Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

મોરબી જિલ્લામાં ૬૫ ટકાથી વધુ મતદાન

૧૭ સ્થળે ઇવીએમ બગડવાની ફરિયાદો જોવા મળી

મોરબી તા. ૨૪ : લોકસભા ચુંટણીના ત્રીજા ચરણના મતદાનમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર મતદાન યોજાયું હતું. જેમાં મોરબી જીલ્લામાં પણ સવારથી મતદારોએ લાઈનો લગાવી લોકશાહીના પર્વને દિપાવ્યું હતું અને સાંજ સુધીમાં મોરબી જીલ્લામાં સરેરાશ ૬૫.૪૮ ટકા મતદાન નોંધાયું હતું.

મોરબીમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ નીલકંઠ વિધાલય ખાતેથી મતદાન કર્યું હતું જયારે મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પત્ની સાથે માળિયાના ચમનપર ગામેથી મતદાન કર્યું હતું. આરએસએસ અગ્રણી જયંતીભાઈ ભાડેશીયાએ પરિવાર સાથે કન્યા છાત્રાલય ખાતેથી મતદાન કર્યું હતું જયારે ન્યૂઝીલેન્ડથી મોરબી ખાસ મતદાન કરવા આવેલા એનઆરઆઇ ગુંજનભાઈ પારેખે તથા મોરબી, વાંકાનેર અને ટંકારા પંથકમાં શતાયુ મતદારો, યુવા મતદારોએ અને દિવ્યાંગોએ મતદાન કર્યું હતું.

મોરબી જીલ્લામાં આજે મોરબી વિસ્તારમાં ૬૩.૨૬ ટકા, ટંકારામાં ૬૭.૩૭ ટકા અને વાંકાનેરમાં ૬૬.૧૨ ટકા મતદાન નોંધાયું હતું અને મોરબી જીલ્લાનું કુલ સરેરાશ મતદાન ૬૫.૪૮ ટકા નોંધાયું છે.

વહેલી સવારથી આજે મતદારોએ લાઈનો લગાવી હતી જોકે અનેક સ્થળોએ ઈવીએમ અને વીવીપેટ મશીનો બગડ્યાની ફરિયાદો ઉઠી હતી. જેમાં વાંકાનેરમાં ખીજડીયા, ખેરવા, માલીયાસણ, પરાપીપળીયા અને રામપરા (બેટી) સહિતના ૫ સ્થળે, મોરબી શહેરમાં બે અને ગાળા ગામે એક એમ ત્રણ સ્થળે જયારે ટંકારામાં રંગપર, બગથળા, તરઘડી, હીરાપર, દેપલીયા અને ખરેડા એમ છ સ્થળે સહીત ૧૭ સ્થળે મશીનો બગડવાની સત્તાવાર નોંધ થવા પામી છે.

(11:52 am IST)