Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

અમરેલી જિલ્લામાં અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોની નોંધણીની રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને બહોળો પ્રતિસાદ

૨૧૧ જેટલા સીએસસી સેન્ટરો ઉપર કામગીરી શરૂ

અમરેલી તા. ૨૨ : જિલ્લામાં અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોની નોંધણીની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં ૨૧૧ જેટલા સીએસસી સેન્ટરો ઉપર કામગીરી શરૂ કરવામાં આવતા શ્રમયોગીઓએ બહોળો પ્રતિસાદ આપ્યો છે. આ મહિનાના અંત સુધીમાં ૩૦૦ થી વધુ સેન્ટરો કામગીરીમાં જોડાશે.

બાંધકામ શ્રમયોગીઓ, સ્થળાંતરીત શ્રમયોગીઓ, ઘરકામ કરનાર, રસોઇ કરનાર, ઘરેલુ કામદારો, ખેત શ્રમયોગીઓ, સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, ફેરીયાઓ, નાના દુકાનદારો, આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ, માછીમારો, દૂધવાળા, ધોબી, મનરેગા અંતર્ગત કામ કરતા શ્રમયોગીઓ, રીક્ષા ચાલકો, મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ અન્ય અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓની નોંધણી ઈ-ગ્રામ કેન્દ્રો ઉપર, કોમન સર્વિસ સેન્ટર અથવા મોબાઈલ દ્વારા www.eShram.gov.in પોર્ટલ પર ઓનલાઇન કરવામાં આવે છે. ૧૬ થી ૬૦ વયજૂથના કે જેઓ પીએફ કે અન્ય ઇન્સ્યોરન્સનો લાભ મેળવતા નથી કે આવક વેરો ભરતા નથી તેવા શ્રમિકો પોતાનું આધારકાર્ડ, મોબાઈલ નંબર અને બેન્કની વિગતો આપીને નોંધણી કરાવી શકે છે.

ઈ-શ્રમ કાર્ડ સમગ્ર દેશમાં માન્ય છે તેમજ પીએમએસબીવાય યોજના હેઠળ અકસ્માત વીમો, આકસ્મિક કે કાયમી વિકલાંગતા પર ૨ લાખ અને આંશિક વિકલાંગતા પર ૧ લાખની સહાય મળવાપાત્ર છે. ઈ-શ્રમ કાર્ડની મદદથી પાત્રતા ધરાવતા શ્રમિકના મૃત્યુ બાદ અંત્યેષ્ઠી માટે ૫ હજારની સહાય અને અન્ય સામાજિક સુરક્ષાના લાભો મળવાપાત્ર છે. આ અંગે વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર ૧૫૫૩૭૨ અથવા રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર ૧૪૪૩૪ સંપર્ક સાધવાનો રહેશે. નોંધનીય છે કે રાજય સરકારની યોજના યુવિન કાર્ડ જાહેર થયે ટુંક સમયમાં જ અમરેલી જિલ્લામાં ૨૪૦૦૦ જેટલા કાર્ડ રજીસ્ટર થયા હતા.

(12:42 pm IST)