Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

થાનગઢનાં બાંડીયાબેલીનાં સાધુ કોઇ સેવક સાથે માથાકુટ બાદ ગુમ થયાની ચર્ચા

અન્ય સાધુઓ અને સ્થાનિકોની પુછપરછઃ હત્યા થયાની આશંકા સાથે પોલીસ તપાસનો ધમધમાટ

ચોટીલા તા. રર :.. થાનગઢ નજીક અતિ કુદરતી વાતાવરણ વચ્ચે આવેલી પ્રાચિન બાંડીયાબેલી જગ્યામાં કુંભ મેળા બાદ સેવા પુજા માટે ભોલાગીરી નામનાં સાધુ આવેલ હતા જે સાધુ છેલ્લા ૩ દિવસથી ગુમ થતા તેમના સેવકોએ સ્થાનીક લોકોએ કરેલી માથાકુટ જવાબદાર હોવાનું અને સાધુ સાથે અજુગતુ બન્યાની આશંકા વ્યકત કરી અરજી આપેલ છે. આ બાબતે ચર્ચાતી વિગત મુજબ જગ્યા રૂપાવટી ગામની નજીક આવેલ છે અને આ ગામના એક વૃધ્ધ વ્યકિત ઘણા વર્ષોથી જગ્યામાં સેવા કરે છે જેઓની સાથે કેટલાક દિવસ પહેલા કોઇ કારણોસર સાધુને માથાકુટ થયેલ હતી ત્યારબાદ થોડા દિવસ પહેલા તે વૃધ્ધાનાં નજીકના લોકોએ સાધુને બળજબરીથી ગામમાં લાવી વૃધ્ધાની પગે પડાવી માફી મંગાવેલ અને ત્યારબાદ સાધુ જગ્યામાં મળી આવેલ નથી જેથી કોઇએ તેમને માર મારી હત્યા નિપજાવી હોય તેવી પણ આશંકા લોકોએ પોલીસ સમક્ષ વ્યકત કરતા પોલીસે સાધુ અંગે તપાસ હાથ ધરેલ છે.

થાનગઢ પોલીસ હાલ લોકોએ સેવેલ આશંકા અંગે તપાસ હાથ ધરેલ છે જેમાં સાધુને ગામમાં લાવી માર મારેલ હોવાની વાતની ખરાઇ કરવા સ્થાનિક રૂપાવટી ગામનાં લોકોનાં જવાબો લેવામાં આવી રહેલ છે તેમાં સ્થાનીકો કશુ નહી જાણતા હોવાનું બહાર આવેલ છે થોડા દિવસ પહેલા ત્યાં ઘણા વર્ષોથી સેવા કરતા અમરશીભાઇ નામના સેવક સાથે સાધુને માથાકુટ થયેલ તેવું પોલીસને જાણવા મળેલ છે પછી શું થયુ તે અંગે હાલ તપાસ ચાલુ છે પરંતુ સમગ્ર મામલે સૌથી પેચીદો પ્રશ્ન પોલીસ અને લોકો માટે એ છે કે સાધુ ગયા કયાં? જે અંગે કોઇ ભાળ મળતી નથી ત્યારે તેમના સેવકોએ વ્યકત કરેલ આશંકા અંગે તે દિશામાં પણ તપાસ ચલાવાઇ રહેલ છે ત્યારે સાધુ સ્થાનીક છે નહી પરંતુ આ જગ્યાનું સંચાલન જે જગ્યાનાં સાધુ કરી રહ્યા છે તે બહાર હોવાથી ગુમ થનાર સાધુ અંગે કોઇ કડી મળતી નથી ત્યારે પોલીસ એવી ભીતી સેવી રહેલ છેકે અજુગતુ નહીં પરંતુ સ્થાનીકો સાથે થયેલ માથાકુટ બાદ સાધુ કદાચ કોઇને કહયા વગર જગ્યા છોડીને ડરને માર્યા ચાલ્યા ગયા હોય તેવુ બની શકે હાલ આ બાબતે પીએસઆઇ એમ. આર. પલાસ અને બીટ જમાદાર અશોકભાઇ સહિતના આસપાસના વિસ્તારમાં તપાસ ચલાવી રહેલ છે.

સમગ્ર મામલે થાનગઢ પંથકમાં તરેહ તરહની જેમા કોઇએ સાધુને માર માર્યો કે કેમ ? સેવક સાથે માથાકુટ બાદ કોઇએ સાધુ ઉપર હૂમલો કરેલ છે ? સાધુ ને ધાક ધમકી થી વૃધ્ધાનાં પગે લગાવવામાં આવેલ છે ખરો ? વિગેરે ચર્ચા લોકોમાં ઉઠી છે ત્યારે પોલીસે સમગ્ર મામલે ખરેખર શું છે તે વહેલી તકે બહાર લાવવુ જરૂરી બનેલ છે.

(3:52 pm IST)