Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ધોરાજી ગૌશાળામાં ઓકિસજનના બાટલા લેવા આવેલા સ્વજનોએ રડતા - રડતા કહ્યું 'તમે અમારા ભગવાન છો...'

ધોરાજીમાં માધવ ગૌશાળાએ માનવતા મહેકાવી : જે કામ તંત્ર ન કરી શકયું તે માધવ ગૌશાળાએ કરી આપ્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૩ : સમગ્ર ગુજરાતમાં ઓકિસજનનો વિસ્ફોટ છે ઓકિસજનના બાટલાના અભાવે અનેક દર્દીઓના મોત થયા છે ત્યારે ધોરાજીમાં પણ છેલ્લા કેટલાય સમયથી લોકો ઓકિસજન વગર પરેશાન થઈ રહ્યા છે. માત્ર ખાનગી હોસ્પિટલમાં ઓકિસજનની સુવિધા હતી તેમજ સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન ની સુવિધા ઉભી કરવામાં આવી છે પરંતુ જે પ્રકારે બેડ ધરાવે છે એનાથી ડબલ વિસ્ફોટ દર્દીઓ જોવા મળી રહ્યો છે આવા સમયે ગરીબ દર્દીઓને કોઈ હાથ જાલવાવાળુ નહોતું ત્યારે ધોરાજીની ખરાવડ પ્લોટ ખાતે આવેલું માધવ ગૌશાળાએ તાત્કાલિક અસરથી ૫૦ જેટલા ઓકિસજનના બાટલા વસાવી તાત્કાલિક કોરોના પોઝિટિવ દર્દીઓને જરૂર છે તેવા તમામ દર્દીઓ માટે વિતરણ શરૂ કરતા આશીર્વાદ રૂપ સેવા બની હતી.

ધોરાજી માધવ ગૌશાળા સંચાલક ભુપતભાઈ કોયાણીએ જણાવેલ કે હાલમાં કોરોનાના વધતા જતા કેસો અને ઓકિસજનની સર્જાતી અછત સામે હવે સમગ્ર ધોરાજી શહેરમાં ઓકિસજન ની અછત ઊભી થઈ છે અનેક દર્દીઓ નોઓકિસજન વગર પોતાનો જીવ ગયો છે ત્યારે ધોરાજીમાં સેવા કરતી અમારી માધવ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગાયોની સેવાની સાથે સાથે માનવ સેવા કરવાનો વિચાર આવ્યો અને તાત્કાલિક અસરથી ૫૦ જેટલા ઓકિસજનના સિલિન્ડર ડીપોઝીટ ભરીને લોકસેવા કાર્ય માટે મંગાવ્યા છે આ સમયે અમારી માધવ ગૌશાળાના જયેશભાઈ વઘાસિયા સંજયભાઈ વૈષ્ણવ ભરતભાઈ અકબરી વિગેરે ૫૦થી વધારે કાર્યકર્તાઓ લોકોની સેવા કાર્ય માટે લાગી ગયા છે અને કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ તેમને તાત્કાલિક ઓકિસજનની જરૂર છે તેવા તમામ ઘરમાં રહેલા દર્દીઓ માટે વિનામૂલ્યે સાથે તેમને કીટ આપવાની વ્યવસ્થા કરી છે.

પ્રથમ દિવસે જ અમોને એવો અનુભવ થયો કે એક પરિવાર ઓકિસજનના બાટલા માટે શહેર નહીં પણ અન્ય ગામોમાં પણ ફરતું હતું એ પરિવાર મારી પાસે આવ્યો અને અમે તાત્કાલિક તેમને ઓકિસજનનો બાટલો અને તેમની કીટ આપી ત્યારે એ પરિવાર રડતાં રડતાં કહ્યું કે તમે અમારા ભગવાન છો પરંતુ આજે જયારે કોરોના મહામારીના સમયમાં લોકોની સેવા ન કરીએ તો કઈ સેવા કરવી એ હેતુથી અમારી માધવ ગૌશાળા ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓએ માનવ સેવાનું કાર્ય હાથ લઇ જયાં સુધી શકય હશે ત્યાં સુધી તમામ લોકોને વિનામૂલ્યે ઓકિસજનની બોટલ આપવામાં આવશે.

અમારી સરકારને વિનંતી છે કે અમે જે સેવા કાર્ય શરૂ કર્યો છે તેમાં ઓકિસજન બોટલ ખાલી થયા પછી તાત્કાલિક બોટલ ભરાવાની છે અમે વ્યવસ્થા ઊભી કરી છે તેમાં કોઈ અવરોધો ન કરે અને તાત્કાલિક બોટલ ભરી આપે તે પ્રકારની સરકાર અમને મદદ કરે તેવી પણ અમે માગણી કરી છે.

હાલમાં કોરોના મહામારીના સમયમાં આપ સૌ જોઈ રહ્યા છો ત્યારે સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલની અંદર દર્દીઓનો રાફડો ફાટયો છે જીવ અધ્ધરતાલ થઈ રહ્યો છે ત્યારે ખાનગી હોસ્પિટલ લોકોને સારવાર તો કરી રહી છે પરંતુ તેના ખર્ચ આ લોકોને પોસાય તેવા નથી છતાં પણ લોકો જીવ બચાવવા બાબતે ખાનગી હોસ્પિટલનો પણ સહારો લઈ રહ્યા છે ત્યારે ધોરાજી માધવ ગૌશાળા એ વિનામૂલ્યે સેવા આપી તે બદલ ધોરાજી વિવિધ સંસ્થાઓએ પણ તેમનો આભાર માન્યો હતો.

(11:28 am IST)