Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

વાંકાનેર - મોરબી વચ્ચે ધોધમાર વરસાદથી ચોમાસા જેવો માહોલ છવાયો'તો

માવઠાથી સૌરાષ્ટ્ર - કચ્છમાં જીરૂ - ચણા સહિતના પાકને નુકસાન : અપુરતો વરસાદ અને શિયાળામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલી વધી

રાજકોટ તા. ૨૨ : છેલ્લા બે દિવસ મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રીથી વધીને ૩૫ ડિગ્રી સુધી પહોંચ્યા બાદ હવામાં વધેલા ભેજના પ્રમાણની સાથોસાથ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડયો હતો. આ માવઠાને કારણે ખેતરોમાં પાકને નુકસાન થવાની સાથોસાથ જનજીવનને પણ અસર પહોંચી હતી. મોરબી, ચાંચાપર, ખંભાળીયા, ઓખા મંડળ, દેવભૂમિ દ્વારકા, સરા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં માવઠાએ પરેશાની વરસાવી હતી.

દેવભૂમિ દ્વારકા, મોરબી અને કચ્છા, પોરબંદર, સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા જીરૂ, ચણા સહિતના પાકમાં નુકસાન થયું છે. ચોમાસામાં અપૂરતો વરસાદ અને શિયાળામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કાલે મોરબી - વાંકાનેર વચ્ચે સમીસાંજે ભારે વરસાદ વરસ્યો છે. સાંજે ૬ વાગ્યાથી ભારે વરસાદ થયો હતો. મોરબીથી ૧૦ કિ.મી. દુર અંદાજે ૧૦ થી ૧૫ મિનિટ સુધી અનરાધાર વરસાદ વરસી પડયો હતો. મોરબી - વાંકાનેર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સમીસાંજે ભારે વરસાદ વરસ્યો હતો.

વાંકાનેર - મોરબી વચ્ચે ધોધમાર વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ છવાઇ ગયો હતો.

મીઠાપુર

મીઠાપુર : ઓખા મંડળ તાલુકાના મીઠપુર અને સુરજકરાડી ગામે ગઇકાલે બપોરના ૧૨ વાગ્યા આસપાસ અચાનક જ વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. એકાએક જ વાતાવરણમાં બદલાવ આવતાની સાથે જ ચોમાસાની જેમ વરસાદ શરૂ થઇ ગયો હતો અને શહેરના માર્ગો પર પાણીના ખાબોચિયા ભરાઇ ગયા હતા. કમોસમી વરસાદને કારણે બપોર બાદ ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું.

વાંકાનેર

વાંકાનેર : સોમવારની સાંજે વાંકાનેર શહેરમાં અચાનક વાતાવરણમાં પલટા સાથે વરસાદી ઝાપટુ વરસી જતા રોડ પર પાણી વહેવા લાગ્યા હતા. વરસાદ અને પવનના કારણે વાતાવરણ ટાઢુંબોળ થઇ જવા પામેલ હતું. વાંકાનેર ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક સ્થળે કમોસમી છાંટા વરસ્યા હતા.

ખંભાળીયા

ખંભાળીયામાં કમોસમી વરસાદથી જીરૂના પાકમાં ભારે નુકસાન થયું છે અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

કાલાવડ શીતલા

ગઇકાલે કાલાવડમાં જોરદાર પવન સાથે કમોસમી ઝાપટુ પડેલ, રોડ - રસ્તા ભીના થઇ ગયેલ.

કચ્છ

ભુજ : બદલતા જતા મોસમના મિજાજ વચ્ચે કચ્છમાં ભરશિયાળે માવઠું થયું છે. સવારથી જ વાદળછાયા વાતાવરણના કારણે સૂર્ય નારાયણના દર્શન થયા નહોતા. તેની વચ્ચે અંજાર અને અંજારના ગ્રામ્ય વિસ્તારથી વરલી, કોટડા(ચકાર) અને કેરાના રસ્તે અનેક જગ્યાએ છૂટું છવાયું માવઠું થયું છે. ઘણી જગ્યાએ થોડા થોડા પાણી પણ વહી નીકળ્યા હતા. માવઠાની સાથે સાથે ઠંડક નું પ્રમાણ પણ વધ્યું હતું. જોકે, પૂર્વ કચ્છ માં ગાંધીધામ, ભચાઉ, રાપર પંથકમાં પણ છૂટી છવાયા સ્થળોએ માવઠાની અસર વર્તાઈ હોવાનું જાણવા મળે છે. કચ્છના હવામાન વિભાગના વડા રાકેશકુમારે 'અકિલા'ને જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર મા થયેલી બરફ વર્ષાની અસર કચ્છમાં વર્તાઈ છે. ઉત્તરીય પવનોની અસર તળે વાદળછાયા વાતાવરણ વચ્ચે કયાંક કયાંક માવઠું થયું છે. જોકે, હજી એકાદ દિવસ હવામાન ના બદલાવની આ અસર રહેશે, કયાંક કયાંક માવઠા ની સાથે હળવો વરસાદ પણ થઈ શકે છે. હવે શું થશે, ઠંડી વધશે? હવામાન અધિકારી રાકેશકુમારના જણાવ્યા પ્રમાણે ઠંડી અને ગરમી બન્નેમાં સાધારણ ફરક જ વર્તાશે. ઠંડીમાં એકાદ ડિગ્રી જ ફરક પડશે તો ગરમી માં પણ એકાદ ડિગ્રી તાપમાન નીચું જશે. વરસાદ અને માવઠા ની અસર એકાદ દિવસમાં જ ઓસરી જશે.

સુરેન્દ્રનગર

વઢવાણ : મૂળીના રાણીપાટ સહિત આસપાસ વિસ્તારમાં સોમવારે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ત્યારબાદ વરસાદી ઝાપટુ પડતા રવીપાકનું વાવેતર કરનાર ખેડુતોમાં ચિંતાનું મોઝુ ફરી વળ્યુ હતુ. જયારે વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડી પ્રસરી ગઇ હતી.આ ઉપરાંત હળવદમાં પણ છાટા પડયા હતા.ઙ્ગ

મૂળી તાલુકામાં ચાલુ વર્ષે ઓછા વરસાદથી ખેડૂતો મુંઝવણ અનુભવી રહ્યા છે. જેમાં મૂળી તાલુકામાં પિયત વાળા ખેતરોમાં હાલ ખેડુતોએ રવિપાકમાં જીરૂ, એરંડા, રાઇડો, જુવાર સહિતનાં પાકોનુ મહામહેનતે ઉગાડ્યા છે. પરંતુ સોમવારે સાંજે આચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ તાલુકાનાં રાણીપાટ, ખંપાળીયા, વિરપર સહિતનાં ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોઝુ ફરી વળ્યુ હતુ શિયાળામાં વરસેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રમાણ વધી ગયુ હતુ. આ ઉપરાંત હળવદ અને ધ્રાંગધ્રામાં પણ છાંટા પડયા હતા. પાટડી પંથકમાં માવઠું પડ્યું હતું. તો ખારાઘોડામાં માવઠાથી વીજળી ગુલ થઇ હતી. મૂળી તાલુકામાં કમોસમી વરસાદ પડતાં જમીન ભીની થઇ હતી.

(11:28 am IST)