Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ગાંધીધામમાં પરપ્રાંતિય યુવાનની હત્યા

મનિષે ન્હાવા માટે ડોલ પૂછયા વગર વાપરીઃ ઝઘડો થયોને સમાધાન થયું પણ ફરી મુન્નાખાન ગુસ્સે થતા બનેલી ઘટના

ભુજ, તા.૨૨: ગાંધીધામના ઈન્દિરાનગરમાં જગદીશ અયચીના પ્લોટમાં રહેતા અને રુચિ સોયા કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો વચ્ચે સામાન્ય બાબતમાં થયેલ બોલાચાલીમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે.

ફરિયાદ કરનાર કુલદીપસિંહ પ્રેમચંદ રાઠોડના જણાવ્યા પ્રમાણે તેઓ ઉત્ત્।રપ્રદેશના મૈનપુરના રહેવાસી એવા પાંચ યુવાનો કામકાજ અર્થે અહીં ગાંધીધામમા સાથે રહે છે. તેમાં ગઈકાલે મનીષ ભરત પાલ અને મુન્નાખાન ઉર્ફે રશીદખાન બશિરખાન પઠાણ વચ્ચે ન્હાવાની ડોલ ના મુદ્દે બોલાચાલી થઈ હતી. મનીષે નહાવા માટે મુન્નાખાનની ડોલ પૂછ્યા વગર વાપરતા મુન્નાખાન ગુંસ્સે થયો હતો, જોકે, બન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ તેમણે સમાધાન પણ કરાવ્યું હતું, પણ રાત્રે એક વાગ્યે મનીષ પાલનો અવાજ આવતા તેમણે જોયું તો તે ગળું કાપેલી હાલતમાં લોહીલુહાણ હતો અને મુન્નાખાન તરફ ઈશારો કરી રહ્યો હતો. મનીષને તરત તેઓ હોસ્પિટલમાં લઈ ગયા હતા પણ તે મૃત્યુ પામ્યો હતો. આ અંગે હત્યાનો ગુનો નોંધાવ્યા બાદ બી ડિવિઝન પોલીસે ગાંધીધામથી છરી સાથે આરોપી મુન્નાખાનને ઝડપી પાડ્યો હતો.

(11:33 am IST)