Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

કાલે શ્રી ગુરૂ આશ્રમ-બગદાણામાં પૂ. બજરંગદાસ બાપાની પુણ્યતિથિ ઉજવાશે

નગરયાત્રા, મહાપ્રસાદ, મહાઆરતી, ધ્વજારોહણ, ગુરૂપૂજન સહિતના કાર્યક્રમોમાં હજારો ભાવિકો ઉમટશે

ભાવનગર-કુંઢેલી, તા. ર૩ : સુપ્રસિદ્ધ તિર્થસ્થળ શ્રી ગુરૂઆશ્રમ બદાણા (તા. મહુવા, જિ. ભાવનગર) ખાતે સંત પૂ. બજરંગદાસબાપાનો ૪રમો પુણ્યતિથિ મહોત્સવ કાલે તા. ર૪ને ગુરૂવારના રોજ ભકિતમય માહોલ વચ્ચે હજારો દર્શનાર્થીઓની સામેલગીરી સાથે ઉજવણી કરવામાં આવશે.

આ વર્ષના પુણ્યતિથિ મહોત્સવના ઘોષિત થયેલા કાર્યક્રમો મુજબ વહેલી સવારના પ થી પ-૩૦ કલાક સુધીમાં મંગલા આરતી થશે. ધ્વજાજીના પૂજનવિધિ સવારના ૭:૩૦ થી ૮:૧પ કલાક સુધી જયારે ધ્વજા રોહણ સવારના ૮-૧પ થી ૮-૩૦ કલાક સુધીમાં યોજાશે. તેમજ મહિમાપૂર્ણ ગુરૂપૂજન સવારના ૮-૩૦થી ૯-૩૦ કલાક દરમિયાન થશે. ઉપરાંત પ્રતિવર્ષ આ મહોત્સવ વેળાએ યોજાતી પૂ. બાપાની નગરયાત્રાનું ગુરૂ આશ્રમ ખાતેથી સવારના ૯-૩૦ કલાકે પ્રસ્થાન થશે જે નગરયાત્રા બગદાણા ગામમાં ફરશે. બાદમાં મહાપ્રસાદ વિતરણ સવારના ૧૦ કલાકથી અવિરત શરૂ રહેશે.

પ્રસાદ વિતરણ વ્યવસ્થા માટે ગોપાલગ્રામ ખાતે ભાઇઓ માટે તથા આશ્રમ પરિસર નજીકના નવા રસોડા વિભાગ ખાતે બહેનો માટે અલગ-અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીં બંને ભોજનશાળા ખાતે પરંપરાગત રીતે સૌને પંગતમાં બેસીને પ્રસાદ વિતરણ થશે.

આ ૪રમી પુણ્યતિથિ મહોત્સવમાં બગદાણા ધામ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો-યાત્રાળુજનો પધારવાના હોય ગુરૂ આશ્રમ ખાતે તમામ આગોતરી વ્યવસ્થાઓને આખરીઓપ અપાય રહ્યો છે. અહીં અલગ અલગ વિભાગોમાં સ્વયંસેવકોને સેવા કામગીરી સોંપવામાં આવી છે. તમામ વિભાગોમાં ગુરૂ આશ્રમના ખાસ સ્વયંસેવકો બહેનો અને ભાઇઓ સેવા પૂરી પાડશે.

આ ઉપરાંત આ દિવસની ખાસ વ્યવસ્થાઓ અને આગોતરા આયોજનના ભાગરૂપે ગત તા. ૧પને મંગળવારે ગુરૂ આશ્રમ ખાતે અલગ અલગ સરકારી વિભાગો અને તેના અધિકારીશ્રીઓ સાથે ગુરૂ આશ્રમના ટ્રસ્ટી મંડળ સાથે કાર્ય સંકલન માટે બેઠક યોજાઇ હતી.

અત્રે બગદાણા ધામે પહોંચવા માટે એસ.ટી. બસ વિભાગ દ્વારા તળાજા-મહુવા-પાલીતાણા-ભાવનગર ડેપો ખાતેથી ખાસ બસો દોડાવવાની વ્યવસ્થા પણ થઇ હોવાનું જાણવા મળેલ છે.

આજે ગુરૂ આશ્રમ ખાતે બાપાની પુણ્યતિથિ મહોત્સવની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવાનો ધમધમાટ જોવા મળ્યો હતો. સૌ કાર્યકરો-સ્વયંસેવક સહિતના પૂર્વ તૈયારીઓ અને આયોજનમાં જોડાયા છે. ગુરૂ આશ્રમ પરિસરના તમામ દેવાલયો વીજળીની રોશથી શણગારવામાં આવી રહ્યા છે તેમજ બાપાના ગાદી મંદિરને વિવિધ ફૂલો વડે સજાવવામાં આવશે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે ચાર દાયકા પહેલા અલગારી સંત પૂ. બજરંગદાસ બાપા બગદાણાના ગુરૂ આશ્રમ ખાતે તા. ૯/૧/૧૯૭૭ ને રવિવારના વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા. આ દિવસે વિક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની તિથિ હતી. એ મુજબ પૂ. બાપાનો આ ૪રમી પુણ્યતિથિ છે. (૮.૬)

(11:51 am IST)