Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

વિસાવદરના ધારાસભ્યના પુત્ર-પિતરાઈ ભાઈ પર હુમલો કરનારા ૯ આરોપીને સાથે રાખી પોલીસનુ સ્થળ પંચનામું

આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાશે

વિસાવદર તા.૨૨: વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાના પુત્ર રાજન તથા પિતરાઈ ભાઈ રાજ રિબડીયા પર જીવલેણ હુમલાનાં બનાવ અનુસંધાને જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લઈને કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપ્યા બાદ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વિસાવદર પોલીસ,ક્રાઇમ બ્રાન્ચ,સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ટેકિનકલ સેલની અલગ અલગ ત્રણ ટીમો બનાવી આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચનાઓ કરવામાં આવેલ હતી.

જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ જે.એમ.વાળા અને ટેકિનકલ સેલના પીએસઆઇ ડી.એમ.જળું તેમજ સ્ટાફના ચુનંદા માણસોની અલગ અલગ ત્રણ ટીમો બનાવી રાત દિવસ એક કરી મળેલ બાતમી આધારે આરોપીઓ (૧) નાસિર રહીમભાઈ મેતર, (૨) ઈમ્તિયાઝ ઉર્ફે પોપટ જાવીદભાઈ બ્લોચ, (૩) કૌશિક દુર્લભભાઈ દાફડા, (૪) અકિલ ફિરોઝભાઈ સીડા (જૂનાગઢ),(૫) હમીદ ઉર્ફે ભૂરો યુનુસભાઈ સમાં, (૬) નાસીર ઉર્ફે ભેલી રાયમલભાઈ શેખ, (૭) સોયબ રાહીમભાઈ ફુલશેઠા,(૮) રિઝવાન ઉર્ફે ભૂરો વલીભાઈ તથા (૯) અફઝલ ઇસ્માઇલભાઈ બ્લોચ રહે. હનુમાનપરા, વિસાવદર જી. જૂનાગઢને રાઉન્ડ અપ કરી કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓના કબજામાંથી ગુન્હામાં વાપરેલ હથિયારો તેમજ વાહનો કબજે કરવા તજવીજ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત આ ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓનો લોકોમાં ડર ઓછો કરવા જે જગ્યાએ બનાવ બન્યો હતો તે જગ્યાની આસપાસ સાથે રાખી વિસાવદર પોલીસ દ્વારા રિકન્સ્ટ્રકશન પંચનામું પણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી તથા જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા જૂનાગઢ ડિવિઝન તેમજ વિસાવદર વિસ્તારના કોઈપણ જગ્યાએ પકડાયેલ આરોપીઓ દ્વારા આવારાગીરી કરવામાં આવેલ હોઈ તેવા લોકોને ડરવાની જરૂર નથી અને પોતાની સમસ્યા બાબતે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તેમજ પોલીસ અધીકારીઓનો સંપર્ક કરવા પોલીસતંત્ર દ્રારા જણાવવામાં આવેલ છે.

(1:06 pm IST)