Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સ્વર્ણિમ ઇતીહાસ ધરાવતું સોમનાથ મહાદેવ મંદિર ફરી સોનાનું બનશેઃ શિખર પર ૧૪૫૦ સુવર્ણ કળશ મુકાશે

૨૦૨૧ના અંતમાં પુરો થશે પ્રોજેકટ

અમદાવાદ, તા.૨૧: પ્રથમ જયોતિર્લિંગ અને સદીઓથી ભારતવાસીઓની આસ્થાના પ્રતિક સમાન સોમનાથ મંદિર ફરી એકવાર સુવર્ણયુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યુ છે. પ્રસિદ્ઘ યાત્રાધામ અંગે એવુ કહેવાતું હતું કે પ્રાચિન સમયથી આ મંદિર પ્રચૂર ધનસંપદાનો ખજાનો અને હીરા,માણેક અને સોનાથી મઢેલું રહ્યું છે. એ માટે જ ગઝની જેવા લુટારુઓ એક નહીં ત્રણ ત્રણવાર પોતાના મલીન ઇરાદા સાથે લુટારુઓની સેના લઈને આ મંદિરને લૂટવા આવ્યા હતા. જેના બચાવમાં સૌરાષ્ટ્રના તે સમયના શૂરવિરોના બલિદાનની કથાઓ આજ પણ ગ્રામ્ય ઇતિહાસમાંથી કયાંક કયાંક ડોકિયું કરી રહી છે. આવું આ સ્વર્ણિમ ઇતિહાસ ધરાવતું સોમનાથ મહાદેવનું મંદિર ફરી એકવાર સોનાનું બનવા જઈ રહ્યું છે. થોડા સમય પહેલા મંદિરના પિલર્સ એટલે કે થાંભલાઓને સોનાથી મઢવામાં આવ્યા બાદ હવે મંદિરના શિખર પર સોને મઢેલા ૧૪૫૦ જેટલા કળશ મૂકવાની તૈયારી પૂરજોશમાં છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટને ૫૦૦ જેટલા કળશને સોનેથી મઢવા માટે ૫૦૦ પરિવારો તરફથી દાન મળી ગયું છે. બીજા પણ વધુ દાતાઓ આગળ આવીને કળશને સોનેથી મઢાવવા માટે દાન આપશે. તેવામાં સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીએ કહ્યું કે 'આગામી ૨૦૨૧ના અંત સુધીમાં શિખરના તમામ કળશોને સોનેથી મઢવાનું કામ પૂર્ણ કરવામાં આવશે.' શિખરના કળશને સોનેથી મઢવાનું કામ લોકડાઉન બાદ શરું કરવામાં આવ્યું હતું. મંદિરના મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું કે સોમવારથી બીજા ૧૦ કળશને સોનેથી મઢવાનું શરું કરવામાં આવશે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો અહેવાલ જણાવે છે.

મંદિર એડમિનિસ્ટ્રેશન દ્વારા કહેવામાં આવ્યું કે મંદિરના ગર્ભગૃહ, ગર્ભગૃહના દરવાજા, થાંભલા વગેરેને પહેલાથી જ સોનેથી મઢવામાં આવ્યા છે અને આ માટે આશરે ૧૨૯ કિલો જેટલું સોનું વપરાયું છે.

મંદિરના મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું કે, 'અત્યાર સુધીમાં ૬૦ જેટલા કળશને સોનેથી મઢીને ચઢાવી દેવામાં આવ્યા છે આ નવા પ્રોજેકટ પાછળનો હેતું સોમનાથ મંદિરને શિખરને સોનેરી લૂક આપવાનો છે. મંદિરના શિખર પર નાના, મધ્ય અને મોટા એમ ત્રણ અલગ અલગ પ્રકારના કળશો છે. આ દરેક કળશને સોનેથી મઢવા માટે નિશ્યિત દાન રાશિ છે.'

મોટા કળશને સોનેથી મઢાવવા માટે ૧.૫૧ લાખ, મધ્યમ કદના કળશ માટે ૧.૨૧ લાખ અને નાના કળશ માટે ૧.૧૧ લાખ ડોનેશન નક્કી કરવામાં આવ્યું છે. પ્રતિ કળશ માટે કોઈ પરિવાર અથવા વ્યકિત દાન આપી શકે છે. આવા સોને મઢેલા કળશને શિખર પર સ્થાપિત કરતા પહેલા તે વ્યકિત અથવા પરિવારને પૂજા કરવા માટે બોલાવવામાં આવે છે. ચાવડાએ કહ્યું કે અમને મોટા કળશ માટે ૮૦, મધ્યમ માટે ૨૦૦ અને નાના કળશ માટે ૧૩૮ જેટલા દાતાઓ તરફથી કન્ફર્મેશન મળ્યું છે. આ આખો પ્રોજેકટ ૨૦૨૧ના અંત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીએ કહ્યું કે, કોરોના અને લોકડાઉનની સ્થિતિના કારણે આ પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી. જોકે, હવે અમે તેને ઝડપથી પૂર્ણ કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

(11:38 am IST)