Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મોરબીથી સાળંગપુર હનુમાનજીના દર્શન માટે એસ.ટી.બસ દોડાવવા માંગણી

ચાંચાપર તા.૨૩ : શહેર તેમજ તાલુકાના ઘણા ગામડાઓના ધર્મપ્રેમીઓ દરરોજ સાળંગપુર હનુમાનજીના દર્શનાર્થે જાય છે પણ મોરબીથી કોઇ સાળંગપુર જવા માટેની સળંગ એસટીની બસ જતી ન હોવાથી મોરબીથી સાળંગપુરની બસ દોડાવાય તો પ્રજાને પડતી અગવડતા નિવારી શકાય તે મતલબનો એક પત્ર ચાંચાપર ગામની તાલુકા શાળાના નિવૃત આચાર્યે એસ.ટી. બોર્ડના અધ્યક્ષને પાઠવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકાના ચાંચાપર ગામના પાદરમાંથી પસાર થતી સવારે મોરબીથી જામનગર જતી બસ નિયમિત રીતે અનિયમિત ચાલી રહી હોવાથી જામનગર જવા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી બસ પકડવા પગપાળા ચાલીને આવતા ઉતારૂઓ રઝળી પડે છે.

તેમજ મોરબીથી સવારે ટપાલના થેલાઓ લઇને આવતી મોરબી નેસડા રૂટની બસ સવારના દશને બદલે સવા અગિયાર વાગ્યે આવતી હોવાથી ઉના રૂટના લોકો હેરાન પરેશાન થઇ રહ્યા હોવાની બૂમ જાગી છે. આ બસમાં ચાંચાપરના વિદ્યાર્થી ભાઇ બહેનો ખાનપર હાઇસ્કૂલમાં અભ્યાસાર્થે જાય છે તે પણ અનિયમિતતાના કારણે હેરાન પરેશાન થઇ રહ્યાનુ જાણવા મળે છે તેમજ એસ.ટી. તંત્રની અનિયમિતતાને કારણે પ્રજાને ટપાલ મોડી મળે છે.

(12:22 pm IST)