Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

મોરબી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં દર્દી કણસતા રહ્યા પરંતુ ડોકટર ના આવતા દર્દીનું મોત

ડોકટરની બેદરકારીથી મૃત્યુ થયાના પરિવારના આક્ષેપો : આરએમઓએ ગોળગોળ જવાબ આપી બચાવ કર્યો

(પ્રવિણ વ્યાસ -હર્ષદરાય કંસારા દ્વારા) મોરબી-ટંકારા,તા. ૨૪: મોરબી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે હોસ્પીટલમાં એકપણ બેડ ખાલી નથી અને નવા દર્દીઓ આવતા હોસ્પિટલમાં વ્યવસ્થા થઇ સકતી નથી ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ત્રણ કલાક સુધી એમ્બ્યુલન્સમાં જ દર્દી કણસતા રહયા પરંતુ ડોકટર ચેક કરવા આવ્યા જ નહિ અને ત્રણ કલાક મોત સામે સંદ્યર્ષ કરીને અંતે દર્દીએ દમ તોડ્યો હતો તો દર્દીના મૃત્યુથી પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હંગામો કર્યો હતો.

ટંકારાના રહેવાસી ચંદુભાઈ નટવરભાઈ રાઠોડ નામના ૫૦ વર્ષના દર્દીનો ગત તા. ૧૭ ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેની તબિયત વધુ ખરાબ થતા આજે ૧૦૮ મારફત મોરબી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા દર્દીના સગા યોગેશભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર સાંજે ૫ વાગ્યે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા અને તેઓ ૧૦ વખત ડોકટરને બોલાવવા ગયા હતા તેમજ ૧૦૮ ના સ્ટાફ પણ ૦૪ વખત ડોકટરને બોલાવવા ગયા હતા એમ્બ્યુંલન્સમાં ઓકસીજન પર જ રાખવામાં આવ્યા હતા જેને તાત્કાલિક સારવારની જરૂરત હોય છતાં ડોકટરને આજીજી કરવા છતાં કોઈ આવ્યા ના હતા અને બોલાવવા જતા ઉચા અવાજે ના બોલ તેવું ઉદ્ઘતાઈભર્યું વર્તન કર્યું હતું તો ત્રણ કલાક દર્દી એમ્બ્યુલન્સમાં કણસતા રહ્યા બાદ તેને દમ તોડ્યો હતો તો દર્દીના મૃત્યુથી પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો જેના પગલે પોલીસ દોડી ગઈ હતી તો આ મામલે જેના પર આક્ષેપ કરવામાં આવ્યા છે તે ડો. હર્ષ કેલાએ મીડિયા સામે કાઈ પણ જવાબ આપવાનો ઇનકાર કરી દીધો હતો. દર્દીના મૃત્યુના બનાવ અંગે મોરબી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો સરડવાએ જણાવ્યું હતું કે ઓપીડીમાં ૦૪ દર્દી વેઈટીંગમાં હતા અને ડોકટર ચેક કરવા પણ આવ્યા હશે આવા બનાવો ના બને તેની તકેદારી રાખશું તેમજ લોકોનો પણ સહકાર મળે તેવું જણાવ્યું હતું આમ ગોળગોળ વાતો કરીને પોતાના ડોકટરનો બચાવ કરતા તેઓ નજરે પડ્યા હતા.

(12:48 pm IST)