Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

જયશ્રીકૃષ્ણ... દ્વારકાનગરીની દિવ્યતાના દર્શન 'સી-વોટર ગેલેરી' ના સંગે

અલભ્ય-અદ્ભુત શિલાઓ,અવશેષોને જનતા જોઇ શકશેઃ નરેન્દ્રભાઇની જાહેરાતને પગલે સરકારે કદમ વધાર્યા આગળઃ ગુજરાત પર્યટન વિભાગ,મરીન વિભાગ, ગોવાના ઓર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમોએ દ્વારકામાં મેળવી માહિતી

જામનગર તા.૨૧: ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શિશ ઝુકાવવા સાથે જ જીવનમાં પૂણ્યનું ભાથુ બાંધવા દરરોજ અસંખ્ય શ્રધ્ધાળુઓ દ્વારકા પહોંચે છે... દ્વારકાધીશના દર્શન કરી સૌ ધન્ય થાય જ છે, પણ સૌ ભાવિકો માટે અંતરનો આનંદ વધારનારા સમાચાર છે... કે, હવે દ્વારકાનગરીની દિવ્યતાના દર્શન સૌ શ્રધ્ધાળુઓ કરી શકે તે માટે દરિયામાં 'સી-વોટર-ગેલેરી' બનાવવામાં આવશે.

પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ પૌરાણિક દ્વારકાનગરી દ્વારકાના સમુદ્રમાં ડુબી ગઇ છે. ... જે અંગે સરકાર દ્વારા વર્ષોથી  ચાલતા આવતા સંશોધનમાં વિવિધ અલભ્ય,અદ્ભુત શિલાઓ અને અવશેષો હાથ લાગ્યા છે... ભગવાનના ભકતો એ તમામ શિલા,અવશેષોને નજરો નજર  નિહાળી શકે તેવા ઉમદા હેતુ સાથે ગયા વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દ્વારકાના દરિયામાં કરોડો રૂપિયાના ખર્ચે 'સી-વોટર ગેલેરી બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે હવે કેન્દ્ર સરકારના માર્ગદર્શન તળે યોજનાને આકાર કરવા માટે કદમ આગળ ધપાવાઇ રહ્યા છે.

જે સંદર્ભે ગુજરાત પર્યટન વિભાગ, મરીન વિભાગ અને ગોવા સ્થિત ઓર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમોએ સોમવારે દ્વારકા ખાતે પહોંચી 'સી-વોટર ગેલેરી'  પ્રોજેકટને સાકાર કરવાના પ્રથમ ચરણમાં ગોમતીઘાટ પાસે આવેલા સંગમ નારાયણ મંદિરના સમુદ્રીતટની તપાસ કરી પ્રાથમિકતા વિશે વિવિધ વિગતો જાણી હતી.એવી જ રીતે દ્વારકા શહેરની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરી ચર્ચા-વિચારણા કરી હતી. અત્રે નોંધનીય છે કે, ત્રણ દશકા પહેલા ઓર્કિયોલોજી વિભાગના તત્કાલિન હેડ ડો.એસ.આર.રાવે અનેક વખત દ્વારકાની મુલાકાત લઇ દરિયામાં સંશોધનાર્થે સ્વર્ણનગરીની શિલાઓ અને શિલ્પ સંબંધી જરૂરી આધાર-પુરાવા એકત્રિત કર્યા હતા. ત્યારે હવે કેન્દ્ર-રાજય સરકારની ટીમો દ્વારા સર્વે કામગીરી આગળ વધતા જ ભાવિકોમાં અનેરો આનંદ પ્રસરવા લાગ્યો છે... દ્વારકાનગરી 'સ્વર્ણનગરી'ને નિહાળવા સૌ અત્યારથી જ અધીરા બન્યા છે.

(11:42 am IST)