Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

માણાવદરમાં ૧૧ દિ'એ પીવાના પાણીના દર્શન થયા : જનતામાં ભારે આક્રોશ

કેબીનેટ મીનીસ્ટરના મત વિસ્તારમાં જ પીવાના પાણીની કટોકટીથી પ્રજાજનોમાં રોષ ભભૂકયો છે : પાલિકાના સત્તાધીશો-ચીફ ઓફીસરની લાપરવાહી સામે પ્રજા ગમે ત્યારે રસ્તા પર ઉતરી આવશે

માણાવદર, તા. ર૧ : માણાવદરમાં આજે ૧૦ થી ૧૧ દિ'એ પીવાના પાણી મળતા ૩પ હજારની જનતામાં રીતસર હાહાકાર મચી જવા પામેલ છે. કાળઝાળ ગરમીમાં પાણીની જરૂરીયાત વધી છે ત્યારે પાલિકા ભાજપના સત્તાવાળા તથા ચીફ ઓફીસરની સરેઆમ લાપરવાહીના કારણે આજે આઝાદીના ૭ર વર્ષ પછી એક પીવાના પાણી માટે રીતસર વાસણો લઇ ભટકવું પડે. પીવાના પાણીની જો વ્યવસ્થા ના કરી શકતા હોય તો સત્તાધીશોએ જીલ્લા કલેકટર તંત્રએ સહિત ભાજપ સરકાર રાજીનામુ આપી દેવું જોઇએ તેવી ખૂલ્લે આમ ચર્ચા પ્રજાજનો કરી રહ્યા છે.

વેરા ઉઘરાવવામાં પાવરધા પાલિકા બસ, અમારી પાસે સ્ત્રોત પીવાના પાણી ખૂટી ગયાના ગાણા ગાય છે.

છેલ્લા વર્ષોથી પીવાના પાણી માટે દર વર્ષે આ વિસ્તારમાં વલખા મારવા પડે છે. એક માત્ર નર્મદા પાણી પુરવઠા યોજના હેઠળ ઓઝત પાઇપલાઇન ઉપર આધાર રાખવો પડે છે. તાલુકામાં એક પણ મોટો ડેમ કે નદી નથી. કે જેમાંથી પીવાનું પાણી ૩પ હજારની જનતાને મળે માત્ર ઓઝત પાઇપલાઇનમાં જે પાણી આવે તે જ મળે છે તળમાં પાણી ઝાટક થયા છે. પ૦૦થી ૧૦૦૦ હજાર ફૂટ પાતાળમાં પીવા લાયક પાણી નથી તે એક ભયાનક સ્ફોટક સ્થિતિ નિર્માણ થઇ ગઇ છે.

હાલે જે દૈનિક જરૂરીયાત ૩૦થી ૩પ લાખ લીટરની છે જેની સામે માંડ ૧પ થી ર૦ લાખ લીટર માંડ આવે ત્યારે દિન પ્રતિદિન સ્ફોટ સ્થિતિનું નિર્માણ થઇ ચૂકયું છે.

ખુદ કેબીનેટ મીનીસ્ટર જવાહરભાઇ ચાવડાના મતવિસ્તારમાં જો આવી સ્થિતિ કે ૧૦થી ૧૧ દિ'એ પાણી મળતું હોય અહેવાલો પછી પણ કેબીનેટ મીનીસ્ટર કાંઇ ઉકેલ ન કરે તે કેવું ? પ્રશ્ન ચર્ચાય રહ્યો છે ત્થા પ્રજાજનો રાજકીય આગેવાનો, જીલ્લા કલેકટર તંત્ર, ભાજપ સરકાર, પાલિકા વિગેરે સામે રીતસર ફિટકાર વરસાવે છે.

હવે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ગમે ત્યારે રોડ ઉપર ઉતરે તેવી સ્થિતિ ઉદ્ભવ છે અન્ય શહેરોને વધુ પાણી મળે ત્યારે માણાવદર ઉપર રીતસર કિન્નાખોરી રખાય છે જે હાલની સ્થિતિ દર્શાવે છે.

(10:05 am IST)