Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

યોગાસનો સાથે ધ્યાન જોડો-ભુજમા બાબા શિવકૃપાનંદજીએ સાચા-ખોટા આધ્યાત્મિક ગુરુઓને પારખવા સરકારી લાયસન્સ ઉપર મુક્યો ભાર

આજે ભુજમાં બાબા સ્વામી દ્વારા યોગ, બૌદ્ધિકો અને પત્રકારો સાથેની ચર્ચા દરમ્યાન તાણ રહિત જીવન જીવવા માટે આપી ગુરુચાવી

 (ભુજ) આજે ૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ !! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને પરિણામે આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવાય છે. આ વખતે સમર્પણ ધ્યાન યોગ કેન્દ્રના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ સ્વામી શિવકૃપાનંદજી (બાબાસ્વામી) વિશ્વ યોગ દિવસ સંદર્ભે કચ્છ આવ્યા છે. ગઈકાલે ભુજમાં તેમણે બૌદ્ધિકો અને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થાય છે તે આનંદની વાત છે. યોગ એ ભારતે વિશ્વને આપેલી ભેટ છે.  આજે ભુજમાં બાબાસ્વામીના સાન્નિધ્યમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની જે ઉજવણી કરાય છે તેમાં બદલાવ લાવવાની જરૂરત હોવાની વાત બાબા સ્વામીએ કરી હતી. માત્ર યોગાસન દ્વારા જ જો યોગ દિવસની ઉજવણી કરીશું તો લાંબા ગાળે યોગ પાછળનો મહિમા ભુલાઈ જશે એટલે યોગ સાથે ધ્યાનને જોડવાનું સૂચન તેમણે કર્યું હતું. જો યોગ સાથે ધ્યાન જોડાશે તો યોગ દિવસની ઉજવણી વધુ સાર્થક અને વ્યક્તિના જીવનમાં શાંતિનું પરિણામ લાવનારી બનશે. જો, દરેક વ્યક્તિના પોતાના વિશ્વમાં શાંતિ આવશે તો સ્વાભાવિક પણે વિશ્વમાં શાંતિ આવશે. યોગાસનો સાથે ધ્યાનને જોડવાનું સૂચન પોતે સરકારને કર્યું નથી પણ મીડીયા આ સંદર્ભે સરકારનું ધ્યાન દોરે તેવી લાગણી બાબાસ્વામીએ વ્યક્ત કરી હતી. વિશ્વના ૨૫ દેશોમા અનુયાયીઓ ધરાવતા અને સમગ્ર ભારતભરમાં સમર્પણ ધ્યાનયોગના કેન્દ્રો ધરાવતા બાબા શિવકૃપાનંદજી યોગ ક્ષેત્રે નેપાળ સરકારના બ્રાન્ડ એમ્બેસેડર છે. યોગ સાથે ધ્યાન જોડવાના ફાયદા સંદર્ભે તેમણે શ્રીલંકા સરકાર તેમ જ મહારાષ્ટ્રના પુના અને નાગપુરના પોલીસ અધિકારીઓના ઉદાહરણ આપ્યા હતા. શ્રીલંકા સરકારને તેમના ઉગ્રવાદીઓ ધરાવતા અશાંત વિસ્તારોમાં બદલવાનો અનુભવ થયો છે, તો મહારાષ્ટ્ર પોલીસ પણ અશાંત પરિસ્થિતિમાં તાણ રહિત કામગીરી કરી શાંતિ સ્થાપવામાં સફળ રહી છે. ભારતીય પરંપરામાં યોગ એ કોઈ ક્રિયા નથી પણ સંસ્કાર છે એટલે યોગ સાથે પોતે ધ્યાન જોડવાની વાત કરી રહ્યા હોવાનું બાબાસ્વામીએ જણાવ્યું હતું.

* માત્ર અડધો કલાકમા પરિવર્તન લાવો- તો સાચા આધ્યાત્મિક ગુરુઓને ઓળખવા માટે બાબા શિવકૃપાનંદજીએ કરી ટકોર..

ભુજમાં વરિષ્ઠ પત્રકારો અને બૌદ્ધિકો સાથે બાબા શિવકૃપાનંદજીએ સતત બે કલાક સુધી સંવાદ કર્યો હતો. જેમાં જીવનમાં બદલાવ લાવવા માટેની ગુરુચાવી આપતા જણાવ્યું હતું કે, માત્ર દિવસ માં અડધો કલાક આપ આપના માટે કાઢો. તે દરમ્યાન માથાના તાળવા ઉપર હાથ મૂકીને હું આત્મા છું, હું શુદ્ધ આત્મા છું એવું સતત મનન કરો અને સમર્પણ ધ્યાનયોગ સાથે આપના ચિત્તને જોડો. માત્ર ૪૫ દિવસ દરરોજ વહેલી સવારે ધ્યાન યોગનો આ પ્રયોગ કરો. શરૂઆતમાં શરીર, મન અને બુદ્ધિ સાથ નહીં આપે પણ સારી આદતોની આપણે ટેવ પાડવી પડશે. ખરાબ આદતો પોતાની રીતે આવી જાય છે, જ્યારે સારી આદતો માટે આપણે મહેનત કરવી પડે છે. ★જીવનમાં આપણે બીજાને બદલવાની કોશિશ મૂકીને પોતાને બદલવાની કોશિશ કરીએ. ★ બીજા પ્રત્યેની અપેક્ષાઓ છોડીએ ★ પોતાનાથી થાય એટલું સારું કરીએ. વિશ્વને નહીં પણ આપણને બદલવાની જરૂરત છે, આપણું વિશ્વ બદલાશે તો પોતાની રીતે વિશ્વ બદલાતું જશે.

ધ્યાન અને યોગની સાધના થકી પોતાની આસપાસ 'ઓરા' નું આભામંડળ રચાતું હોવાની વાત કરતા બાબાસ્વામીએ સૌની સમક્ષ ઓરા દર્શાવતો પોતાનો ફોટો પ્રદર્શિત કર્યો હતો. સાથે સાથે તેમણે એ ટકોર કરી હતી કે, આજે દેશમાં અને વિદેશમાં આજે ઓરા વિશે વૈજ્ઞાનિક રીતે જાણી શકાય છે ત્યારે સરકારે તમામ આધ્યાત્મિક ગુરુઓની ઓરા અંગે તપાસ કરીને લાયસન્સ આપવું જોઈએ. જેથી, સાચા અને ખોટા આધ્યાત્મિક ગુરુઓની પરખ થઈ શકે. પોતે સંસારી છે એવું કહેતા બાબા શિવકૃપાનંદજીએ જણાવ્યું હતું કે, ધ્યાન યોગની પોતાની ૬૦ વર્ષની સાધના અને ગુરુના આર્શીવાદ થકી આજે તેઓ આ સ્થાને પહોંચ્યા છે. દરેક વ્યક્તિએ એ સમજવાની જરૂર છે કે, ધર્મ એ ઉપાસનાનો માર્ગ છે. જયારે ધ્યાન એ ચિત્તની સાધના છે. પોતે તમામ ધર્મના લોકો માટે ધ્યાન યોગ શિબિર કરતા હોવાનું કહેતા બાબાસ્વામી કહે છે કે, ધ્યાન યોગ દ્વારા વ્યક્તિ પોતાની ભીતર પ્રવેશે છે. ખરેખર શાંતિ અને સુખ આપણી ભીતર છે,પણ આપણે બહાર શોધીએ છીએ. સંવાદ દરમ્યાન સમર્પણ ધ્યાન યોગ સાથે સંકળાયેલા કચ્છના આગેવાનો ડો. પ્રવિણ લીંબાણી, નરેન્દ્ર વોરા, શૈલેષ રૂડાણી અને અન્ય સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન પ્રચાર સમિતિના અધ્યક્ષ ડો. ધૈવત મહેતાએ કર્યું હતું.

(5:37 pm IST)