Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

અમરેલી જીલ્લાના ૧૨ ડેમ નર્મદાના નીરથી ભરવાના છે તેમાં સાંતલી ડેમ કયાં આવ્યો ? વિરજીભાઈ ઠુંમર

સાવરકુંડલા, તા.૨૧: વિધાનસભા ગૃહમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, જળસંપિત્ત વિભાગ અને પાણીપુરવઠા વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં અમરેલી જિલ્લાના લાઠી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ જે સરકાર ભૂલી જતી હોય અને નાણાં ન ફાળવી શકતી હોય તેવી સરકાર પાસે અમે આશાઓ લઈને આવ્યા હતા, ગુજરાતની પ્રજા પણ આશા રાખી રહી હતી, હવે એ આશાઓ કયારે પૂર્ણ થશે તે અંગે ગુજરાતની પ્રજા શંકા વ્યકત કરી રહી છે.

ઠુંમરે જણાવ્યું કે, સૌની યોજના અંતર્ગત જામનગર જિલ્લાના ૨૫ ડેમ, રાજકોટ જિલ્લાના ૨૩ ડેમ, જૂનાગઢ જિલ્લાના૧૩ ડેમ, અમરેલી જિલ્લાના ૧૨ ડેમ, દ્વારકાના ૧૧ ડેમ, ભાવનગરના ૧૦ ડેમ,  મોરબી જિલ્લાના ૬ ડેમો, સુરેન્દ્રનગર જિલ્લાના ૬ ડેમ, પોરબંદર જિલ્લાના ૪ ડેમ, બોટાદ જિલ્લાના ૪ ડેમ તથા ગીર- સોમનાથ જિલ્લાનો ૧ ડેમ ભરવાની વાત હતી. પ્રશ્નોત્તરીના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, સૌની યોજના અંતર્ગત ૨૧ ડેમો ભરવામાં આવ્યા છે અને તે માટે રૂ.૬૬૭૧ કરોડને ખર્ચ કરવામાં આવેલ છે, જયારે કુલ બજેટ રૂ.૧૦ હજાર કરોડનું ફાળવવામાં આવ્યું છે. તો બાકીના ૯૯ ડેમો ભરવા માટે સરકારે શું આયોજન કર્યું છે?  સૌરાષ્ટ્રની જનતા ઘણા સમયથી પીવાના પાણી માટે તલસી રહી છે ત્યારે આ ડેમો ભરવા અત્યંત આવશ્યક છે. સરકારે પીવાના અને સિંચાઈના પાણી માટે તળાવો કે ડેમો ભરાવ એકસપ્રેસ લાઈનો નાંખી છે, એમાંથી ભારે મોટી ચોરી થાય છે, તે અંગે અનેક વખત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ તંત્ર આ ચોરી હજુ સુધી બંધ કરાવી શકી નથી. લોકો સુધી પાણી પહોંચાડવાના બદલે લોકો દ્વારા સીધું એમાંથી પાણી લઈ લેવામાં આવે છે છતાં તંત્રની આંખ ઊઘડતી નથી.

જિલ્લાની વાત કરતાં ઠુંમરે જણાવ્યું કે, અમરેલી જિલ્લાના ૧૨ ડેમ ભરવાના છે, તેમાં સાંતલી ડેમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાંતલી ડેમ કયાં આવ્યો છે તે હું સરકાર પાસેથી જાણવા માંગું છું. શનિ- રવિની રજામાં ટોર્ચ લઈને હું આ ડેમ શોધતો હતો. પરંતુ તે કયાંય દેખાયો નથી. સરકાર દ્વારા આમ ખોટી રીતે પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ વર્ષે ખેડૂતોને ઉનાળામાં સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં આપવાની સરકાર દ્વારા જાહેરાત કરાવમાં આવી છે. આ વર્ષે નર્મદામાં હાઈએસ્ટ પાણી આવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા ખોટી રીતે તેને વેડફી નાંખવામાં આવ્યું છે. સી- પ્લેનની જેમ પાણી પણ ખોટી રીતે વેડફાઈ ગયું છે.

ઠુંમરે જણાવ્યું કે, આજે બાવળા જે ઉદ્યોગોથી ધમધમતું થયું છે તે સ્વ.ચીમનભાઈની સરકાર વખતે ઝીરો ટેકસ માટે સ્થાપવા માટેનું આયોજન કર્યું હતું તેને આભારી છે, એના કારણે આજે સૌરાષ્ટ્ર વિસ્તાર ઉદ્યાગો તરફ આગળ વધ્યો છે અને હજી પણ આગળ વધી રહયો છે. ઉદ્યોગોનો ગમે તેટલો વિકાસ થાય પરંતુ ઉદ્યોગોમાંથી અનાજ પેદા થવાનું નથી. આજે ખેડૂત મગફળી વેચી શકતો નથી અને મગફળી વેચવા માટે ભટકી રહયો છે. ખેડૂતોને તેની ખેતપેદાશના ટેકાના ભાવ નથી મળતા, જેના કારણેએ દુઃખી થઈ થયો છે. બીજી બાજુ મગફળીના ગોડાઉનો, બારદાન વગેરે સળગાવી દેવામાં આવે છે. આ ખેડૂતો માટે સરકારનો વિરોધ તો નથી ને? તેવી શંકા ઠુંમરે વ્યકત કરી હતી. ખેડૂતને જગતનો તાત કહેવાય છે એને ખેતી માટે પૂરતું પાણી આપવું જોઈએ, મફત વીજળી આપવી જોઈએ. મંત્રીશ્રીએ આજે દરેક ધારાસભ્યને પોતાના વિસ્તારના પાંચ- પાંચ તળાવ ઊંડા કરવા સારૂ સૂચનો મોકલી આપવા જણાવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના ધારાસભ્યો પાસેથી દસ- દસ તળાવો ઊંડા કરવા સારૂ સૂચનો મંગાવવા જોઈએ તેવી માંગણી ઠુંમરે કરી હતી.

(11:30 am IST)