Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભઃ 'કોરોના'ના કારણે ઉજવણી રદ

એકાંતમાં જપ - પૂજા સાથે ધાર્મિક વિધીઃ માતાજીના સ્થાનકો પણ ભાવિકો દર્શન માટે બંધ

રાજકોટ તા.૨૫: આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. 'કોરોના'ના કારણે ઉજવણી રદ કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં જુદા - જુદા ધાર્મિક મંદિરોમાં દર્શન બંધ કરવામાં આવ્યા છે. માત્ર એકાંતમાં બેસીને જપ - પૂજા સાથ.ે ધાર્મિક વિધાનનું ભાવિકોએ આયોજન કર્યુ છે.

આજે ચૈત્ર સુદ એકમને બુધવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન લોકો ઘર બેઠા જ ચૈત્રી નવરાત્રી ધાર્મિક વિધિ પૂર્વક મનાવી શકે એ ધાર્મિક પુરાણો - શાસ્ત્રો પ્રમાણે જપ, પૂજા , પાઠનું મહત્વ એકાંતમાં વધુ ફળદાયી ગણાય છે. આથી જ આપણા ઋષિમુનિઓ ગુફાઓમાં  અને સ્વયં મહાદેવજી પણ હિમાલયમાં એકાંતમાં જ ધ્યાનમાં બેસતા હતા. ચૈત્ર નવરાત્રી દરમ્યાન  પોતાની ઘરે બેઠા એકાંતમાં કુળદેવીના મંત્રના જપ કરવા, શ્રી રામનામના જપ, સુંદરકાંડના પાઠ કરવા, અથવા ગુરૂમંત્રના જપ કરવાથી અનેકગણા ફળની પ્રાપ્તી થાય છે.

ચૈત્રી નવરાત્રી દરમ્યાન  શકિતપીઠ  અંબાજી, ચોટીલા , પાવાગઢ, બહુચરાજી સહિતના મંદિરોમાં માતાજીના આશિર્વાદ માટે ભકતોનું ઘોડાપુર ઉમટતું હોય છે. પરંતુ આ વખતે કોરોના વાયરસના કેરને પગલે તમામ મંદિરોના દ્વાર ૩૧ માર્ચ  સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે માતાજીના કેટલાક પ્રખ્યાત મંદિરોમાં  દર્શન માટે  વેબકાસ્ટીંગના આયોજન  કરવામાં આવ્યા છે. શકિતપીઠ અંબાજી સહિતના માતાજીના મંદિરમાં આવતીકાલે વિધિવત રીતે ઘટસ્થાપન કરાશે. હિંદુધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રીનો મહિમા  ગાવામાં આવ્યો છે.  જેમા શકિત ઉપાસના  માટે શરદ ઋતુના અનુક્રમે  આસો, ચૈત્રની નવરાત્રીને વધુ ફળદાયી માનવામાં આવે છે.

ભાવનગર

ભાવનગરઃ શકિતધામ ભંડારીયા બહુચરાજી  મંદિરે નવરાત્રીની ઉજવણી સાથે આઠમના હવનની પરંપરા રહી છે. પરંતુ હાલની  કોરોનાની મહામારી ની સ્થિતીને ધ્યાને લઇ આ ઉજવણી અને હવન બંધ રાખવામાં આવેલ છે. આથી ભાવિકોને ઘરેથી જ માતાજીના દર્શન અને સ્મરણ તથા પ્રાર્થના કરવા શ્રી ભંડારીયા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે.

ધોરાજી

ધોરાજી : ધોરાજીના જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલ પ્રાચીન શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ના શ્રીમહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ગુરુ શિવ સાગર જી મહારાજ એ યાદીમાં જણાવેલ કે આજ થી ચૈત્ર માસનો પ્રારંભ થઇ રહ્યો છે અને છેલ્લા દ્યણા વર્ષોથી આશ્રમમાં હનુમાનજી અને મા નવદુર્ગાના સાનિધ્યમાં અખંડ ૨૪ કલાકના રામાયણના પાઠ ચિત્રકૂટ ના બ્રાહ્મણો દ્વારા યોજવામાં આવે છે તેમજ નવે નવ દિવસ સુધી નવચંડી મહાયજ્ઞ પણ રાખવામાં આવે છે પરંતુ સમગ્ર વિશ્વની અંદર કોરોના નો કાળો કેર વર્તાઇ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે લોક ડાઉન જાહેર કરે છે તેના અનુસંધાનમાં આશ્રમના તમામ કાર્યક્રમો બંધ રાખવામાં આવેલા છે જેની સર્વે ભાવિક ભકતોએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

માટેલધામ

મોરબીઃ દુનિયામાં કોરોના વાઇરસની ઝપેટમાં આશરે લાખો લોકો આવી ગયા છે અને ૧૦,૦૦૦ કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. આ દરમિયાન ગુજરાતમાં કોરોના વાઇરસના વધુ ૩૫ કેસ પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસને લઇને અનેક જાહેર સમારંભો તેમજ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.

ત્યારે હવે સાવચેતીના ભાગરૂપે માટેલ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આગામી તારીખ ૧થી ૩ તારીખ સુધી એટલે કે આઠમ, નોમ, દશમ જે હોમ હવન અને માતાજીને ધ્વજા ચઢાવવામાં આવે છે. તે કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે અને આ ધ્વજારોહણ ખોડીયાર મંદિર ટ્રસ્ટ કમિટી અને પૂજારી દ્વારા કરવામાં આવશે. જેથી દરેક યાત્રીગણે ધ્યાનમાં રાખી આ દિવસોમાં ભીડ કરવી નહીં. તેવી ખાસ સુચના આપવામાં આવી છે.

(11:41 am IST)