Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ભાવનગરમાં કોરોનાનો કહેરઃ ૨૪ કલાકમાં ૩૦૨ પોઝિટિવ કેસ નોંધાયા તેમજ ૮ દર્દીઓના મોત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૦,૨૯૦ કેસો પૈકી ૨,૦૧૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૪: ભાવનગર જિલ્લામા નવા ૩૦૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૦,૨૯૦ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૯૦ પુરૂષ અને ૭૬ સ્ત્રી મળી કુલ ૧૬૬ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

ભાવનગર શહેર ખાતે રહેતા ચાર કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ મહુવા ખાતે રહેતા એક દર્દી, ઉમરાળા તાલુકાના પરવાળા ગામ ખાતે રહેતા એક દર્દી, ઉમરાળા તાલુકાના દડવા ગામ ખાતે રહેતા એક દર્દી અને મહુવા તાલુકાના કંટાસર ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ આઠ કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૮૫ અને તાલુકાઓમાં ૩૩ કેસ મળી કુલ ૧૧૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૦,૨૯૦ કેસ પૈકી હાલ ૨,૦૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૧૦૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:52 am IST)