Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવરકુંડામાં સંગઠન વિસ્તૃતિકરણના હેતુ માટે તાલુકા અને શહેર સમિતિની મીટીંગ યોજાઇ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.રરઃ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણના હેતુથી સાવરકુંડલા ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

આ મીટીંગમાં તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની રચના કરવા અને કોંગ્રેસ પક્ષના તમામ સેલ  ફ્રન્ટલના હોદ્દાઓની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખ ડી.કે.રૈયાણીએ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી, હાજર કોંગ્રેસ અગ્રણીઓના મંતવ્યા અને અભિપ્રાય મેળવ્યા હતા. અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ 'કોવિડ ન્યાય યાત્રા' કાર્યક્રમની વિસ્તૃત સમજ આપી, કોરોના મહામારીમાં મૃત્યુ પમેલ મૃતકોને રૂ.૪ લાખની સહાય માટે માંગણી કરવા કોંગ્રેસના કાર્યકરોને મદદરૂપ થવા જણાવ્યું હતું.

આ મીટીંગમાં તાજેતરમાં યોજાયેલ નાગરીક બેંકના નવ નિયુકત ડિરેકટરોનું શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ હતું

કોંગ્રેસના દરેક પાયાના કાર્યકરોએ આ તકે કોઇ પણ જાતના રાગદ્વેષ વિના એકસંપ થઇ ભાજપ સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઇ નિમણુંકો કરવામાં આવશે તે સર્વમાન્ય રહેશે એવી ઇચ્છા જિલ્લા પ્રમુખ સમક્ષ વર્ણવી હતી.

આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, પ્રદેશ મંત્રી ચંદ્રેશભાઇ રવાણી, બાબુદાદા પાટીદાર, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી હંસાબેન જોશી, જિલ્લા મહામંત્રી જનકભાઇ પંડયા  અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઇ ભંડેરી, અનુ.જાતી મોરચા પ્રમુખ હસુભાઇ બગડા જિલ્લા કિસાન સેલના સત્યમભાઇ મકાણી, ઓ.બી.સી.સેલ ના રમેશભાઇ કાનાણી, ભરતભાઇ ગીડા, વલ્લભભાઇ ઝીંઝુવાડીયા, દાનુભાઇ ખુમાણ, ભૌતિક સુહાગિયા, ઇકબાલભાઇ ગોરી સહિતના અગ્રણીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(12:53 pm IST)