Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

ગુજરાતનું ગૌરવ : ચોરવાડના ઉર્જાબેન રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત

માણાવદર : જુનાગઢ જિલ્લાની માળીયા (હાટીના) તાલુકાની સરકારી પ્રા.શાળા, કન્યા પ્રા. શાળા, ચોરવાડમાં ધો. ૬ થી ૮માં સામાજીક વિજ્ઞાનના વિષયક શિક્ષક તરીકે ફરજ બજાવતા હિંડોચા ઉર્જાબેન લયેશકુમારને શ્રી મહર્ષિ અરવિંદ સોસાયટી, દિલ્હી અને એચડીએફસી બેંકના સંયુકત ઉપક્રમે આયોજીત શિક્ષણમાં શૂન્ય નિવેશ નવાચાર અંતર્ગત અપાતા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી આઇઆઇટી-દિલ્હી ખાતે કેન્દ્રીય કક્ષાના માનવ સંસાધન મંત્રીશ્રી રમેશ પોખરિયાલ 'નિશંક'ના હસ્તે આપવામાં આવેલ. ઉર્જાબેન પોતાની શાળામાં હંમેશા નવીનતમ પ્રયોગો હાથ ધરતા રહે છે, જેનો મુખ્ય હેતુ શિક્ષણનું સમલીકરણ દ્વારા બાળકો અસરકારક શિક્ષણ મેળવે અને બાળકોને લાંબો સમય સુધી મેળવેલું જ્ઞાન યાદ રહે એ છે.

ઉપરોકત પ્રયોગમાંથી એક પ્રયોગ 'બિન્ગો ગેમ' ઉત્તરોતર જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યો. ત્યારબાદ આ પ્રયોગ માટે રાજ્ય કક્ષાએ આ શિક્ષકને સાંદીપની ગુરૂગૌરવ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા. તેમજ રાજ્ય અને એશિયાની પ્રતિષ્ઠિત સંસ્થા આઇઆઇએમ - અમદાવાદ દ્વારા પણ આ પ્રયોગ શિક્ષકોની તાલીમ અંતર્ગત કેસ સ્ટડીમાં સ્થાન પામ્યો. અંતમાં ૨૦ લાખ જેટલા નાવીન્યપૂર્ણ પ્રયોગોમાંથી સમગ્ર ભારતમાંથી કુલ ૧૦૦૦ જેટલા નવીનત્તમ પ્રયોગોને નેશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા. જેમાં ગુજરાતના કુલ ૨૫ પ્રયોગોને એવોર્ડથી નવાજવામાં આવ્યા. શૂન્યથી સશકિતકરણની આ સફરની સફળતા માટે ઉર્જાબેન ઇશ્વર સહિત તમામ વ્યકિતઓનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરે છે.

(11:55 am IST)