Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કાલાવાડમાં ઉપવાસી લોકો સાથે પોલીસનો બળપ્રયોગઃ ધારાસભ્ય પ્રવિણ મુછડીયા

ખેડુતોના પ્રશ્ને બે દિવસથી ઉપવાસ ચાલુ હોવા છતા આવેદનપત્ર ફેંકી દીધું ? લાઠીચાર્જ કરીને પોલીસની ગાડીમાં બેસાડી દીધા

રાજકોટ, તા., રરઃ કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડુતોના હાલ બેહાલ થયા છે તેવા સમયે કાલાવાડમાં ખેડુતો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પાક વિમા સહિતના પ્રશ્ને ઉપવાસ આંદોલન શરૂ કર્યુ હતું. મામલતદારશ્રીએ આવેદનપત્ર ન સ્વીકારતા ખેડુતો મામલતદાર કચેરીમાં જ ઉપવાસ ઉપર બેસી ગયા હતા. ગઇકાલે રાત્રીના ઉપવાસી લોકો સાથે પોલીસે બળપ્રયોગ કરતા અફડાતફડી મચી ગઇ હતી તેમ કાલાવાડના કોંગ્રેસના ધારાસભ્ય  પ્રવિણભાઇ મુછડીયાએ અકિલાને જણાવ્યું હતું.

પ્રવિણભાઇ મુછડીયાએ વધુમાં જણાવ્યું કે બુધવાર સવારે ખેડુતોના મુદ્દે આવેદનપત્ર રેલી સ્વરૂપે આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ મામલતદારશ્રીએ ૩ થી ૪ વ્યકિતઓને જ આવેદનપત્ર પાઠવવા આવવા જણાવતા મામલો બીચકયો હતો અને કોંગ્રેસના આગેવાનો અને ખેડુતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ હતું. ગઇકાલે ઉપવાસના બીજા દિવસે રાત સુધી પણ આવેદન પત્ર સ્વીકારવામાં ન આવતા મામલતદારશ્રી નિકળ્યા ત્યારે તેમને  આવેદનપત્ર સ્વીકારવા માટે વિનંતી કરવામાં આવી હતી.

પરંતુ તેઓએ આવેદનપત્ર સ્વીકાર્યુ ન હતું ત્યાર બાદ પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને કોંગ્રેસના આગેવાનો , કાર્યકરોને લઇને  પોલીસની ગાડીમાં બેસાડી દીધા હતા જેથી ખેડુતોમાં અફડાતફડી મચી ગઇ હતી.

ધારાસભ્યશ્રી મુછડીયાએ વધુમાં જણાવ્યું કે ખેડુતો મુદ્દે આવેદનપત્ર સ્વીકારવામાં ન આવતા આ મામલો બીચકયો હતો અને ખેડુતોમાં ભારે નિરાશા વ્યાપી ગઇ છે. આવેદનપત્ર ફેંકી દેવામાં આવતા તંત્ર સામે રોષ વ્યાપ્યો છે.

આઅંગે મામલતદારશ્રી આસ્થાબેન ડાંગરનો સંપર્ક કરવા પ્રયત્ન કરતા તેઓ સેમિનારમાં હોવાથી મળી શકયા નહતા

(1:05 pm IST)