Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ધારાસભાની પેટા ચૂંટણીની સેન્સ પ્રક્રિયા જસદણના બદલે બાબરામાં લેવાતા ભારે ચર્ચા

વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખે પણ દાવેદારી કરી

આટકોટ, તા. ર૩ : જસદણ-વિંછીયા તાલુકાની ધારાસભાની પેટા ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે ત્યારે ભાજપમાંથી તો પૂર્વ ધારાસભ્ય અને હાલના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉમેદવારી ઉપર મહોર લાગી ગઇ છે, પરંતુ કોંગ્રેસ ગઇકાલે કોઇ વિવાદ ન થાય એ માટે જસદણને બદલે બાબરા સર્કીટ હાઉસ ખાતે માત્ર ટીકીટના દાવેદારોને બોલાવી સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખે પણ કોંગ્રેસમાંથી દાવેદારી કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

આ અંગે જાણવા મળ્યા મુજબ ગઇકાલે અચાનક કોંગ્રેસ દ્વારા જસદણ-વિંછીયા વિસ્તારના કોંગ્રેસ  વિસ્તારના કોંગ્રેસ પક્ષની ટીકીટ માટેના દાવેદારોને બાબરા સર્કીટ હાઉસ ખાતે પહોંચવા સંદેશો મળ્યો હતો.

સંદેશો મળતા જ જસદણ-વિંછીયા તાલુકાના કોંગ્રેસના ટીકીટના દાવેદારો જેમાં પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ (કોળી) સાણથલી જીલ્લા પંચાયતા સભ્ય વિનુભાઇ ઘડુક (પટેલ), વિંછીયા મા.યાર્ડના પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા (કોળી), રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઇ નાકીયા (કોળી), ીરૂભાઇ શીંગાળા (પટેલ), રણજીતભાઇ મેર (કોળી), ભોળાભાઇ સદાદીયા (કોળી), પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયા (પટેલ), વલ્લભભાઇ બેરાણી (કોળી) અને વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કે જેને હજુ એક મહિના પહેલા જ મુદત પૂરી થતા દૂર કરવામાં આવ્યા હતાં તે નાથાભાઇ વાસાણી હાજર રહી ચૂંટણી લક્ષી માહિતી નિરીક્ષકોને આપી ટીકીટની માંગણી કરી હતી.

કોંગ્રેસ તરફથી ત્રણ નિરીક્ષકો આવ્યા હતાં, જેમાં જસદણ-વિંછીયાની ચૂંટણીના ઇન્ચાર્જ અને ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, ધારાસભ્ય સોમાભાઇ પટેલ અને ભાવનગર જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જવેરભાઇ ભાલિયાએ દરેક દાવેદારોને અલગ-અલગ બોલાવી સાંભળ્યા હતાં.

આ સેન્સ પ્રક્રિયા જસદણને બદલે પહેલા બોટાદ રાખવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ બોટાદને બદલે બાબરા રાખવામાં આવી હતી.

જોકે જસદણ-વિંછીયા વિધાનસભાની પેટાચૂંટણીની ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા જસદણને બદલે કેમ બાબરા રાખવામાં આવી તેવો પ્રશ્ન કોંગ્રેસ કાર્યકરોને અકળાવી રહ્યાં છે.  જો કે આ અંગે એક આગેવાને જણાવ્યું હતું કે સ્થાનિક ઉમેદવારો તેમના ટેકેદારો દ્વારા નિરીક્ષકો ઉપર ખોટુ દબાણ ન લાવે તે માટે બાબરા સેન્સ પ્રક્રિયા હાથ ધરાય હતી.

ઉલ્લેખનીય છે કે દરેક દાવેદારોને સાથે કોઇ ટેકેદારને ન લાવવાની તાકીદ પણ કરવામાં આવી હતી.

(3:44 pm IST)