Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ઘોઘાના ૧ર ગામોના પરપ૯ ગ્રામજનો દ્વારા ઇચ્છા મૃત્યુની અરજી

જમીન સંપાદન મુદ્દે અન્યાયથી રોષઃ ૪ થી વધુ લોકોને એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવતા ધાર્મિક વિધી-કાર્યક્રમો બંધ કરાવ્યા

 ભાવનગર તા. ર૪: ભાવનગર જીલ્લાનાં ઘોઘાનાં પડવા ગામે પડવા પાવર પ્રોજેકટ લિગ્નાઇટ પ્રોજેકટનાં જમીન સંપાદન વિવાદ અને કોમી તકરાર વચ્ચે મુદે ચગ્યો છે ત્યારે ઘોઘાનાં ૧ર ગામોનાં પરપ૯ ગ્રામ્યજનોએ ઇચ્છા મૃત્યુ માટે સામુહિક રીતે રાષ્ટ્રપતિ સમક્ષ અરજી પાઠવતાં ચકચાર મચી જવા પામી છે.

ઘોઘા તાલુકાનાં બાડી-પડવા સહિત ૧ર ગામોનાં લોકો રાજય સરકાર તથા જીપીસીએલ કંપની સામે અહિંસક રીતે આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોની જમીન કંપની દ્વારા સંપાદન મામલે ચાલી રહેલ આંદોલનને લઇ ભાવનગર જીલ્લાના મેજીસ્ટ્રેટ તથા એસ.પી. દ્વારા અલગ-અલગ વટહુકમ હેઠળ જાહેરનામાઓ પ્રસિધ્ધ કર્યા છે.

જેમાં મહત્વની કલમ ૧૪૪ની જોગવાઇ પણ કરવામાં આવી છે. ખેડુત સંઘર્ષ સમિતિનાં હોદેદારોનાં જણાવ્યા મુજબ જે લોકોને આ આંદોલન સાથે કશી પણ લેવા-દેવા નથી તે વ્યકિતઓ પણ ૧૪૪ની કલમને લઇને મુશ્કેલીમાં મુકાયા છે. આવી પરિસ્થિતિને લઇ બાડી ગામે આવેલ બજરંગદાસ બાપાની મઢુલી ખાતે ખેડુત સંઘર્ષ સમિતિનાં દરેક ગામનાં હોદેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જે એવા નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ આંદોલન સાથે જોડાયેલ ખેડુત પરિવારોના કુલ પરપ૯ સભ્યો એ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતનાઓને સંબોધી એક આવેદનપત્ર તૈયાર કર્યું છે જેમાં એવા પ્રકારે ઉલ્લેખ કરાયો છે કે આવી સ્થિતિ વચ્ચે અમારા જીવન જીવવું દુષ્કર થઇ ગયું છે અમારી આજીવીકા છીનવાઇ રહી છે ત્યારે જીવન કઇ રીતે જીવવું? આવી રાષ્ટ્રપતિ ભારતીય કાયદાની જોગવાઇ અનુસાર અરજી કર્તા તમામ વ્યકિતઓને ઇચ્છા મૃત્યુની મંજુરી કરવામાં આવે.

વધુમાં જણાવ્યું હતું કે આંદોલનકારીઓ પર કરવામાં આવેલ ખોટા પોલીસ કેસો રદ કરવા માટે જીલ્લા કલેકટર તથા ડીએસપીને રજુઆત કરવામાં આવશે. આગામી દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમો દ્વારા આંદોલનને વેગવંતુ કરવામાં આવશે.

ધાર્મીક કાર્યક્રમો પણ બંધ કરાવ્યા

ઘોઘા પંથકનાં ૧ર ગામોમાં ૪ થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હોય મંદિરનાં જીર્ણોધ્ધાર માટે રામકથાનું આયોજન કરાયું હતું તે બંધ રાખવામાં આવ્યું છે. લોકો સત્યનારાયણ ભગવાનની કથા પણ રાખી શકતા નથી. લગ્ન કે અન્ય પ્રસંગો પણ કરી શકાતા ન હોય ૧ર ગામોનાં લોકો ભારે મુશ્કેલીઓ વહોરી રહ્યા છે. (૭.૧૮)

(11:45 am IST)