Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જામનગર યૌન શોષણ કેસ : અંતે સરકારમાંથી આદેશ આવતા એફઆઇઆર

રાજ્‍ય સરકારને કલેકટરે રિપોર્ટ સોંપ્‍યા બાદ કાર્યવાહી : કસુરવારો સામે કડક પગલાના આદેશો છૂટયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૩ : જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્‍પિટલ ના કોવિડ વિભાગમાં યૌન શોષણના પ્રતિક આક્ષેપ બાદ છેલ્લા એક અઠવાડિયાથી આ મુદ્દો ગરમાયો છે. તપાસ સમિતિની રચના કર્યા બાદ ભોગ બનનાર અને સાંયોગિક લોકોના તપાસ કમિટીએ નિવેદનો નોંધ્‍યા બાદ ન્‍યાયની માગણી સાથે એટેનડેન્‍ટ દ્વારા મેડિકલ કેમ્‍પસમાં ધરણા કરવામાં આવ્‍યા હતા. આ દરમ્‍યાન ત્‍યાં અમદાવાદ થી મહિલા સંગઠનોના પ્રતિનિધિઓ પણ દોડી આવ્‍યા હતા અને સમગ્ર મુદ્દે વાતચીત પણ કરી હતી. આ ઉપરાંત મહિલા ન્‍યાય મંચ દ્વારા ત્રણ કરવામાં આવ્‍યા હતા અને આમરણાંત ઉપવાસની ચીમકી આપવામાં આવી હતી તેવામાં જ આ સમગ્ર મુદ્દે રાજય સરકારને કલેક્‍ટરે રિપોર્ટ સુપરત કર્યોછે અને બે લોકો સામે યૌન શોષણ અંગેની વિવિધ કલમો હેઠળ ગુન્‍હો નોંધી અટકાયત પણ કરવામાં આવી છે.

જામનગરની જી.જી. હોસ્‍પિટલના કોવિડ વિભાગમાં મહિલા એટેનડેન્‍ટના યૌન શોષણ અંગેના આક્ષેપો બાદ સમગ્ર મામલાને લઈને સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્‍યા હતા અને મુખ્‍યમંત્રીએ આ અંગે તપાસ માટે સીધો જ કલેક્‍ટરને ફોન કરી આ મુદ્દે ત્રટસ્‍થ તપાસ કરી કસૂરવાર સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપતા જ સમગ્ર તંત્ર એક્‍શન મોડમાં આવી ગયું હતું. અને SDMની અધ્‍યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. અને આ સમગ્ર ચર્ચાસ્‍પદ પ્રકરણમાં બીજા દિવસથી જ અનેક લોકોના નિવેદનો નોંધવામાં આવ્‍યા બાદ સતત અઠવાડિયા સુધી આ મુદ્દાને લઈને ભારે ગરમાવો રહ્યો હતો.ᅠ

જામનગરમાં બહુ ચર્ચિત યૌન શોષણ મામલાની વાતની શરૂઆત ૧૪ જૂન, ૨૦૨૧ના રોજ કલેકટર કચેરી ખાતે જી.જી.હોસ્‍પિટલ ના કોવિડ વિભાગ ના હંગામી કર્મચારીઓ અચાનક જ છૂટા કરી દેતા પગાર અને અન્‍ય બાબતે રજૂઆત કરવા માટે પહોંચ્‍યા હતા અને આ દરમિયાન જ મીડિયા સમક્ષ ઉપસ્‍થિત મહિલા કર્મચારીઓએ હોસ્‍પિટલના હંગામી કર્મચારીઓને કામે રાખતા કેટલાક લોકો સામે યોન શોષણ કરાતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાં જ રાજયના મુખ્‍યમંત્રીએ તાત્‍કાલિક આ સમગ્ર મુદ્દે તપાસ માટે આદેશો કર્યા હતા આ દરમિયાન જ ખૂબ જ ગંભીર આક્ષેપો ને લઈને રાજયના ગૃહમંત્રી અનેક આરોગ્‍ય વિભાગ પણ સફાળું જાગ્‍યું હતું અને તાત્‍કાલિક કસૂરવારો સામે પગલાં લેવા તમામ ડિપાર્ટમેન્‍ટને સૂચના આપી દેવામાં આવી હતી.

જી.જી.હોસ્‍પિટલમાં કથિત યોન શોષણ મુદ્દે તપાસ માટેના આદેશો મળતા જ જિલ્લા કલેક્‍ટરે તાબડતોબ પત્રકાર પરિષદ બોલાવી આ મુદ્દે તપાસ કમિટીની રચના કરી હતી. જેમાં એસડીએમ આસ્‍થા ડાંગર, જામનગરના એ.એસ.પી નિતેષ પાંડેય અને ડેન્‍ટલ કોલેજના ડીન ડો. નયના પટેલની તપાસ કમિટી ને આ સમગ્ર મુદ્દે તમામ સત્તાઓ સાથે તપાસ સોંપવામાં આવી હતી. અને કસૂરવારો સામે એફ.આઈ.આર. સહિતની કાર્યવાહી માટે પણ કડક સૂચના આપવામાં આવી હતી.

આ સમગ્ર મુદ્દે જીજી હોસ્‍પિટલ થી શરૂ થયેલ યૌન શોષણનો મુદ્દો ૧૬ જૂનના બુધવારના દિવસથી જ ચર્ચાના ચકડોળે રહ્યો હતો અને અલગ અલગ જગ્‍યાએ મહિલા કર્મચારીઓ અને તેમની સામે આક્ષેપ કરાયા છે તે લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્‍યા હતા. આ નિવેદનો નોંધાયા બાદ સમગ્ર મુદ્દે તપાસ કમિટીના એસડીએમ આસ્‍થા ડાંગરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે ખાસ વિડિયો રેકોર્ડિંગ સાથે ગુપ્ત રાહે તમામ નિવેદનો લેવાયા હતા અને આ અંગેનો અહેવાલ જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવ્‍યા બાદ રાજય સરકારને સુપરત કરાયો હતો જયાંથી સુચના મળતા અંતે આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અને એ.સી.બી.એ ગુપ્તરાહે બે લોકોની અટકાયત પણ કરી લીધી છે.

જામનગરની જી.જી હોસપીટલ ના કોવિડ વિભાગમાં મહિલા કર્મચારીઓના યોન શોષણ મામલે રાજકીય અને સામાજિક આગેવાનો પણ હોસ્‍પિટલે દોડી ગયા હતા અને કેટલાક હંગામી કર્મચારીઓ સાથે આ સમગ્ર મુદ્દે ઘટસ્‍ફોટ પણ કર્યા હતા. અને હોસ્‍પિટલના હંગામી કર્મચારીઓના મેનેજમેન્‍ટ કરતા એચ આર મેનેજર અને કેટલાક સુપરવાઈઝર દ્વારા ૬૦ થીᅠ ૭૦ જેટલી યુવતીઓના શોષણ થતા હોવાના દાવા સાથે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત મહિલા અગ્રણીઓ દ્વારા તપાસમાં બોલાવાયેલ હંગામી મહિલા કર્મચારીઓના નિવેદનો દરમિયાન સમગ્ર પ્રકરણને દબાવવા માં આવી રહ્યું હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્‍યા હતા અને નિવેદન બાદ યુવતીએ પણ ઉલટ તપાસ માં પ્રકરણ દબાવીને સફેદ કરવાના પ્રયત્‍નો થતા હોય તેવા આક્ષેપ પણ કર્યા હતા. અને અંતે એસપી ઓફિસ એ પણ આ મુદ્દે નોટરાઇઝ નિવેદનો સાથે તાત્‍કાલિક એફ.આઇ.આર નોંધવા મહિલા ન્‍યાય મંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને મંગળવારે ધરણા પણ કરવામાં આવ્‍યા હતા.

જી.જી.હોસ્‍પિટલમાં કોવિડ વિભાગમાં હંગામી કર્મચારીઓની ભરતી અને કાર્યકાળ દરમિયાન યૌન શોષણ ની સમગ્ર કથિત ઘટનાને લઇને વાતાવરણ પણ ગરમાયુ હતું. અને રાજય સરકાર સુધી રીપોર્ટ પહોંચતાં તાત્‍કાલિક એ.એસ.પી. નિતેષ પાંડેયના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઘટનામાં તત્‍કાલીન એચઆર મેનેજર લોમેશ પ્રજાપતિ અને અલી અકબર સામે યૌન શોષણ સંબંધે આઈપીસીની કલમ ૩૫૪, ૩૫૪(એ),૩૫૪(બી) તેમજ ૫૦૯ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ૩૫૪(બી) નોન બેલેબલ છે આ ઉપરાંત તપાસ દરમિયાન જે લોકોના નામ સામે આવશે તેમાં પણ તેમનો ઉમેરો કરી કાર્યવાહી કરવામાં આવશે.

આ સમગ્ર ચકચારી યૌન શોષણ મામલે ફરિયાદ નોંધતા પૂર્વે જ જામનગર પોલીસે લોમેશ પ્રજાપતિ અને અલી અકબરની અટકાયત કરીને કોવિડ ટેસ્‍ટ માટે મોકલી દેવામાં આવ્‍યા હતા. અને અંતે આ મુદ્દે પોલીસે સરકારમાંથી આદેશ આવતા જ એફઆઈઆર નોંધી છે.

 

(3:49 pm IST)