Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ઉપરકોટ જેવો હતો તેવો જ બનશે : રૂપાણી

વિજયભાઈ ઉપરકોટ કિલ્લાની મુલાકાતે : ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ.૪૫.૯૧ કરોડના ખર્ચે થઈ રહેલી ઉપરકોટના કન્ઝર્વેશન -રિસ્ટોરેશન કામગીરીનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી : કિલ્લાની મૂળ ગરિમા-સ્ટ્રકચરને જાળવી રાખી હાથ ધરવામાં આવેલા પ્રોજેકટને પ્રવાસી- અભ્યાસુઓ લક્ષી બનાવવા માર્ગદર્શન

(વિનુભાઇ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૨ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢની ઐતિહાસિક વિરાસત એવા પૌરાણિક ઉપરકોટના કિલ્લાની મુલાકાત લઇ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ.૪૫.૯૧ કરોડના ખર્ચે ચાલી રહેલા ઉપરકોટના કન્ઝર્વેશન અને રિસ્ટોરેશનના પ્રોજેકટનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું

મુખ્યમંત્રીએ ઉપરકોટમાં મુખ્ય પ્રવેશદ્વાર, નીલમ તોપ, રાણકમહેલ, અડી કડી વાવ, અનાજ કોઠા, બારૂદ ખાના, સાયકલ ટ્રેક તેમજ ર.પ કી.મી કિલ્લાની રિસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરી પ્રોજેકટની સર્વગ્રાહી સમીક્ષા પણ કરી હતી.

મુખ્યમંત્રીની સાથે પ્રવાસન મંત્રી અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોજેકટ પૂર્ણ થયે રાજય સરકારના પ્રવાસનને પ્રોત્સાહન આપવાની વિકાસ લક્ષી નીતિના પગલે પ્રવાસીઓને મુલાકાતીઓને જે વિશેષ સુવિધા મળવાની છે તે અંગે પરામર્શ કરી વિશેષ વિગતો આપી હતી.

ઉપરકોટમાં એવા કેટલાક અવશેષો અને સ્મારકો જે અત્યાર સુધી વર્ષોથી માટી ભરાઇ જવાના કારણે લોકોને જોવા મળ્યા ન હતા એ હવે રાજય સરકારની પહેલ રૂપ કામગીરીને લીધે લોકોને અને અભ્યાસુઓને જોવા મળશે. મુખ્યમંત્રીશ્રીએ તમામ સ્મારકોની માહિતી મેળવી લોકોને તમામ બાબતોની માહિતી પણ મળી રહે તે અંગેની વ્યવસ્થા માટે માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢ પ્રવાસન અને તીર્થ સ્થળોનું ધામ છે. રાજય સરકાર દ્વારા ગીરનાર ક્ષેત્રમાં પ્રવાસન વિકાસની કામગીરી બાદ મકબરા અને ઉપરકોટ ની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉપરકોટ જેવો હતો તેવો જ તેનું પુરાતત્વીય સ્ટ્ર્કચર જળવાઈ રહે તે રીતે પુનઃસ્થાપિત કરીને લોકો સમક્ષ રજૂ કરવો છે.

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ટુરીઝમ વિકાસ અને સર્કિટને જોડીને વિકાસ લક્ષી કામગીરી થાય અને પર્યટકો માટે સુવિધા વધે તે માટે રાજય સરકાર કટિબદ્ઘ છે અને તે પ્રમાણે પ્રોજેકટ પૂર્ણ થઈ રહ્યા છે એમ તેમણે કહ્યું હતું.

આવા પ્રવાસન સ્થળોએ લોકોની જરૂરિયાત મુજબની જરૂરી સુવિધા મળશે તેવી  નેમ તેમણે વ્યકત કરી હતી.

આ વેળાએ પ્રવાસન નિગમના એમ.ડી જેનુ દેવન, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ, કલેકટર રચિત રાજ તેમજ જિલ્લા શહેર ભાજપના આગેવાનો કોર્પોરેટરો અને જિલ્લા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:53 am IST)