Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

નયારા એનર્જી દ્વારા વાડીનારમાં પેટ્રોકેમિકલ્સ પ્રોજેકટનો ભૂપેન્દ્રભાઇના હસ્તે શિલાન્યાસ

મુખ્યમંત્રી અને પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને ભારતના શહેરી તથા આવાસ બાબતોના કેન્દ્રીય મંત્રી હરદીપ એસ. પુરી દ્વારા પેટ્રોકેમિકલ્સ પ્રોજેકટ માટેના શિલાન્યાસ સમારોહનું ઉદ્ઘાટન કરાયું : કંપની ગુજરાતમાં સમુદાયોને સહયોગ આપવા માટે ૫૦૦ હેન્ડવોશિંગ સ્ટેશનની સ્થાપના કરશે

(મુકુંદ બદિયાણી - કૌશલ સવજાણી દ્વારા) જામનગર - ખંભાળીયા તા. ૨૨ : આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ ઊર્જા કંપની નયારા એનર્જીએ વિશ્વ કક્ષાના સંકલિત ઇંધણ પેટ્રોકેમિકલ સંકુલના નિર્માણના પ્રથમ તબક્કા તરીકે ગુજરાતના વાડીનારમાં આવેલી તેની ૨૦ એમટીપીએ રિફાઇનરી સુવિધા સ્થળે ૪૫૦ કેટીપીએ પોલીપ્રોપીલિન પ્લાન્ટ માટે પેટ્રોકેમિકલ પ્રોજેકટનો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પેટ્રોલિયમ, કુદરતી ગેસ, શહેરી તથા ગૃહ નિર્માણ બાબતોના કેન્દ્રીય મંત્રી હરદીપ એસ. પુરીની સાથે સાથે નયારા એનર્જીનું નેતૃત્વ કરતા એકિઝકયુટિવ ચેરમેન ટોની ફાઉન્ટેન તથા ચીફ એકિઝકયુટિવ ઓફિસર ડો. એલોઈસ વિરાગ દ્વારા કરાયું હતું.

નયારા એનર્જીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૯માં પેટ્રોકેમિકલ્સમાં વિસ્તરણ કરવાની યોજનાઓની જાહેરાત કરી હતી અને આ પ્રોજેકટમાં ૭૫૦ મિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. હાલના એફસીસી અને એલપીજી ટ્રીટમેન્ટ યુનિટ સાથે સંકળાયેલી ઓફસાઇટ અને ઉપયોગિતા સુવિધાઓને અપગ્રેડ કરવાની  સાથે સાથે ૪૫૦ કેટીપીએ ક્ષમતાનો પોલીપ્રોપીલીન પ્લાન્ટ અને એક નવું પ્રોપીલીન રિકવરી યુનિટ સ્થાપવાની યોજનાઓ ચાલી રહી છે. પેટ્રોકેમિકલ્સ પ્રોજેકટનું નિર્માણ ૨૦૨૩ માં પૂર્ણ થવાની ધારણા છે. નયારાની પેટ્રોકેમિકલ વિસ્તરણની આ વ્યાપક યોજનાના પ્રથમ તબક્કાને હાંસિલ કરશે.

આ તકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે સ્થળોએ કંપની દ્વારા મુકવામાં આવેલા હેન્ડવોશિંગ સ્ટેશનોનું પણ મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. સ્વચ્છ ભારત અભિયાન તરફના ગુજરાતના પ્રયાસોને સહયોગ આપવાના ઉદ્દેશ્ય સાથે સમુદાયોનની પહોંચ સ્વચ્છતા સુધી કરાવવા માટે કંપની તેની સીએસઆરની નવીનતમ પહેલ તરીકે ગુજરાતમાં ૫૦૦ હેન્ડવોશિંગ સ્ટેશનો સ્થાપી રહી છે.

પ્રોજેકટના વિકાસ અંગે વિવેચન કરતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'ગુજરાત રાજય પ્રત્યે પ્રતિબદ્ઘતા દર્શાવવા પેટ્રોકેમિકલ્સ પ્રોજેકટની સ્થાપના કરવા માટે અમે નયારા એનર્જીને અભિનંદન આપીએ છીએ. આ પ્રોજેકટ ગુજરાતને સામાજિક-આર્થિક ક્ષેત્રે યોગદાન આપવાની સાથે સાથે દેશમાં રોકાણના અગ્રણી સ્થળ તરીકે ગુજરાતની આર્થિક વિકાસ અને રોજગારી સર્જનની સ્થિતિને મજબૂત કરશે.'

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, 'ભારતમાં પેટ્રોકેમિકલ્સની વધતી જતી માંગને સહયોગ આપવા માટે નયારા એનર્જીનો પેટ્રોકેમિકલ્સ પ્રોજેકટ સ્થાનિક ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે અને ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા તથા આત્મનિર્ભર ભારત વિઝનને ટેકો આપશે, જયારે આયાત પરની નિર્ભરતા ઘટાડશે.'

આ પ્રસંગે નયારા એનર્જીના એકિઝકયુટિવ ચેરમેન  ટોની ફાઉન્ટેને જણાવ્યું હતું કે, 'નયારા તરીકે અમારો ઉદ્દેશ્ય વિશ્વના સૌથી મોટા સંકલિત ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પરિસરો પૈકીના એક બનવાનો છે. આ પ્રોજેકટ 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને અનુરૂપ ભારતની વધતી જતી પેટ્રોકેમિકલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રગતિશીલ ગુજરાત રાજયની નીતિઓ અમારા વ્યવસાયને વિસ્તારિત કરવા માટે ખૂબ જ આકર્ષણનું સ્થાન બનાવે છે.  કંપની એ સુનિશ્ચિત કરવા માટે પણ પ્રતિબદ્ઘ છે કે અમે જે સમુદાયોમાં કામ કરી રહ્યા છીએ તેમને પણ લાભદાયી થાય, વિકાસ થાય અને પ્રગતિ થાય.'

નયારા એનર્જીના ચીફ એકિઝકયુટિવ ઓફિસર એલોઈસ વિરાગે ઉમેર્યું હતું કે, 'પોલીપ્રોપીલિનની માંગ વાર્ષિક ૧૦%થી વધુ વધવાની ધારણા છે. પેટ્રોકેમિકલ્સમાં અમારા પ્રવેશ સાથે દેશમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ બંનેની વધતી માંગને પહોંચી વળવામાં નયારા એનર્જી મદદ કરશે. પેટ્રોકેમિકલ્સ પ્રોજેકટ કંપનીની નાણાકીય કામગીરીને આગળ ધપાવવાનું ચાલુ રાખશે, જયારે પ્રદેશમાં આનુષંગિક ઉદ્યોગોના વિકાસ અને રોજગાર સર્જનની સુવિધા ઉભી કરશે. ૫૦૦ હેન્ડવોશિંગ સ્ટેશનની સ્થાપના એ લોકોને સુવિધાઓ પૂરી પાડવા માટે અમારા નિરંતર કેન્દ્રનો એક ભાગ છે જે તેમની સુખાકારીને સહયોગ આપશે.'

(10:10 am IST)