Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ભગવાન બારડનું સસ્પેન્શન રદ કરવા સેંકડો મહિલાઓ દ્વારા માંગ

આહીર સમાજની હજારો મહિલાઓનું સમર્થન : અમારા ધારાસભ્ય બિલકુલ નિર્દોષ અને સાચા છે : સત્ય બહાર લાવીને રહીશું : તેમનું સસ્પેન્શન રદ કરવા માંગણી

અમદાવાદ,તા. ૨૨ : ખનીજ ચોરીના ચકચારભર્યા કેસમાં સસ્પેન્ડ કરાયેલા તલાલાના કોંગ્રેસના ધારાસભ્યના સમર્થનમાં હવે આહીરસમાજની હજારો મહિલાઓ આગળ આવી છે અને તેઓએ બારડના સમર્થનમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો પાઠવી તેમના માનીતા ધારાસભ્ય ભગવાન બારડનું સસ્પેન્શન રદ કરવા ઉગ્ર માંગણી કરી છે. આહીરસમાજની ત્રણ હજાર મહિલાઓએ વડાપ્રધાન મોદીને હજારોની સંખ્યામાં પોસ્ટકાર્ડ લખી માંગણી કરી છે, તેમના ધારાસભ્ય નિર્દોષ અને સાચા છે, અમે સત્ય બહાર લાવીને રહીશું, તેમનું સસ્પેન્શન રદ કરો. તાજેતરમાં તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અગાઉ પણ વેરાવળમાં ભગવાન બારડના સસ્પેન્શનને લઇને આહિર સમાજનું સંમેલન યોજાયું હતું. ત્યારે ભગવાન બારડે જણાવ્યું હતું કે, જો હું માની ગયો હોત તો લાલ લાઇટવાળી ગાડીમાં હોત. આજે તેના સસ્પેન્સનને રદ કરવાની માંગ સાથે તાલાલા-સુત્રાપાડા મત વિસ્તારની ત્રણ હજાર મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરતાં હવે સમગ્ર મામલો ગરમાયો છે. મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, અમારા ધારાસભ્ય નિર્દોષ અને સાચા છે. સત્ય બહાર લાવીને રહીશું. તેમનું સસ્પેન્શન તાત્કાલિક રદ કરો અને અમને ન્યાય અપાવો. કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવાના મામલે હાલ કોંગ્રેસ પાર્ટીમાં જ નહીં, તેમના મતવિસ્તારમાં પણ વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ભગવાન બારડને લઇને આહીર સમાજની ત્રણેક હજાર બહેનોએ વડાપ્રધાન મોદીને પોસ્ટ્કાર્ડ લખી યોગ્ય ન્યાય આપવા વિંનતી કરી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભાલકા તીર્થ ખાતે દર પુનમે આહીર સમાજ દ્વારા શ્રીસત્યનારાયણની કથાનુ આયોજન થાય છે. ત્યારે આજે પણ આ કથાનું આયોજન થયું હતું. આ પ્રસંગમાં બહોળી સંખ્યામાં ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહીને પ્રસંગને દીપાવ્યો હતો. અહીં આહીર સમાજની ત્રણ હજાર મહિલાઓએ કથા શ્રવણ કરતા કરતા ભગવાન બારડને યોગ્ય ન્યાય માટે વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ દ્વારા વિનંતીપત્ર લખ્યા હતા. આહિર સમાજની મહીલાઓએ રાખડીના રૂપમાં આ પોસ્ટ્કાર્ડ લખ્યા છે. મહિલાઓએ પીએમને લખેલા પોસ્ટ કાર્ડમાં જણાવ્યું હતું કે, ભગવાન બારડ અમારા વિસ્તારના દરેક સમાજના મસીહાં છે, તેમની સામે કીન્નાખોરી રાખીને તેમને ખોટી રીતે સસ્પેંડ કરવામાં આવ્યા છે. તમે અમારી વિનંતી સાંભળી કોઇ દખલગીરી કરો, સાથે તેમનું સસ્પેન્શન તાત્કાલિક રદ્દ કરી અમને યોગ્ય ન્યાય આપવા વિનંતી છે.

(7:14 pm IST)