહેશ્વરી ૫૫,૭૯૬ મત, વિનોદ ચાવડા ૪૬,૪૫૩ મતથી આગળ

ફરી એકવાર કચ્છ કોંગ્રેસ  માટે ઘરના બન્યા ઘાતકી

કચ્છ કોંગ્રેસ માટે આ હાર આઘાતજનક નથી. હા, આ વાત સાચી છે. અનેક પત્રકારોને કચ્છ કોંગ્રેસના અનેક નેતાઓએ જાહેર તેમ જ ખાનગીમાં એવી વાત કરી હતી કે, ભલે આ વખતે ઉમેદવાર નરેશ મહેશ્વરી ભલે સ્થાનિક છે, પણ અમારા માટે જીત કપરી છે. આ વાત સાથે જ તેમનો એવો ઈશારો પણ હતો કે, કોંગ્રેસ માટે ભાજપના જુથવાદનો લાભ લેવો મુશ્કેલ છે, તેનું કારણ કચ્છ કોંગ્રેસના 'અમુક' નેતાઓ ભલે સાથેને સાથે દેખાતા હોય પણ તેઓ કોંગ્રેસની સાથે નથી. તો, કચ્છ કોંગ્રેસના પ્રમુખ તરીકે નરેશ મહેશ્વરી સામે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પ્રમુખ તરીકે પણ કોંગ્રેસના ઉમેદવારોને સાથ નહીં આપવાના આક્ષેપો થયા હતા. ખેર, એ વાત અલગ છે કે, હવે કચ્છ કોંગ્રેસ પોતાની હારનું જો વાસ્તવિકતા સાથે વિશ્લેષણ કરશે તો, કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો થી માંડીને મીડીયાના કોઓરડીનેશન સુધી કચ્છ કોંગ્રેસમાં કચાશ વરતાઈ હતી તેનો ખ્યાલ આવશે. કારણકે, ખુદ ઉમેદવાર નરેશ મહેશ્વરીને તેમના ગામ માધાપરમાં ૧૪ હજાર મતથી ભાજપ કરતા પાછળ રહ્યા અને કચ્છ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના હોમ ટાઉન ગાંધીધામમાં ૫૨ હજાર મતથી ભાજપ કરતા પાછળ રહ્યા. હવે કોંગ્રેસ સામે ૨૦૨૦ માં આવતા વર્ષે ફરી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પણ આવી રહી છે.

(11:29 am IST)