Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોનાને પહોંચી વળવા વેન્ટિલેટરો સાથે બે હોસ્પિટલો સજ્જઃ ડો.મીના વિદેશથી ૧પ૦૦ ખારવા-વાઘેર પરિવારો આવશેઃ દરિયામાં જ કોરન્ટાઇન

જાહેર નામાનો ભંગ થતો જણાશે તો દુકાનદાર જવાબદાર ગણાશેઃ રોહન આનંદ :બે વ્યકિત વચ્ચે જરૂરી અંતર-સાવચેતી રખાય તો માસ્ક જરૂરી નથી ? પટેલ

ખંભાળીયા તા. રપ : કોરોના વાયરસના અનુસંધાને જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે જિલ્લામાં આવશ્યક સેવાઓ સિવાઇની તમામ દુકાનો. વાણિજયક સંસ્થાઓ, ફેકટરી, નાના અને મધ્યમ ઉદ્યોગ વર્કશોપ, ગોડાઉન તા.૩૧ સુધી સદંતર બંધ રહેશે.સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન/નગરપાલિકા તથા પંચાયત સેવાઓ, દુધ-શાકભાજી, ફળ-ફળાદી, કરીયાણું, પ્રોવીઝન સ્ટોર, ખાદ્ય પદાર્થો તથા ખાદ્ય સામગ્રી પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, મેડીકલ સ્ટોર, દવાખાના/હોસ્પિટલ, લેબોરેટરી, દવા/મેડીકલ સાધનોની ઉત્પાદક કંપની તથા તેમના રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર્સ, ફાર્મસી, આરોગ્યલક્ષી સેવાઓ પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા વગેરે ચાલુ રહેશે.

કોરોના સદર્ભેની કોઇ અફવા ન ફેલાવવાની અપીલ તેમણે કરી હતી.

ખંભાળીયાની જિલ્લા કલેકટર કચેરી ખાતે નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં અને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પટેલ અને જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાયેલ.

આ મિટીંગમાં ડો. મીનાએ જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ર૦૦ વ્યકિતઓ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. હાલ ૧૮ર લોકો હોમ કોરોન્ટાઇનમા છે. આ પૈકી ૧રપ વ્યકિતઓ ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારના વતની છે.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા મુસ્લિમ વાઘેર, ખારવા પરિવારના સદસ્યોનો મુખ્ય વ્યવસાય વિદેશમાં વહાણવટી તરીકેનો છે. તેઓ દર વર્ષે ઉનાળામાં વિદેશથી પરત ફરે છે. જુદા જુદા દેશોમાંથી અહીં પરત ફરતા આ તમામ લોકોને તેમના વહાણમાં જ  કોરોન્ટાઇન કરવામાં આવશે. આ વહાણને સલાયા નજીકના દરિયાઇ વિસ્તારમાં જ પ કી.મી.દુર દરિયામાં જ રાખી. તમામ વહાણવટીઓની તબીબી પરિક્ષણ ચૌદ દિવસ સુધી કરવામાં આવશે. જો મેડિકલ ઇમરજન્સીની જરૂર પડશે તો તેમને અહિંની હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. સૌ પ્રથમ વખત એવુ બનશે કે વિદેશથી આવેલા લોકોને વહાણમાં જ કોરોન્ટાઇન કરવામાં આવશે.

ડો. મીનાએ પત્રકારોને વિગતો આપતા જણાવેલ કે જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામા ડિસ્ટ્રીકટ લેવલની બે હોસ્પિટલની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં પ૦ બેડ તથા વેન્ટિલેટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ખંભાળિયાની સાકેત હોસ્પિટલમાં પણ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે અન્ય ખાનગી હોસ્પિટલમાંથી પણ વેન્ટિલેટર સહીતના જરૂરી સાધનો મેળવી આ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવનાર છે.

આરોગ્ય વિભાગ દ્વારા ખંભાળિયાના કુવાડિયા ગામ પાસેની આદર્શ નિવાસી શાળામાં ર૦૦ બેડનો કોરોન્ટાઇન રૂમ ઉભો કરવામાં આવ્યો છે જેમાં પ૪ લોકોને દાખલ કરાયા હતા. હાલ માત્ર ભાણવડના એક જ મહિલા સારવાર હેઠળ છે.  તેમ  શ્રી પટેલે માહિતી આપી હતી.

કોરોના અંગે બહારના વિસ્તારમાંથી કે વિદેશમાંથી આવેલ લોકો અંગે તંત્રને માહિતગાર કરવા માટે આ લોકો તેમના સંબંધીઓ અને અન્ય લોકો પણ આ બાબતે તંત્રને જાણ કરી રહ્યા છે.

જિલ્લામાં કોરોના વાયરસ રોગ સામે લડત આપવા રપ લાખ ફાળવવામાં આવ્યાનું ડો. મીનાએ જણાવેલ.

દ્વારકા જિલ્લામાં અનાજ દુધ વિગેરેના ખરીદી તથા વેચાણ અંગેની સંપૂર્ણ છુટ છે.ત્યારે ખરીદ માટેનું લીસ્ટ દુકાનદારોને આપી દુકાને બિન-જરૂરી ગીરદી ન કરવા તથા જાહેરનામાનો ભંગ ન થાય તે જોવાની અપીલ પોલીસવડા શ્રી રોહન આનંદે કરી હતી. જાહેરનામાનો ભંગ થયે દુકાનદાર જ જવાબદાર થશે.

કોરોના સામે લોકો માસ્ક પહેરી રાખે તે બાબતને ઇચ્છનીય ગણાવાઇ રહી છે પરંતુ ડો. પટેલે જણાવ્યું હતું કે બે વ્યકિત વચ્ચે અંતર રાખે તથા ઉધરસ અને છીંક સમયે ખાસ તકેદારી રાખે તો સામાન્ય રીતે માસ્કની કોઇ જરૂરીયાત ઉભી થતી નથી.

(11:02 am IST)