Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સૌરાષ્ટ્ર સહિત રાજયના બંદરોનું આધુનિકરણ કરીને દરીયા કાંઠાના અર્થતંત્રને વધુ મજબુત બનાવાશેઃ વિજયભાઇ

ગીર સોમનાથના નવા બંદરે આંતરરાષ્ટ્રીયકક્ષાના સુવિધાપુર્ણ મત્સય બંદરનું ખાતુમુહુર્ત કરતા મુખ્યમંત્રીઃ કાર્યક્રમમાં જવાહરભાઇ ચાવડા, રાજેશભાઇ ચુડાસમા તેમજ કલેકટર, મેરીટાઇમ બોર્ડના અધિકારીઓ પુર્વ ધારાસભ્યો, માછીમાર આગેવાનો ઉપસ્થિત રહયા

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ર૧: ગીર સોમનાથ જીલ્લાના નવા બંદર ખાતે ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના સુવિધાપુર્ણ મત્સ્ય બંદરનું ખાતમુહુર્ત  કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવેલ કે ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરીયાકાંઠાની વિપુલ તકોનો ટેકનોલોજી સાથે સુમેળ સાધીને સૌરાષ્ટ્ર સહીત રાજયના બંદરોના આધુનિકરણ કરીને દરીયાકાંઠાના અર્થતંત્રને વધુ મજબુત બનાવશે.

મુખ્યમંત્રીએ જણાવેલ કે મત્સોદ્યોગની વિકાસલક્ષી નીતીને લીધે વર્ષ ૨૦૧૯-૨૦માં રાજયનું મત્સ્ય ઉત્પાદન ૮.પ૮ લાખ મેટ્રીક ટન સુધી પહોંચ્યું છે. રાજય દ્વારા પાંચ હજાર કરોડથી પણ વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે.  હાલ રાજયમાં ર૯ હજારથી પણ વધુ બોટનું રજીસ્ટ્રેશન થયું છે. માછીમારોને કેરોસીન પર એક લીટરે રૂ. ૧પની સબસીડી મળતી હતી તે વધારીને રૂપીયા રૂ. રપ કરવામાં આવી છે. આ ઉપરાંત સેંસમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી માછીમારોને સહાય આપવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા પકડેલા ૭૧૦૦ માછીમારોને છોડાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે રાજય સરકાર દ્વારા વેરાવળ, માંગરોળ, સુત્રાપાડા, માઢવાડ અને પોરબંદર જેવા બંદરોના વિકાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુત્રાપાડા ખાતે જીઆઇડીસીની જમીન ફિશરીઝ ખાતાને  આપવામાં આવી છે અને હવે પર્યાવરણ ખાતામાં આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે. આમ રાજય સરકાર દ્વારા સાગરબંધુઓને તમામ સુવિધા મળી રહે અને એમને કોઇ તકલીફ ન પડે એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહયા છે.

આ ખાત મુહુર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની સાથે મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા ગીર સોમનાથ જુનાગઢના સાંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમા ગીર સોમનાથના કલેકટર મેરીટાઇમ બોર્ડના અધિકારીઓ તેમજ કોડીનારના માજી ધારાસભ્ય અને પુર્વ સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી વેરાવળના માજી ધારાસભ્ય અને પુર્વ કેબીનેટ મંત્રી જશાભાઇ બારડ વેરાવળના માજી ધારાસભ્ય રાજસિંહભાઇ જોટવા તાલાળા સુત્રાપાડાના માજી ધારાસભય ગોવિંદભાઇ પરમાર પ્રદેશ મહામંત્રી ઝવેરીભાઇ ઠકરાર ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનસિંહભાઇ પરમાર ઉનાના માજી ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ જિલ્લા આરોગ્ય સમીતીના પુર્વ ચેરમેન હરીભાઇ સોલંકી અને મોટી સંખ્યામાં નવા બંદર તેમજ આજુબાજુના માછીમાર આગેવાન ભાઇઓ તેમજ બોટ માલીકો હાજરી આપી હતી.

(11:50 am IST)