Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

જામનગર જિ.માં કિસાન ક્રેડિટ કાર્ડનો ખેડૂતોને લાભ લેવા જિલ્લા કલેકટરનો અનુરોધ

જામનગર,તા. ૧૩:જિલ્લા સમાહર્તાશ્રી રવિશંકર દ્વારા આજરોજ કલેકટર કચેરી ખાતે કિસાન ક્રેડિટ કાર્ડનો ખેડૂતોને લાભ આપવા બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.

કલેકટરે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧ લાખ ૩૧ હજાર ૪૭૧ ખેડૂતોની વિગતો ઓનલાઇન વેલીડેટ થયેલી છે તેમાંના  ૧ લાખ ૩૦ હજાર ૫૫૮ ખેડૂતોને વિવિધ બેંકો દ્વારા પાક ધિરાણ- કિસાન ક્રેડીટ કાર્ડની સુવિધા આપવામાં આવેઙ્ગછે. જામનગર જિલ્લામાં હાલ સુધીમાં કાલાવડ તાલુકામાં સૌથી વધુ લાભાર્થીઓએ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મેળવ્યો છે.

આ સમયે ખેડૂતોને પોતાની ખેતી માટે લેવા પડતા ધિરાણ બાબતે વારંવાર ગૂંચવણભરી પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે તે માટે જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છેઙ્ગ તેમાનાં એક પણ લાભાર્થી આ કાર્ડના લાભથી બાકી ન રહી જાય તે માટે ખેડૂતો આગળ આવે તેવી અપીલ કરતા કહ્યુ હતુ કે, જે કિસાન ક્રેડિટ કાર્ડ ધારક નથી તેઓ માટે આગામી દિવસોમાં જિલ્લામાં ખેતીવાડી વિભાગના વહીવટી તંત્ર તેમજ બેંકો સાથે મળીને ખેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ પાક ધિરાણ આપવા માટે તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૦ થી ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે ખેડૂતોને એક પાનાના સરળ ફોર્મ સાથે નામ, સરનામુ, ૭-૧૨, બેન્ક એકાઉન્ટ વિગતો આપવાની રહેશે, જેના થકી આ કાર્ડ ખેડૂતોને સરળતાથી પ્રાપ્ય થશે.

આ કાર્ડ માટે ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે નજીકની બેંક શાખાનો સંપર્ક કરવાનો રહેશે અથવા તો બેંક મિત્રના સંપર્ક થકી તેઓ સરળતાથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા માટેની પ્રકિયા પણ ચાલુ રહેશે જેની ખેડૂતમિત્રોને નોંધ લેવા અને લાભ લેવા કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ.

આ સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડ જિલ્લામાં રહેલા પશુપાલકો અને માછીમારોને પણ આપવામાં આવશે જેનો લાભ લઈ તેઓ પણ આગળ ધિરાણ મેળવી શકશે તેમ કલેકટરશ્રી રવિશંકરે ઉમેર્યું હતું.આ પરિષદમાં જામનગરના માધ્યમકર્મી મિત્રો અને લીડ બેંકના મેનેજરશ્રી શુકલા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ.વી.ગોસાઇ ઉપસ્થિત રહ્યા હતા.

(11:42 am IST)