Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

નવાગામ આણંદપરમાં પત્નિ સાથે ચડભડ થતાં ભરત કોળીનો ફાંસો ખાઇ આપઘાત

રાત્રે પંખો બંધ થઇ જતાં ૧૦ વર્ષનો તિરથ જાગી ગયો ને પિતાને લટકતાં જોયાઃ બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવતાં કલ્પાંત

રાજકોટ તા. ૨૨: કુવાડવા રોડ પર નવાગામ આણંદપર દેવનગરમાં રહેતાં ભરતભાઇ ધીરૂભાઇ મોરવાડીયા (ઉ.૩૦) નામના કોળી યુવાને પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પત્નિ હંસા સાથે ચડભડ થતાં આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ભરતભાઇ સહિતના પરિવારજનો રાત્રે ઉંઘી ગયા હતાં. એ પછી અચાનક પંખો બંધ થઇ જતાં ૧૦ વર્ષનો પુત્ર તિરથ જાગી જતાં તેણે પંખામાં પિતા ભરતભાઇને લટકતાં જોતાં બૂમાબૂમ કરી મુકતાં બીજા પરિવારજનો જાગી ગયા હતાં અને ભરતભાઇને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં કુવાડવાના એએસઆઇ રાયધનભાઇ ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ભરતભાઇ બે ભાઇમાં મોટો હતો અને કાગળના કારખાનામાં મજૂરી કરતો હતો.  તેના પિતા હયાત નથી. પોતે માતા હંસાબેન, પત્નિ લાભુબેન અને બે પુત્રો તિરથ (ઉ.૧૦) તથા ઉદય (ઉ.૧૪) સાથે રહેતો હતો. તેના મોટાભાઇ રાકેશભાઇ ઉપરના મકાનમાં રહે છે. ભરતભાઇના મામા છગનભાઇ મનુભાઇના કહેવા મુજબ પતિ-પત્નિ વચ્ચે કોઇ બાબતે ચડભડ થતાં માઠુ લાગી જતાં ભરતે આ પગલું ભરી લીધું હતું. બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(11:45 am IST)