Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પૂજય શ્રી ડુંગરસિંહજી મ. સા.ના ૨૦૦મા સ્વર્ગારોહણનો અઢાર દિવસીય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે

ગોંડલ સંપ્રદાય સંસ્થાપક નિદ્રાવિજેતા આચાર્યદેવ

રાજકોટ,તા.૭:ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના આદ્ય સંસ્થાપક નિદ્રાવિજેતા એકાવતારી આચાર્યદેવ ૧૦૦૮ પૂજય ગુરૂદેવ શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબની ૨૦૦મા સ્વર્ગારોહણ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન આગામી તા. ૧૩.૦૫ થી ૩૦.૦૫ અઢાર દિવસ સુધી ગાદીના ગામ ગોંડલમાં, રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ. સા. આદિ અનેક સંત-સતીજીઓના સાંનિધ્યમાં કરવામાં આવ્યું છે.

દાદા ગુરૂદેવ આચાર્યદેવ પૂજય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબ એટલે અપ્રતિમ સંતત્વની સૌરભ પ્રસરાવતુ એક એવું વ્યકિતત્વ હતું જેમણે અનેક પ્રકારની અનુપમ આરાધના કરીને પોતાના સંયમ જીવનને તો દીપાવ્યુ જ હતું, પરંતુ નિરંતર સાડા પાંચ વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કરીને નિદ્રા વિજેતા બન્યાં હતાં. તે સમયના રાજવી પરિવાર તેમજ અનેક શ્રાવક-શ્રાવિકાઓના હૃદયમાં પૂજનીય સ્થાન ધરાવતાં પૂજય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબે ગોંડલ ક્ષેત્રને ધર્મના કેન્દ્ર સ્થાન સ્વરૂપે જાહેર કરીને કરેલી ગોંડલ સંપ્રદાયની સંસ્થાપના આજે હજારો ભાવિકો માટે ઉપકારક બની રહી છે. એવા પરમ ઉપકારી આચાર્યદેવ પૂજય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબનું નામ રાજસ્થાનના પુસ્તકાલયમાં સ્થિત 'સિદ્ઘ પાહુડીયા'ગ્રંથમાં એકાવતારી આત્મા સ્વરૂપે આલેખિત કરવામાં આવ્યું છે.

આ મહાન આચાર્યદેવની પ્રત્યક્ષ વિદાયને જયારે ૨૦૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે ત્યારે ગોંડલ સંપ્રદાયના પૂજનીય શ્રી જશ-ઉત્ત્।મ અને પ્રાણ ગુરુવર્યોના પરિવારના દરેક સંત-સતીજીઓ, સમગ્ર ભારત તેમજ વિદેશનાં મળીને ૧૫૦ થી વધારે શ્રી સંઘો, સેંકડો શ્રેષ્ઠીવર્યો, મહિલા મંડળો, યુવક મંડળો તેમજ દેશ-પરદેશના હજારો ભાવિકો શ્રધ્ધા-ભકિતભાવ સાથે આચાર્યદેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં જોડાશે.

અઢાર દિવસ સુધી ચાલનારા આ વિશ્વસ્તરીય મહોત્સવમાં પૂજય આચાર્યદેવનાં ગુણ સમૃદ્ઘ જીવનનો અદભુત પરિચય આપતાં તેમજ ગોંડલ સંપ્રદાયની ગરિમાને ઉજાગર કરાશે. ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવીણભાઈ કોઠારીની યાદીમાં જણાવ્યા અનુસાર દાદા ગુરુદેવ આચાર્યદેવ પૂજય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબના ગોંડલ સંપ્રદાયના તમામ સંદ્યોની દાદા ડુંગર દ્વિશતાબ્દી સ્વર્ગારોહણ મહોત્સવ સમિતિની પણ રચના કરવામાં આવશે.

(3:19 pm IST)