Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ગોંડલના વિરપુરમાં પિતાની હત્‍યા કરનારા પુત્રએ પોલીસને બેધડક કહ્યું મેં પત્‍નિને પણ મારીને દાટી દીધી છે ૪ માસ પહેલા પત્‍નિની હત્‍યાની કબુલાત

ગોંડલઃ વીરપુરમાં ચાર માસ પહેલા પત્નીનું ખુન કરીને સુરત ગયેલા શખસે પિતા સાથે પૈસાની લેતી દેતી બાબતે માથાકુટ થતા તેની પણ હત્યા કરી નાંખી હતી. જેમાં સુરત પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીની પુછપરછ કરતા આરોપીએ ચાર માસ પહેલા વીરપુરમાં પત્નીની પણ હત્યા નીપજાવી હોવાની કબુલાત આપી હતી.

વીરપુરમાં જેઠાબાપાના મંદિર પાસે સુરત નજીકના વિસ્તારમાંથી રવિ ઉર્ફે રવલો પ્રતાપ વસાવા કામ માટે પરિવાર સાથે આવ્યો હતો. ગોંડલમાં છુટક મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે રવિ અને તેની પત્ની શિતલબેન સાથે રસોઈ મુદ્દે અવાર નવાર માથાકુટ થતી રહેતી હતી.

દંપતિ વચ્ચે થયેલા ઉગ્ર ઝઘડામાં રવિએ તેની પત્ની શિતલને પથ્થરના ઘા મારીને હત્યા નીપજાવી દીધી હતી અને તેની લાશને જેઠાબાપાના મંદિર પાસે આવેલા કબ્રસ્તાનમાં દાટી દઈને ત્યાંથી સુરત નાશી ગયો હતો.

સુરત જઈને થોડા સમય તે તેના પિતા પ્રતાપભાઈ સાથે રહેતો હતો. રવિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોય પૈસાની લેતી દેતીના પ્રશ્ને પિતા સાથે ઝઘડો થયો હતો. જ્યાં તેણે તેના પિતાની પણ પથ્થરના ઘા મારીને હત્યા નીપજાવી હતી. આ અંગે સુરતમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સુરત પોલીસે કીમ વિસ્તારમાંથી આરોપીને ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછ કરતા વીરપુરમાં પત્નીની અને સુરતમાં પિતાની હત્યા નીપજાવી હોવાની કબુલાત આપી હતી. વીરપુર પોલીસે આરોપીની કબુલાત બાદ માનવ સેવા ટ્રસ્ટના પ્રફુલભાઈ રાજ્યગુરૂની મદદથી પત્ની શિતલબેનની લાશને બહાર કાઢીને પીએમ માટે મોકલી આપી છે. પોલીસે આરોપીનો કબ્જો લેવા માટે તજવીજ હાથ ધરી છે.

(12:24 pm IST)