Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ખંભાળિયાના ભાતેલમાં શનિવારે અનોખો ઉત્સવ

મનહરબા ઝાલાની પૂણ્યતિથિએ ગાયત્રીયજ્ઞ સાથે જ ૫૧ રાજપૂત યુવાનો ધારણ કરશે 'જનોઇ': જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા છલકાવાશે વતનપ્રેમઃ પુસ્તક વિમોચન, લોકડાયરો સહિતના કાર્યક્રમો

ખંભાળિયા, તા. ૨૧ :. તાલુકાના ભાતેલ ગામના મૂળ વતની અને જામનગર ઉત્તરના ધારાસભ્ય - ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હકુભા જાડેજા દ્વારા તા. ૨૪મીએ માતુશ્રી મનહરબાની પૂણ્યતિથિએ ભાતેલ ગામે અનોખા ઉત્સવનું આયોજન થવાનુ છે.

વર્ષો પહેલા સંત સ્વામીશ્રી જગન્નાથ તિર્થજી મહારાજ દ્વારા ૨૦૦ યુવાનોને યજ્ઞોપવિત જનોઈ, વ્યસનમુકિતના પાઠો શિખવાડાયા હતા એ પછી સ્વ. મનહરબાની પૂણ્યતિથિએ પૌત્ર જગદીશસિંહ જાડેજા સહિત ૫૧ યુવાનો યજ્ઞોપવિત ધારણ કરશે. સાથે સાથે ૫૧ કુંડી ગાયત્રી યજ્ઞ પણ યોજાનાર છે. રાજપૂત યુવાનો જનોઈ ધારણ કરી વ્યસનમુકિતના પાઠ પણ શીખશે. એવી જ રીતે રાજપૂત સમાજની વાડીનું પણ નિર્માણ થશે તથા જયરાજસિંહ જાડેજા દ્વારા 'ભાતેલ પરિચય' પુસ્તકનું વિમોચન પણ થવાનુ છે.

ઉલ્લેખનીય છે કે, ભાતેલ ગામે અગાઉ પણ કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડયા, રમેશભાઈ ઓઝા વિ.ની ભાગવત સપ્તાહ યોજાઈ ગઈ હતી. જેમા પણ વ્યસનમુકિતના પાઠો શિખડાવાયા હતા.

આ પ્રસંગે સ્વામીનારાયણના સંત શાસ્ત્રીજી ચતુર્ભુજદાસજી મહારાજ, પ્રદેશ ભાજપ પ્રદેશ પ્રમુખ  જીતુભાઇ વાઘાણી, રાજયના કેબીનેટ મંત્રીશ્રી આર.સી.ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, જી.પં. પ્રમુખ મિતલબેન ગોરીયા, હિલાયંસના ધનરાજભાઇ પરિમલભાઇ નથવાણી, એસ્સાર ઓઇલના ડાયરેકટર સી.મનોહરન રાજપૂત સમાજ જિલ્લા પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા, દ્વારકા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગીતાબા બહાદુરસિંહ વાઢેર સહિતના ઉપસ્થિત રહેશે.

અત્રે નોંધનીય છે કે આજે ભાતેલ તથા ગોકુળપુરના તમામ ગ્રામજનો માટે સમૂહભોજન અને રાત્રે યોજાનાર લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, અલ્પાબેન પટેલ, લોક સાતિયકાર દિલીપદાન ગઢવી સહિતના કલાકારો કલા પીરસશે.

(12:54 pm IST)