Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

હળવદ-ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજના પ્રમુખપદે સુખુભા ઝાલાની વરણી : સંગઠનમાં ઉપપ્રમુખ

સેક્રેટરી, સહમંત્રી અને ખજાનચીની નિમણુંક

હળવદ તા.રર : હળવદ-ધાંગધ્રા ક્ષત્રિય સમાજની મીટીંગ ધાંગધ્રા ખાતે આવેલ રાજપુત બોડીંગ ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી આઈ કે જાડેજા ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં સમાજના પ્રમુખ,ઉપપ્રમુખ,સેક્રેટરી,સહમંત્રી અને ખજાનચીની સર્વાનુમતે વરણી કરાઈ હતી.

હળવદ-ધાંગધ્રા ક્ષત્રિય સમાજના પ્રમુખ દિલીપસિંહ ઝાલા નું થોડા દિવસ પહેલાં જ દુઃખદ અવસાન થયું હતું જેથી નવા હોદ્દેદારોની વરણી કરવા માટે ધાંગધ્રા ખાતે આવેલ રાજપૂત સમાજની બોર્ડિંગ ખાતે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ આઈ.કે જાડેજા ના અધ્યક્ષ સ્થાને બંને તાલુકાના ક્ષત્રિય સમાજની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં દિગુભા ઝાલા, કનુભા જાડેજા, ડો.એસ.ડી ઝાલા, ભરતસિંહ પરમાર, છોટુભા ઝાલા, આર.ડી.ઝાલા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગમાં હળવદ-ધાંગધ્રા ક્ષત્રિય સમાજના પ્રમુખ પદે હળવદ તાલુકાના માથક ગામ ના સુખુભા ગુલાબસિંહ ઝાલા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જયારે ઉપપ્રમુખ તરીકે કનકસિંહ ઝાલા અને દિગુભા ગંભીરસિંહ ઝાલાની વરણી કરાઇ છે તેમજ સેક્રેટરી તરીકે લલિતસિંહ ઝાલા, સહમંત્રી ની જવાબદારી કુલદીપસિંહ ઝાલા અને નરેન્દ્રસીંહ ઝાલા ને સોંપાઈ છે જયારે ખજાનચી પદે રણજીતસિંહ ગોહિલ ની વરણી કરાઈ હતી. ક્ષત્રિય સમાજના નવા વરાયેલા હોદ્દેદારોને સમાજના વડીલો તેમજ યુવાનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા આ તકે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ દરેક સમાજ ને સાથે લઈ ચાલનારો સમાજ છે સમાજ ઉપયોગી કામ માટે સૌ સહિયારા પ્રયાસ કરી સમાજને આગળ લાવવા સંગઠિત બનવા જણાવ્યું હતું.

(11:50 am IST)