Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

કોર્પોરેશનોમાં ભાજપના શાસનને વધાવતુ સૌરાષ્ટ્ર-કચ્છ

ભાજપના આગેવાનો-કાર્યકરો દ્વારા આતશબાજી-મિઠાઈનું વિતરણઃ મતદારોનો વિશ્વાસ તૂટવા નહી દઈએનો કોલ

પ્રથમ તસ્વીરમાં જૂનાગઢ, બીજી તસ્વીરમાં ધોરાજી અને ત્રીજી તસ્વીરમાં જામજોધપુરમાં વિજયના વધામણા કરાયા તે નજરે પડે છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ, કિશોર રાઠોડ-ધોરાજી, અશોક ઠાકર-જામજોધપુર)

રાજકોટ, તા. ૨૪ :. જામનગર, ભાવનગર, રાજકોટ સહિત ગુજરાતની છ મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજયના સૌરાષ્ટ્ર-કચ્છમાં વધામણા કરવામાં આવ્યા છે.

ભાજપના આગેવાનો-કાર્યકરો દ્વારા આતશબાજી કરવામાં આવી હતી અને મિઠાઈનું વિતરણ કરાયુ હતું.

ભાજપના વિજેતા ઉમેદવારોએ મતદારોનો વિશ્વાસ તૂટવા નહી દઈએ તેવો કોલ આપ્યો છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ ભાજપ દ્વારા કાળવાચોક ખાતે વિજ્યોત્સવ મનાવવામાં આવેલ આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ પુનિત શર્મા, મહામંત્રી ભરતભાઈ શીંગાળા, સંજયભાઈ મણવર, શૈલેષભાઈ દવે તેમજ આગેવાનો, હોદેદારો, કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોં મીઠા કરાવી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો.

ચૂંટણીના લોક ચુકાદાને ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ મહાનગર સહજ સ્વીકાર કરીએ છીએ. વોર્ડ નં. ૬ અને વોર્ડ નં. ૧૫ બન્ને વોર્ડમાં જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ પુનિતભાઈ શર્માના નેતૃત્વમાં આગેવાનો, હોદેદારો, કાર્યકર્તાઓએ જે અથાગ પરિશ્રમ કર્યો જેમાં વોર્ડ નં. ૧૫ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી નાગજીભાઈ ડાયાભાઈ કટારાનો ભવ્ય વિજય થયો છે. વોર્ડ નં. ૧૫ અને વોર્ડ નં. ૬ ના તમામ મતદારોનો આભાર માનીએ છીએ. મતદારોનો વિશ્વાસ કયારેય તૂટવા નહી દઈએ.

સમગ્ર ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિકાસયાત્રા ચાલી રહેલ છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં તમામ વોર્ડ-વિસ્તારમાં વિકાસ કાર્યો અવિરતપણે ચાલુ રહેશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર સહિત રાજ્યની છ મહાનગરપાલિકામાં મળેલી જીતને શહેર ભાજપે આતશબાજી કરી વધાવી હતી.

શહેરના ઘોઘાગેટ ખાતે એકઠા થયેલા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો તેમજ મીઠાઈની વહેંચણી અને આતશબાજી કરી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલી જીતને વધાવી હતી.

વિજયોત્સવ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જામજોધપુર

જામજોધપુરઃ ભાજપ કાર્યકરો દ્વારા સતાપર, વાંસજાળિયા, તરસાઈ, જામસખપુર ગામોમાં ભાજપાની બરોડા જામનગર રાજકોટ સહિત મહાનગરપાલિકામાં જીત થતા આતશબાજી કરી જીતને વધાવી હતી.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ શહેર ભાજપ દ્વારા ગુજરાતની મહાનગરપાલિકામા ભાજપનો ભગવો લહેરાતા ભવ્ય વિજય ઉત્સવ મનાવ્યો હતો.

ધોરાજીના અવેડા ચોક ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બક્ષીપંચ મોરચાના જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા, મનસુખ ભાજપ હીરાભાઈ અંટાળા, પ્રવીણભાઈ શિરોયા, વિજયભાઈ અંટાળા,  લાખાભાઈ બકુડીયા, રમણીકભાઈ ટોપીયા, જીતુભાઈ વઘાસીયા, પ્રવીણભાઈ ઢોલરીયા, સુરેશભાઈ વઘાસીયા (માસ્તર), ભાવિનભાઈ માથુકિયા, મનસુખભાઈ ગીનોયા વિગેરે કાર્યકર્તાોની હાજરીમાં ભવ્ય આતશબાજી સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો.

આ સાથે ભારત માતા કી જય વંદે માતરમ્ના નારા સાથે ધોરાજીમાં ભવ્ય વિજય ઉત્સવ ઉજવ્યો હતો અને આવનારી ૨૮ તારીખે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટમીમા કાર્યકર્તાઓએ આવો જ જંગી બહુમતીથી વિજય થાય તે પ્રકારે કામે લાગી જવા બાબતે કાર્યકર્તાઓને આહવાન કરાયુ હતું.

(11:15 am IST)