Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વઢવાણના બલદાણાના પાટીયા પાસે ઇકો ગાડીએ ૪ ગોથા ખાતા રાજકોટના મહિલાનું મોત : ૩ ગંભીર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૨ : સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં તહેવારોના માહોલમાં હાઈવે ગોજારા બની રહ્યા છે ત્યારે વઢવાણ તાલુકા બલદાણા ગામના પાટીયા નજીક રાજકોટ અમદાવાદ હાઈવે પર ઈકો ગાડી અચાનક ત્રણ ચાર ગલોટીયા ખાઈને પલ્ટી ખાતા ડાઈવર સહિત ત્રણ વ્યકિતઓને ઈજાઓ પહોંચી હતી. જેમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન રાજકોટની મહિલાનું મોત નીપજતા ચકચાર મચી હતી.

વધુ વિગત મળતી માહિતી મુજબ રાજકોટના રૈયાધાર રાણીરૂડી માનો ચોક દરગાહ સામે રહેતા ધુનાબહેન દામાભાઈ ચાવડા ઉંમર ૫૦ વર્ષ અને તેમનો દીકરો મિહીર દોઢ વર્ષનો અને તેમની નાની બહેન જડીબહેન સહિતના પરિવાર લિંબડી સર્કલથી ચોટીલા જવા માટે ઈકો ગાડીમાં બેસીને મુસાફરી કરતા સમયે વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટીયા નજીક કાર ચાલકે મોબાઈલ ફોન પર વાત કરતા સમયે સામેથી આવતા ઈકો ગાડીના ચાલકે કારને કાવો મારતા ઈકો ગાડી રોડની સાઈડમાં ઉતરીને ત્રણ ચાર ગોથા ખાતા જડીબેન ગાડીમાંથી ફંગોળાયને રોડ ઉપર પડતા જડીબેન, ધુનાબેન અને ગાડીના ચાલકને ઈજાઓ પહોંચી હતી.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત ત્રણ વ્યકિતઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન જડીબેન હનુભાઈ મીર રાજકોટની મહિલાનું મોત નીપજયું હતું.

આ અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત ધુનાબહેને લીંમડીના ભોયકા ગામના ઈકો કાર ચાલક ભરતસિંહ ઝાલા સામે વઢવાણ પોલીસ મથકે અકસ્માત અંગે ફરિયાદ નોંધાવી છે આ અકસ્માતના ઘટનાની વધુ તપાસ શકિતસિંહ પી વાઘેલા ચલાવી રહ્યા છે.

(12:36 pm IST)