Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ચક્રવર્તી પદ

એક મહાન રાજા હતા. રાજા શૂરવીર અને સમર્થ હતા. રાજાના મનમાં એક મહત્વકાંક્ષી હતી કે ચક્રવર્તી બનવુ, ચક્રવર્તીપદ પ્રાપ્ત કરવુ.

રાજા શૂરવીર અને સમર્થ તો હતા જ. રાજાએ પોતાની મહત્વકાંક્ષીની પુર્તિ માટે એક વિશાળ સેના તૈયાર કરી બધી તૈયારીઓ પરિપુર્ણ કરીને શુભ મુહુર્ત જોઇને પોતાની વિશાળ સેના, સેનાપતિઓ, અમાત્યો આદિને સાથે લઇને રાજાએ દિગ્વિજય યાત્રા માટે પ્રસ્થાન કર્યુ. રાજા શૂરવીર અને સમર્થ હતા અને તેમના સેનાપતિઓ પણ વફાદાર તથા સમર્થ હતા. રાજાની સેનાને જીતી શકે તેવી કોઇ સેના કે રાજા તે કાળે હયાત હતો નહિ.

રાજાએ એક પછી એક રાજયો જીતવા માંડયા. કોઇ કોઇ રાજય મેળવતા યુધ્ધ થતુ પરંતુ અનેક રાજયો તો યુધ્ધ વિના જ શરણે થયા. આ રીતે રાજાની દિગ્વિજયયાત્રા ચાલુ રહી, પુર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારે દિશામાં રાજા પોતાની સેના સહિત ફરી વળ્યા. ત્રણ વર્ષ સુધી રાજા આ રીતે દિગ્વિજય જ માટે ફરતા રહ્યા. આખરે રાજાએ દિગ્વિજય સિધ્ધ કર્યો. રાજા ચક્રવર્તી બન્યા. સર્વરાજાઓએ રાજાને ચક્રવર્તીસમ્રાટ તરીકે સ્વીકારી લીધા.

આખરે એક વિશાળ અને ભવ્ય કાર્યક્રમ ગોઠવીને રાજાનો ચક્રવર્તી સમ્રાટ તરીકે વિધિવત અભિષેક થયો. હવે આપણામાં રાજવી ચક્રવર્તી સમ્રાટ બન્યા. રાજાની જીવનભરની મહત્વાકાંક્ષા પરિપુર્ણ થઇ.

તે કાળે એવો નિયમ હતો કે જે કોઇ રાજવી ચક્રવર્તી સમ્રાટ બને તેને મેરૂ પર્વત પર પોતાનું નામ અંકિત કરવાનો અધિકાર મળેલ આપણા આ રાજાએ ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યુ છે, તેથી નિયમ પ્રમાણે તેને પણ મેરૂ પર્વત પર પોતાનુ નામ અંકિત કરવાનો અધિકાર મળ્યો.

રાજાએ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યુ. આપણા આ ચક્રવર્તી સમ્રાટ પોતાના પ્રધાનમંડળ અને સેનાપતિ તથા પુરોહિત  સહિત યાત્રા કરતા કરતા આખરે મેરૂ પર્વતની તળેટીમાં પહોચ્યાં તેમણે પોતાની સાથે સારા શિલ્પકારને પણ લીધા હતા. ચક્રવર્તી સમ્રાટે પોતાના શિલ્પીને આશા આપી.

મેરૂ પર્વત પર ચક્રવર્તી સમ્રાટ તરીકે મારૂ નામ અંકિત કરો

શિલ્પકાર પોતાના ઓજારો લઇને મેરૂ પર્વત પર ચડયા. તેઓ પોતાના ચક્રવર્તી સમ્રાટનું નામ અંકિત કરવા માટે મેરૂ પર્વત પર યોગ્ય સ્થાન શોધવા લાગ્યા પરંતુ આશ્ચર્યની વાત એમ હતી કે તેમને મેરૂ પર્વત પર કોઇ ખાલી જગ્યા મળતી ન હતી. મેરૂ પર્વત સપાટી પર ચારે બાજુ ઠાંસી ઠાંસીને નામો લખેલા હતા. કોઇ જગ્યાએ આપણા આ નવા ચક્રવર્તીનું નામ નાના અક્ષરે પણ લખી શકાય તેટલી ખાલી જગ્યા જ મળતી નથી. શિલ્પકાર તથા રાજાના અન્ય અનુચરોએ ખૂબ તપાસ કરી પરંતુ મેરૂ પર્વતની બધી જ સપાટી પર ખૂબ તપાસ કરવા છતા તેમને એવુ નાનુ સરખુ પણ ખાલી સ્થાન મળ્યુ નહિ. જયાં નવુ નામ લખી શકાય.

મેરૂ પર્વતની તળેટીમાં એક ઋષિનો આશ્રમ હતો. સમ્રાટ ચક્રવર્તી પોતાના સર્વ સાથીઓને સાથે લઇને તે ઋષિના આશ્રમમાં ગયા. ઋષિએ સમ્રાટ તથા તેમના સાથીઓનું સ્વાગત કર્યુ. સૌએ આસન ગ્રહણ કર્યા, પછી ઋષિએ સમ્રાટને આગમનનું કારણ પુછયુ,

સમ્રાટે ઋષિને કહ્યુ, 'મહારાજ! હું ચક્રવર્તી સમ્રાટ બન્યો છુ. પરંપરા મુજબ મને મેરૂપર્વત પર મારૂ નામ અંકિત કરવાનો અધિકાર છે. અમે સૌ ચક્રવર્તી તરીકે મારૂ નામ અંકિત કરવા માટે જ અહિ આવ્યા છીએ પરંતુ અમને જોઇએ આશ્ચર્ય થયુ કે, આટલા વિશાળ અને ઉત્તુંગ મેરૂ પર્વતપર સર્વત્ર નામો અંકિત થયેલ છે અને મારૂ નામ અંકિત કરવા માટે એક તસુભર સ્થાન પણ ખાલી નથી. હવે આપ જ કહો કે મારે શું કરવુ? આપ મને એ પણ કહો કે મેરૂ પર્વત પર અંકિત કરેલા નામ આ બધા કોના છે?'

ઋષિએ રાજાને સસ્મિત ઉતર આપ્યો, રાજન! આ બધા નામો ભૂતકાળમાં થઇ ગયેલા ચક્રવર્તી સમ્રાટોના જ છે, આટલા બધા ચક્રવર્તીઓ થઇ ગયા છે?

અરે રાજન ! આ નામોથી અનેકગણા અગણિત સમ્રાટો આ ધરતી પર ચક્રવર્તી થઇ ગયા છે. સૌએ પોતાના નામો આ મેરૂ પર્વત પર કોતરાવ્યા છે, તો ઋષિરાજ હવે ઉપાય શો છે? હવે મારે મારૂ નામ અંકિત કરવુ કેવી રીતે?

રાજન! એ તો બહુ સહેલુ છે કોઇ પણ એક નામ કાઢી નાખો અને તમારૂ નામ કોતરાવી દો.

તો મહારાજ! આ જ સુધીમાં આ પહેલા અનેક ચક્રવર્તીઓના નામ ભુંસાઇ ગયા હશે ને?

અરે રાજન! આ પૃથ્વી પર એટલા ચક્રવર્તીઓ થઇ ગયા છે કે, આ મેરૂ પર્વત પર અગણિતવાર નામો ભુસાઇ ગયા છે અને નવા નવા નામો અંકિત થતા રહ્યા છે.

ઋષિરાજ! જેમ અનેકવાર નામો ભુંસાઇ ગયા છે, અને જેમ હું કોઇનું નામ ભુંસીને મારૂ નામ અંકીત કરૂ તેમ મારૂ પણ નામ ભુંસાઇ જશે ને!?

હા રાજન! નામ ભુંસવાની અને અંકિત કરવાની આ પ્રક્રિયા તો સતત ચાલુ જ છે. કાળના પ્રવાહમાં કશું જ અચળ નથી. આ મેરૂ પર્વત પર અગણિત નામો લખાયા છે અને અગણિત નામો ભુંસાયા છે તેનો કોઇ હિસાબ નીકળી શકે તેમ નથી.

ચક્રવર્તી સમ્રાટ થવાનો રાજાનો ઉત્સાહ ઓસરી ગયા. મેરૂ પર્વત પર પોતાનુ નામ અંકિત કરવાનો રાજાનો ઉમંગ પણ ઓસરી ગયો.

રાજા મેરૂ પર્વત પર પોતાનુ નામ લખાવ્યા વિના જ પોતાના સાથીઓને સાથે લઇને પાછા ફર્યા!

આ અસ્તિત્વ અપરંપાર છે અને કાળ તો અનંત છે. આ અફાટ દેશ અને કાળની કલ્પનાતીત વિશાળતાનો વિચાર કરીએ તો સમજાય છે કે, આપણે કોણ છીએ? જે પૃથ્વીના પ્રમાણમાં આપણે મગતરા જેવા છીએ, તે પૃથ્વી પણ અસ્તિત્વના સાગરમાં રેતીના એક કણ સમાન પણ નથી. ચક્રવર્તીપદને મહાન ગણનાર અને જીવનભર ચક્રવર્તી સમ્રાટ બનવાની મહત્વાકાંક્ષા સેવનાર ડાહ્યો રાજવી આખરે સમજયો કે જે પદને પોતે આટલુ મહાન ગણ્યું તે પદ પણ સમગ્રના સંદર્ભે કેટલુ તુચ્છ છે, કેટલુ નગણ્ય છે!

અસ્તિત્વની આ અફાટ વિશાળતા અને કાળની ગણનાતીત ગતિશીલતાનું ચિંતન માનવીને પોતાના યથાર્થ સ્વરૂપનું ભાન કરાવે છે અને એથીયે વિશેષ તો સાચી નમ્રતા શીખવે છે.

મેરૂ પર્વતની વિશાળતાનો પાર નથી અને તો યે તેના પર ચક્રવર્તીનું નામ લખવા માટે તસુભર ખાલી જગ્યા નથી. આવા નામો અગણિત વાર લખાયા છે અને અગણિત વાર ભુંસાયા છે, જો આમ જ છે તો કોઇ ચક્રવર્તી મેરૂ પર્વત પર પોતાનુ નામ અંકિત કરે કે ન કરે, તેથી શું ફેર પડે છે! અને કોઇ માનવી ચક્રવર્તી બને કે ન બને, તેથી પણ શો ફેર પડે છે!

દેશ અને કાળની અફાટ વિશાળતા પર દૃષ્ટિ કરો અને આપણા જીવનના યથાર્થ સ્વરૂપને ઓળખી લો!

: આલેખન :

ભાણદેવ

સરસ્વતિ નિકેતન આશ્રમ,

પટેલ વિદ્યાલય પાસે, જોધપર (નદી)

વાયા મોરબી - ૩૬૩૬૪૨ (મો.૯૩૭૪૪૧૬૬૧૦)

(10:03 am IST)