Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સલામ.. ઝાલાવાડનાં કર્મનિષ્ઠ આરોગ્ય કર્મચારીઓઃ અમે તમારા માટે બહાર છીએ.. તમે તો તમારા માટે અંદર રહો

અમારે પણ પરિવાર છે પણ આપનું આરોગ્ય સચવાય તે માટે અમે તો ઘરે નથી રહેતા પણ તમે તો ઘરે રહો..

સુરેન્દ્રનગરઃ વિશ્વ આજે જયારે નોવેલ કોરોના covid-19 વાયરસની મહામારી સામે ઝઝૂમી રહયું છે, લડી રહયું છે. તેવા સમયે સોશ્યલ મિડીયાના માધ્યમથી આપણી સમક્ષ અનેક ફોટો – વિડીયો આવી રહયાં છે. આવો જ એક વિડીયો છે, જેમાં આરોગ્ય કર્મીઓ હાથમાં સૂત્રો લખેલા બેનર લઈ આપણને કોરોના વાઈરસની ગંભીરતા સમજાવી રહયાં છે. એટલું જ નહી પણ આ વાઈરસ સામે કઈ રીતે રક્ષણ મળી શકે તે માટે આપણને જાગૃત કરવાની સાથે તેમની વિકટ પરિસ્થિતિમાં પણ કાર્ય કરવાની તેમની નિષ્ઠાનો પરિચય આપી રહયાં છે.

આવા જ એક વિડીયોમાં એક આરોગ્ય કર્મી કહી રહયો છે, WE ALSO HAVE FAMILY BUT CAN’T STAY, જયારે બીજા બેનરમાં લખ્યુ છે, WE ARE NOT ON VACATION, જયારે અન્ય એક બેનર પકડીને ઉભેલા આરોગ્ય કર્મી કહી રહયા છે, WASH YOUR HAND અને WE ARE EXPLOSED TO EVERYTHING FOR YOU. આ અને આના જેવા અનેક સુત્રો લખેલા ફોટો – વિડીયો હમણાથી આપણે પ્રતિદિન સોશ્યલ મિડીયામાં નિહાળી રહયાં છીએ.

આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહયું છે. તેવા સમયે આપણી સુરક્ષા – સલામતી માટે પોતાની જાનની પરવા કર્યા વગર, દિવસ – રાત જોયા વિના અનેક આરોગ્ય કર્મીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહયાં છે. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય કર્મીઓ પણ બાકાત નથી રહયાં.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશ તથા ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ શાહ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી. કે. પરમારની રાહબરી હેઠળ જિલ્લામાં આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમો આ મહામારી શરૂ થઈ ત્યારથી સતત ખડેપગે રહી લોકોના આરોગ્યની તકેદારી રાખવાની સાથે લોકોને જાગૃત કરી રહયાં છે.

જિલ્લામાં આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની સાથે વિવિધ વિભાગોના અધિકારી - કર્મચારીઓની કાર્યનિષ્ઠાના પરિણામે અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના વાઈરસનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.

આરોગ્ય વિભાગની વાત કરીએ તો, જિલ્લામાં ૫૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૦ અર્બન હેલ્થ સેન્ટરો અને ૧૨ જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. જેમાં ૧૦૦ જેટલા ડોકટર્સ અને ૫૭૬ જેટલો પેરામેડીકલ સ્ટાફ જિલ્લાવાસીઓના આરોગ્યની સેવા માટે ખડેપગે કાર્ય કરી રહયો છે.

જિલ્લાના તમામ ગામડાઓમાં આરોગ્ય વિભાગના ૬૦૫ જેટલી આરોગ્યની ટીમ દ્વારા 'ટેકો'એપ્લીકેશનના માધ્યમ થકી ડોર ટુ ડોર જઈ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લામા નોવેલ કોરોના covid-19 વાયરસના અટકાવવાની કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં વિદેશથી આવેલા કૂલ ૧૦૮ જેટલા લોકોને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. જે પૈકી આજ દિન સુધીમાં ૩૮ લોકોનો કવોરેન્ટાઈન સમય પૂર્ણ થયેલ છે.

તેમજ ૭૦ જેટલા લોકો હજુ પણ કવોરેન્ટાઈન એટલે કે, અન્ડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ તમામ લોકોની તબીબોની ટીમ દ્વારા સવાર - સાંજ બે વાર તપાસ કરવામાં આવી રહી છે. કવોરેન્ટાઈન પીરીયડમાં રાખવામાં આવેલા લોકો પૈકી ૫ લોકો શંકાસ્પદ જણાતા તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ મહત્વનું એ છે કે, આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ આ પાંચેય લોકોનો નોવેલ કોરોના covid-19 નોઙ્ગ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે.પરમારે માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં નોવેલ કોરોના covid-19 વાયરસને ફેલાતો અટકાવવાના જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં જિલ્લામાં ૬૫ હજારથી વધુ લોકોને આયુર્વેદીક ઉકાળા પીવડાવવામાં આવ્યા છે, તેમજ ૨૦ હજારથી વધુ લોકોને હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ લોકોને વધુને વધુ સુવિધા મળે અને નોવેલ કોરોના covid-19 વાયરસને ફેલાતો અટકાવી શકાય તે માટે ગાંધી હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે.

નોવેલ કોરોના covid-19 વાયરસના ફેલાતો અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૭ જેટલા આઈસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે.તથા વધુ નવા ૪૦ જેટલા આઈસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવનાર છે. જેને ધ્યાને લઈ આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૦ થી વધુ આઈસોલેશન વોર્ડ ઉપલબ્ધ બનશે.

રાજય સરકાર અને તેનો આરોગ્ય વિભાગ માત્ર સુરેન્દ્રનગર જિલ્લો જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત નોવેલ કોરોના covid-19 વાયરસથી મુકત બને તે માટે કટીબધ્ધ બની કાર્ય કરી રહ્યાં છે, ત્યારે આપણી પણ ફરજ બને છે કે, આપણા આરોગ્યના રક્ષણ માટે પોતાના આરોગ્યને જોખમમાં મુકતા આવા આરોગ્ય કર્મીઓને બિરદાવીએ.

આ માટે બહાર આવી તેમની પીઠ થબથબાવવાની જરૂર નથી, પરંતુ આપણે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાને અનુસરી આપણા હાથ સમયાંતરે સાબુથી કે સેનીટાઈઝરથી સાફ કરીએ, ઘરની બહાર ન નિકળીએ, મોઢા ઉપર માસ્ક પહેરી રાખીએ,ઙ્ગ બિનજરૂરી ભીડભાડવાળી જગ્યાએ ન જઈએ તથા આસપાસમાં સ્વચ્છતા રાખીને આપણને ઉપયોગી બનતા આરોગ્ય કર્મીઓને આપણે 'કઈ પણ ન કરીને, માત્ર થોડા સમય સુધી આપણા પોતાના ઘરમાં જ રહીને જ' બિરદાવીએ. (૨૨.૧૯)

સંકલન

-હેતલ દવે

- સંજય ચાવડા

માહિતી ખાતુ સુરેન્દ્રનગર

(1:14 pm IST)