Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના કુલપતિપદે પ્રો.ચેતન ત્રિવેદીની વરણી

રાજકોટ તા.૨૨: ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના રેગ્યુલર કુલપતિ તરીકે હાલના ઇન્ચાર્જ કુલપતિ અને આ યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર એન્ડ હેડ પ્રો.(ડો) ચેતનભાઇ ત્રિવેદીની વરણી કરવામાં આવી છે.

ફેબ્રુઆરી ૨૦૧૯માં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના પ્રથમ કુલપતિ પ્રો.જે.પી.મયાણીનો કાર્યકાળ પૂરો થતા ગુજરાત સરકાર દ્વારા ઇન્ચાર્જ કુલપતિ તરીકે પ્રો.ચેતનભાઇ ત્રિવેદીની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા તથા અન્ય કારણોસર આજસુધી રેગ્યુલર કુલપતિ  વરણી થઇ ન હતી. પ્રો.ચેતનભાઇ ત્રિવેદીએ ઇન્ચાર્જ કુલપતિ તરીકે કાર્યદક્ષતા તથા સફળતા પૂર્વક ફરજ બજાવી હતી. ઉપરાંત યુનિવર્સિટી કક્ષાએથી સમાજલક્ષી, શિક્ષણલક્ષી તથા વિદ્યાર્થીલક્ષી હકારાત્મક અભિગમ અપનાવીને ખૂબજ ટૂંકા ગાળામાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને સફળતાના શિખરો તરફ લઇ ગયા હતા.

આજરોજ ગુજરાત સરકાર તરફથી રેગ્યુલર વાઇસ ચાન્સેલર તરીકે તેઓની પસંદગી થતા યુનિવર્સિટી હેઠળ આવતા ચાર જિલ્લાઓ જૂનાગઢ, પોરબંદર ગીરસોમનાથ તથા દેવભુમિ દ્વારકા જિલ્લાના શિક્ષણ જગતમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. શિક્ષણ, સમાજ તથા વિદ્યાર્થીઓના હિત માટે પોતે સદાય તત્પર રહેશે તેવું આજરોજ તેઓએ અકિલાને જણાવ્યું હતું.

પ્રો.ચેતનભાઇ ત્રિવેદી (મો.૯૭૨૫૨ ૫૧૪૨૪) ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એકઝીકયુટીવ કાઉન્સિલ મેમ્બર તરીકે તથા બોર્ડ ઓફ ગવર્નન્સના મેમ્બર તરીકે પણ સફળતાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેઓએ મૂળ ભાવનગરથી શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે અને છેલ્લા ૨૦ વર્ષોથી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેઓ શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે અદ્વિતિય રીતે જોડાયેલા છે. તેઓએ સેંકડો નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન અને વિવિધ વ્યાખ્યાનો આપેલ છે. ઉપરાંત રીસર્ચ પેપર્સ પણ રજુ કરેલ છે. તેઓ ઉપર અભિનંદની વર્ષા થઇ રહી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ યુનિવર્સિટીના કુલપતિપદમાટે પ્રો. ચેતન ત્રિવેદી સિવાય પ્રો. ગીરીશભાઇ પટેલ(વાઘાણી), પ્રો. ગીરીશભાઇભીમાણી, પ્રો. ભરતભાઇ રામાનુજ, પ્રો. કિશોરસિંહ ચાવડા જેવા મોટા ગજાના નામો પણ ચર્ચામાં હતાં. આ બધાં નામો વચ્ચે પ્રો. ચેતનભાઇ ત્રિવેદીએ મેદાન માર્યું છે.

યુનિવર્સિટી સંદર્ભે પોતાના ફયુચર વિઝન વિશે પ્રો. ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પોતાના ત્રણ વર્ષના કાર્યકાળ દરમ્યાન સૌથી પહેલી પ્રાયોરીટી યુનિવર્સિટીને પોતાનું બિલ્ડીંગ બની જાય તે છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીને રરા એકર જેટલી જગ્યા આપવામાં આવી છે.

આ ઉપરાંત ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને નેક એક્રેડીટેશન માટે સજજ કરવી, યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (યુજીસી) માંથી ૧રબી સર્ટીફીકેટ મેળવવું, જુનાગઢની આજુબાજુના વિસ્તારને અનુરૂપ જૈનીઝમ લીટરેચર સેન્ટર (ફલોસોફીકલ સ્ટડી સેન્ટર)ની સ્થાપના કરવી, સંશોધનને પ્રોત્સાહન આપવા માટે નરસિંહ મહેતા ઇન્ટરનેશનલ રીસર્ચ સેન્ટર સ્થાપવું. પરીક્ષા પદ્ધતિમાં હકારાત્મક સુધારા કરવા, વિસ્તારને અનુરૂપ સ્કીલ બેઝડ કોર્પીસ જેવા કે ઇ-કોમર્સ, ટુરીઝમ મેનેજમેન્ટ, ઇ-ટ્રેડીંગ, કોસ્ટલ મેનેજમેન્ટ, હોસ્પિટાલીટી મેનેજમેન્ટ વિગેરે કોર્ષીસ વહેલાસર શરૂ કરી સમાજને તથા વિદ્યાર્થીઓને રોજગારી સહિતના ક્ષેત્રોમાં ઉપયોગી બનવાની ઇચ્છા અંતમાં કુલપતિ પ્રો. ચેતનભાઇ ત્રિવેદીએ વ્યકત કરી હતી.

(12:00 pm IST)