Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મોરબીમાં કોરોનાથી સરકારી આંકડા મુજબ ૪ના મૃત્યુ : ફાયરે ૮ની અંતિમવિધિ કરી

ઘરે ઘરે કોરોનાના દર્દીઓની સ્થિતિની વચ્ચે આજે પણ સરકારી ચોપડે માત્ર ૭૪ કેસ જ દર્શાવ્યા : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૪૮૫ કેસમાંથી ૩૫૬૫ સાજા થયા : કુલ ૩૦૦ના મોત, એકિટવ કેસ વધીને ૬૨૦ થયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. ગઇકાલે તા. ૨૦ એપ્રિલ, મંગળવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૩૦૦ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ ૭૪ વ્યકિતના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક રીતે મોરબી જિલ્લામાં રોજના સેંકડો નવા કેસ આવી રહ્યા છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.

જયારે પણ મોરબી જિલ્લામાં સરકારી આંકડા મુજબ વધુ ૪ કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. જોકે  સત્તાવાર બે મોરબી જિલ્લામાં ૩ કોવિડ ડેથ જાહેર કર્યા છે.

જયારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા કુલ ૮ ડેડબોડીની અંતિમવિધિ કરવામાં આવી હતી.

સરકારી વિભાગે જાહેર કરેલા નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી ૨૬, મોરબી ગ્રામ્ય  ૧૦, વાંકાનેર સીટી  ૦૫, વાંકાનેર ગ્રામ્ય  ૦૪, હળવદ સીટી  ૧૧, હળવદ ગ્રામ્ય  ૦૫, ટંકારા સીટી  ૦૦, ટંકારા ગ્રામ્ય  ૧૦, માળીયા સીટી  ૦૦, માળીયા ગ્રામ્ય  ૦, આજના જિલ્લાના કુલ નવા કેસ  ૭૪ નોંધાયા છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલાઓમાં મોરબી તાલુકામાં  ૧૭, વાંકાનેર તાલુકામાં  ૦૬, હળવદ તાલુકામાં  ૦૩, ટંકારા તાલુકામાં  ૦૨, માળીયા તાલુકામાં  ૦૨, જિલ્લાના કુલ ૩૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

જ્યારે કુલ એકિટવ કેસ  ૬૨૦, કુલ ડિસ્ચાર્જ કેસ  ૩૫૬૫, મૃત્યુઆંક  ૩૧ (કોરોનાના કારણે) ૨૬૯ (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ  ૩૦૦, કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ  ૪૪૮૫, અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા  ૨૩૯૫૫૦ થયા છે.

(12:51 pm IST)