Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

વિક્રમસિંહ સારવારમાં : હડમતાળાની ઉપવાસી છાવણી હવે રાજકોટ સીવિલ હોસ્પિટલમાં

પ્રદુષણ મુદ્દે ચાલતા ઉપવાસ આંદોલનનો ચોથો દિવસ

રાજકોટ, તા. ર૧ : ગોંડલ તાલુકાના હડમતાળામાં આમરણાંત ઉપવાસના ત્રીજા દિવસે ઉપવાસી વિક્રમસિંહ જાડેજાની તબિયત લથડતા તેમને ગઇકાલે રાજકોટની સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જયારે ઉપવાસ આંદોલનની ઉપવાસી છાવણી હવે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે અને અહીં ચોથા દિવસે ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે.

ગોંડલનો અહેવાલ

હડમતાળા જીઆઇડીસીમાં પ્રદુષણ સામે લડત આપી આમરણાંત અનશન કરી રહેલા વિક્રમસિંહ જાડેજાની તબિયત લથડતા કોટડા સાંગાણી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. પ્રદુષણના મુદ્દે ચાલી રહેલ અપવાસ આંદોલન ચોથા દિવસમાં પ્રવેશ્યું હતું.

હડમતાળા જીઆઇડીસીમાં ફાર્મા ફેકટરીઓ દ્વારા ઝેરી ગેસ સહિત પ્રદુષણ ફેલાતુ હોવાની ફરીયાદ સાથે કોટડાસાંગાણી મામલતદાર કચેરી સામે આંદોલન શરૂ કરાયું હતું. જેમાં ગત સાંજથી આમરણાંતત અનશન ઉપર ઉતરેલા વિક્રમસિંહ જાડેજાની તબિયત લથડતા નબળાઇ અને ચક્કરની ફરીયાદ કરતા કોટડા હોસ્પિટલની તબિબ ટીમે પ્રાથમિક સારવાર આપી રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડયા હતાં.

બીજી બાજુ ઉપવાસી છાવણીમાં રાજુભાઇ સખીયા, લખધીરસિંહ જાડેજા સહિતના એ ત્રીજા દિવસે પ્રતિક અનશન ચાલુ રાખ્યા હતા. પ્રદુષણ અંગે ચાલી રહેલ આંદોલનમાં જીલ્લા કલેકટર તંત્ર કે પ્રદુષણ વિભાગના કોઇ અધિકારીઓ ફરકયા ના હોય ઉપવાસી છાવણીમાં રોષ જોવા મળ્યો હતો. (૮.૮)

(12:29 pm IST)