Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

જળ સંચય માટેનો વિકાસ બરોબર પણ ઐતિહાસિક જળ ધરોહર બિચારી બની છે તેનું શું ?

ઐતિહાસિક વારસાનું જતન થાય તો લોકોમાં પણ ખૂબ જાગૃતિ આવશે

ભાવનગર-ઈશ્વરીયાઃ વિકાસના નામે કેટલો ભયંકર વિનાશ સર્જાય રહ્યો છે તે બાબત આપણે જાણવા છતા અજાણ્યા બની રહ્યા છીએ, બનવુ પડે છે ! ઠેર ઠેર જળસંગ્રહ માટે વાત અને તેના કામથી વિકાસ વિકાસ... વિકાસ કરી રહ્યા છીએ, સારી વાત છે, તેમા કોઈ શંકા નથી. આ સાથે આપણી ઐતિહાસિક જળ ધરોહરોનો થતો વિનાશ કેમ આપણે જોતા નથી ?

વાત માંડીને કરીએ... તો.. વર્ષોના વહાણા વા'યા તે પહેલા પણ કોઈ તરસે ના રહે તે માટે સખાવતીઓએ વાવ, કુવા અને નાના-મોટા જળાશયો નિર્માણ કરી સમાજને અર્પણ કર્યા હતા.. પ્રસ્તુત તસ્વીરમાં દ્રશ્યમાન અવાવરૂ વાવ ભાવનગરથી તળાજા-મહુવા જતા ધોરી માર્ગ પર બુધેલ ગામ નજીકની છે.

આ કલાત્મક વાવ છે (કે હતી). એક સૈકા પહેલાની એટલે કે લગભગ ૧૧૫ વર્ષ પહેલાની આ વાવ છે (હતી.) 'શ્રી ૧ા' સાથે કોતરાયેલી આરસની તકતીમાં તત્કાલીન ભાષા પ્રયોગ મુજબ વિગતો આપી છે કે, 'આ વણારથી વાવ શ્રી ભાવનગરના રહીશ કપોળ જ્ઞાતિના વણીક ભૂંજા અમરાવાળા સ્વર્ગવાસી શા વણારશી જાઘાજીના પૂણ્યાર્થે તેમના પુત્રો - ભાઈ મગનલાલ તથા પરમાંદ દાસે વાવડી દરબાર શ્રી દેવાણી નથુભાઈ ગોદડભાઈના વખતમાં સંવત-૧૯૫૮ના ફાગણવદી - ૫ ને શનિવારે ગળવીને બંધાવી છે અને ૧૯૦૨'  આ લખાણ ઉલ્લેખ મુજબ આ વાવ આજે ૧૧૫ વર્ષથી વધુની છે. સદી પહેલાની આ કલાત્મક વાવ આજે કઈ સ્થિતિમાં છે ?
આપણો આવો આર્યદ્રષ્ટા ઈતિહાસ આજે ખંડીયર બન્યો છે તે તો ઠીક પણ આ ઐતિહાસિક વાવ કદાચ દટાઈ રહી છે કે દાટી દેવામાં આવશે ? ભાવનગરથી મહુવા ધોરી માર્ગમાં આ વાવ આવી ગઈ છે એટલે હવે આ વાવ છે કે હતી ? ત્યાં જઈએ તો જાણવા મળે.

વિકાસ અવશ્ય થવો જોઈએ પણ આપણા ઈતિહાસને જ દાટી દઈને થતો વિકાસ કેટલો વ્યાજબી ? વણારથી વાવની આ સ્થિતિ અંગે એક પણ ઈતિહાસ વિદ્દ, સમાજ સુધારક કે કાર્યકર કશું બોલ્યા નથી. નેતાઓને તો કશી ખબર જ નહિ હોય, તેની પાસે શું અપેક્ષા રાખવી ?

આ વાવ ઉપર ધોરી માર્ગને ઢોળાવ આપીને ઐતિહાસિક સ્મારક બનાવી શકાયુ હોત પણ માત્ર જળ સંગ્રહની વાત અને વિકાસની વાત ચિતરવાની છે તેનું ઘેલુ લાગ્યુ છે અને ઐતિહાસિક જળસ્થાનોનો વિનાશ સૌ જોઈ રહ્યા છે..!

 (તસ્વીર-અહેવાલઃ મુકેશ પંડિત-ઈશ્વરીયા)

(10:41 am IST)