Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ

જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ બની દેશ-રાજ્યની બીજી અને સૌરાષ્ટ્રની પ્રથમ હોસ્પિટલ

જામનગર : જામનગરમાં હાલ કોરોના વાયરસનું સંકમણ ખૂબ જ વધ્યું છે. ખાસ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃધ્ધો આ મહામારીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સપડાયા છે. કોરોના વાયરસની ગંભીરતા જોતા જેમાં પણ ખાસ કરીને વયસ્ક દર્દીઓના સ્વાસ્થ્યની દરકાર કરીને જામનગર જી.જી.હોસ્પિટલ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.

રાજય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારના માર્ગદર્શન હેઠળ ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ ખાતે જીરીયાટ્રીક કોવિડ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે. ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા કોરાનાગ્રસ્ત દર્દીઓને અલાયદી  સારવાર સાથે સારસંભાળ મળી રહે તે માટે રાજયસરકારના માર્ગદર્શન હેઠળ જી.જી. હોસ્પિટલ દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે. આ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.રાકેશ જોષી અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના કોરોના નોડલ ડો. હિતેન્દ્ર દેસાઇએ રૂબરૂ માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.

સામાન્યપણે હોસ્પિટલમાં બાળરોગ વિભાગ,  સ્ત્રીરોગ વિભાગ તેમજ પુરુષ રોગના અલાયદા વિભાગ જોવા મળતા હોય છે. પરંતુ જી.જી. હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત વયોવૃધ્ધ દર્દીઓની દરકાર કરીને તેઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે, પ્રાથમિક સારવારથી લઇ ઇમરજન્સી સારવાર, સારસંભાળમાં કોઈપણ પ્રકારની અગવડ કે તકલીફ ઉભી ન થાય તે કારણોસર સ્વાસ્થ્ય સેવાઓમાં વધુ એક છોગુ ઉમેરવામાં આવ્યું છે.

કોરોના સંક્રમિત થઈ સારવાર માટે આવતા ૬૦ વર્ષથી વધુ ઉમરના કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ખાસ પ્રકાર સારવાર અને સારસંભાળની વધુ જરૂર પડતી હોય છે.તેમાં પણ કોમોર્બિડી ધરાવતા દર્દીઓમાં આવા વાયરસની ગંભીરતા, સંવેદનશીલતા વધુ જોવા મળે છે. આવા દર્દીઓની સારવારને લગતી પ્રાથમિક જરૂરિયાત અન્ય દર્દીઓની સરખામણીમાં વધુ સંવેદનશીલ હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જી.જી.હોસ્પિટલ દ્વારા આજરોજ જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે.

આ જીરિયાટ્રીક વોર્ડમાં દાખલ તમામ દર્દીઓ માટે અલાયદા પેશન્ટ અટેન્ડેન્ટની નિમણૂંક કરવામાં આવી છે. જે ૬ દર્દીઓ વચ્ચે એક પેશન્ટ અટેન્ડેન્ટ રહીને વયસ્ક દર્દીઓની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે જમાડવું, પાણી પીવડાવવું, બાથ આપવુ, તેમને પેશાબ માટે લઇ જવું, ડાયપર બદલવા જેવી બાબતોનું ધ્યાન રાખશે. આ વોર્ડમાં કાર્યરત નર્સિંગ સ્ટાફ જેઓ વયસ્ક દર્દીઓની સારસંભાળમાં અનુભવી હોય તેવા જ નિમણૂંક કરવામાં આવશે. ૬૦ વર્ષથી વધુ ઉમરના દર્દીઓને એલોપેથી તેમજ વિવિધ સારવારની સાથે સાથે માનસિક સધિયારા માટે કાઉન્સેલીંગની પણ જરૂર પડતી હોય છે જે બાબતોને ધ્યાનમાં રાખીને કાઉન્સેલરની પણ નિમણૂંક કરવામાં આવી છે.

જીરીયાટ્રીક વોર્ડમાં વયસ્ક દર્દીઓને વધુ સારી અને ત્વરીત સારવાર મળી રહેશે અને વયસ્ક દર્દીઓનો મૃત્યુદર ઘટશે તેમ ડો. મનીષ મહેતાએ જણાવી કહ્યું હતું કે, જીરીયાટ્રીક વોર્ડમાં ઉપલબ્ધ સુવિધાઓની વાત કરીએ તો વયોવૃધ્ધ દર્દીઓને કે જેઓ પથારી પર જ છે તેમને તમામ સુવિધાઓ બેડ પર જ મળી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇ બાથરૂમ કે ટોયલેટમાં જાય ત્યારે બેસવા કે ઉભા થવામાં તકલીફ ના પડે તે માટે ગ્રેબર લગાડવામાં આવ્યા છે. દર્દીઓ માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.

જી.જી.હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડાઙ્ખ.વસાવડા આ અનોખી પહેલ વિશે કહે છે કે, કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ પ્રમાણે વયોવૃધ્ધ દર્દીઓને ખાસ પ્રકારની સારસંભાળ મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવા સૂચન કરવામાં આવ્યું છે. રાજયના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારના સૂચન મુજબ વયસ્ક દર્દીઓની આવશ્યકતાઓ અલગ હોય છે જેને ધ્યાને લઇને જી.જી. હોસ્પિટલ દ્વારા દેશ અને ગુજરાતનો બીજો તેમજ સૌરાષ્ટ્રનો સૌપ્રથમ જીરીયાટ્રીક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે વયોવૃદ્ઘોમાં મૃત્યુદર વધુ જોવા મળે છે જેના પર કાબૂ મેળવી શકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જામનગરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી ૩૦ થી ૪૦ ટકા પ્રમાણ વયોવૃદ્ઘ દર્દીઓનું જોવા મળ્યું છે. આજે કોરોના ડેડીકેટેડ ૭૦૦ બેડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૩૧૪ દર્દીઓમાંથી ૬૦ દર્દીઓને જીરીયાટ્રીક વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. હાલ મેલ અને ફિમેલ ૨ જીરીયાટ્રિક વોર્ડમાં વધુ ૬૦ દર્દીઓને આમ કુલ ૧૨૦ દર્દીઓને આ વોર્ડમાં સારવાર આપી શકવાની ક્ષમતા છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ વધુ વોર્ડ ઉભા કરવાનું પણ અમારું આયોજન છે.

 આ તકે, મેલ વોર્ડમાં હાલ સારવાર લઇ રહેલા મુકેશભાઇ દેસાઇએ કહ્યું હતું કે, હું પાંચ  દિવસથી અહિં છું આજે સિનીયર સિટિઝન માટેના વોર્ડમાં અમને ખસેડાયા છે જયાં વધુ સારી સુવિધા અમને અપાઇ રહી છે. હું જયારે દાખલ થયો હતો ત્યારે બેભાન અવસ્થામાં રહેતો હતો પરંતુ અહીંની સારવાર અને રોજ યોગા, સમયસર દવા, પોષણયુકત નાસ્તો, જમવાનું વગેરે મળતાં આજે મારા શરીરમાં સ્ફૂર્તિનો સંચાર ફરી વાર અનુભવાય છે. 

તો ફિમેલ જીરીયાટ્રીક વોર્ડમાં સારવાર હેઠળ રહેલા ૭૦ વર્ષીય મંજુબેને સારવાર અને આ નવા વોર્ડની કામગીરીથી અત્યંત પ્રભાવિત થઇ ડોકટરો અને સરકારશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.

:: સંકલન ::

દિવ્યાબેન ત્રિવેદી

માહિતી મદદનીશ

જામનગર

(12:52 pm IST)